Jammu Kashmir: પૂંછ-રાજૌરીમાં 13મા દિવસે પણ આતંકવાદ વિરોધી ઓપરેશન શરું, 2 શંકાસ્પદને સુરક્ષા દળોએ લીધા કસ્ટડીમાં
જમ્મુ અને કાશ્મીરના પુંછ અને રાજૌરી જિલ્લામાં ખરાબ હવામાન હોવા છતાં શનિવારે 13મા દિવસે પણ આતંકવાદ વિરોધી ઓપરેશન ચાલી રહ્યું હતું.
જમ્મુ અને કાશ્મીરના પુંછ અને રાજૌરી જિલ્લામાં ખરાબ હવામાન હોવા છતાં શનિવારે 13મા દિવસે પણ આતંકવાદ વિરોધી ઓપરેશન ચાલી રહ્યું હતું. અધિકારીઓએ આ માહિતી આપી હતી. ગયા અઠવાડિયે આ જંગલોમાં છુપાયેલા આતંકવાદીઓ દ્વારા બે અલગ અલગ હુમલામાં સેનાના નવ જવાન શહીદ થયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પૂછપરછ માટે વધુ બે શકમંદોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા કારણ કે સૈન્ય અને પોલીસ દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન્સ રાજૌરી નજીક પુંછ અને થાનમંડીના મેંધર અને સુરનકોટના ગાઢ જંગલોમાં છુપાયેલા આતંકવાદીઓને પકડવાનું ચાલુ રાખ્યું હતું.
સેનાના એક અધિકારીએ જણાવ્યું કે, જંગલનો મોટો ભાગ તપાસી લેવામાં આવ્યો છે. હવે સર્ચ ઓપરેશન તે વિસ્તાર પૂરતું મર્યાદિત છે જ્યાં ઘણી કુદરતી ગુફાઓ છે. અધિકારીએ કહ્યું, “11 ઓક્ટોબર અને 14 ઓક્ટોબરના રોજ પ્રારંભિક ગોળીબાર પછી, આતંકવાદીઓ સાથે કોઈ સીધો સામનો થયો નથી.” આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશનનો વિસ્તાર કરવામાં આવ્યો છે.
જમ્મુ-કાશ્મીરના ઉચ્ચ વિસ્તારોમાં પ્રથમ બરફવર્ષા
શુક્રવાર રાતથી જમ્મુ-કાશ્મીરના ઉચ્ચ વિસ્તારો જેમાં પીર કી ગલી, પુંછ-શોપિયાને અડીને આવેલા વિસ્તારોમાં પ્રથમ બરફવર્ષા થઈ છે,. જ્યારે મેદાનોમાં વરસાદ પડ્યો છે, પરિણામે દિવસના તાપમાનમાં ઘટાડો થયો છે. અધિકારીઓએ કહ્યું કે, સુરક્ષા દળો હાઇટેક ડ્રોનની મદદથી શંકાસ્પદ સ્થળો પર કડક નજર રાખી રહ્યા છે. દરમિયાન, મેંદરના ભટ્ટા દુરિયન જંગલમાં સેનાની સર્ચ પાર્ટીઓ દ્વારા બે શંકાસ્પદ વિસ્ફોટક ઉપકરણોનો નાશ કરવામાં આવ્યો હતો. સૈનિકો જંગલમાં આગળ વધી રહ્યા હોવાથી સુરક્ષાના પગલા તરીકે મંગળવારે સ્થાનિકોને તેમના ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી હતી.
બંને સરહદી જિલ્લાઓના જંગલ વિસ્તારોમાં ઓપરેશન 11 ઓક્ટોબરના રોજ શરૂ થયું હતું જ્યારે આતંકવાદીઓએ સર્ચ પાર્ટી પર હુમલો કર્યો હતો અને પૂંચના સુરનકોટમાં પાંચ સૈનિકોને માર્યા ગયા હતા, ત્યારબાદ તે જ દિવસે નજીકના થાનમંડીમાં અથડામણ ફાટી નીકળી હતી. એન્કાઉન્ટર બાદ આતંકવાદીઓ બંને સ્થળોએથી ભાગી ગયા હતા પરંતુ 14 ઓક્ટોબરે તેઓએ મેંધરના નાર ખાસ જંગલમાં ફરી હુમલો કર્યો અને ચાર સૈનિકોને શહિદ થયા હતા. સુરક્ષા દળોએ આતંકીઓને ખતમ કરવા માટે તેમની કામગીરી વધારી દીધી છે.
જે લોકો શાંતિ ભંગ કરવા માગે છે તેની સામે કડક કાર્યવાહી થશે: અમિત શાહ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Amit Shah) શનિવારે કહ્યું કે 5 ઓગસ્ટ 2019નો દિવસ સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે રાજ્યમાં ચૂંટણી થવાની છે. શાહે કહ્યું કે એક સારું સીમાંકન થશે જેથી યુવાનોને કાશ્મીરમાં તક મળે, સીમાંકન બાદ ચૂંટણીઓ પણ યોજાશે અને જમ્મુ -કાશ્મીરને ફરીથી રાજ્યનો દરજ્જો મળશે. તેમણે કહ્યું કે જે કોઈ જમ્મુ-કાશ્મીરની શાંતિને ખલેલ પહોંચાડવા માંગે છે, અમે તેની સાથે કડકાઈથી વ્યવહાર કરીશું.
શ્રીનગરમાં જમ્મુ અને કાશ્મીર યુથ ક્લબના સભ્યોને સંબોધતા શાહે કહ્યું કે, આ આતંકવાદ, ભત્રીજાવાદ, ભ્રષ્ટાચારનો અંત છે. તેમણે કહ્યું કે આજે જમ્મુ -કાશ્મીરમાં યુવાનો વિકાસ, રોજગાર અને શિક્ષણની વાત કરી રહ્યા છે. આ એક મોટો ફેરફાર છે. હવે ભલે ગમે તેટલું દબાણ કરવામાં આવે, પરિવર્તનને કોઈ રોકી શકતું નથી.