ઓડિશાના (Odisha) પુરીમાં જગન્નાથપુરી મંદિરમાં બાંધકામને પડકારતી મામલાની સુનાવણી દરમિયાન અરજદારે કહ્યું કે તે પ્રતિબંધિત વિસ્તાર છે. જેથી તે વિસ્તારમાં કોઈ બાંધકામ થઈ શકે નહીં. તેઓએ પ્રતિબંધિત વિસ્તારમાં બાંધકામની પરવાનગી પણ લીધી નથી. અરજદારે જણાવ્યું હતું કે મંદિર (Jagannath Temple Case) પરિક્રમા પ્રોજેક્ટના નિર્માણ માટે ઓથોરિટી પાસેથી કોઈપણ પ્રકારની એનઓસી લેવામાં આવી નથી. સુપ્રીમ કોર્ટે અરજી પર નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. હવે આ મામલે આવતીકાલે સુનાવણી થશે.
અરજદારના વકીલે નિરીક્ષણ અહેવાલને ટાંકીને જણાવ્યું હતું કે, અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે સ્થળ પર ભારે નુકસાન થયું છે. નિરીક્ષણ દરમિયાન, એવું કહેવામાં આવ્યું હતું કે બાંધકામ શરૂ કરતા પહેલા, હેરિટેજ સાઇટ પર બાંધકામની અસરનું મૂલ્યાંકન કરવા માટેના અભ્યાસનો અહેવાલ આપવામાં આવ્યો ન હતો. અરજદારના વકીલે રજૂઆત કરી હતી કે હેરિટેજ સાઈટનું મૂલ્યાંકન કરવામાં આવ્યું ન હતું જેના કારણે મંદિરને નુકસાન થયું હતું. બાંધકામ માટે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાની પરવાનગી લેવી પડશે, કારણ કે આ સદીઓ જૂના સ્મારકો છે.
ઓડિશાના એજીએ જણાવ્યું હતું કે બાંધકામનો અર્થ હાલના માળખાનું સમારકામ અથવા પુનઃનિર્માણ અથવા ગટર વગેરેની સફાઈ નથી. તેમણે કહ્યું કે સંસ્કૃતિ નિયામક દ્વારા પરવાનગી લેવામાં આવી હતી. ઓડિશાના એજીએ કહ્યું કે વિસ્તારને સુંદર બનાવવા અને શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. મંદિરની સુરક્ષા માટે પણ કેટલાક કામ કરવામાં આવી રહ્યા છે.
તેમણે સવાલ કર્યો હતો કે શું વર્લ્ડ હેરિટેજ સાઈટ પર શૌચાલય ન બનાવી શકાય. બંને પક્ષોને સાંભળ્યા પછી, સુપ્રીમ કોર્ટે કહ્યું કે હાઇકોર્ટમાં ઓથોરિટીએ કહ્યું છે કે પ્રતિબંધિત વિસ્તારમાં બાંધકામનું કામ નથી થઈ રહ્યું. સુપ્રીમ કોર્ટે અરજી પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે. હવે આ મામલે આવતીકાલે ચુકાદો સંભળાવવામાં આવશે.
અગાઉ, ઓડિશામાં વિપક્ષી પાર્ટીઓ પર પ્રહાર કરતા, પુરીથી સાંસદ પિનાકી મિશ્રાએ કહ્યું હતું કે આ તીર્થસ્થળ નગરમાં હેરિટેજ કોરિડોરના કામને કોઈ રોકી શકશે નહીં કારણ કે ભગવાન જગન્નાથ ઇચ્છે છે કે આ પ્રોજેક્ટ વહેલી તકે પૂર્ણ થાય. આ પ્રોજેક્ટમાં કંઈપણ ગેરકાયદે ન હોવાનો દાવો કરતાં મિશ્રાએ કહ્યું કે જો કોઈને તેમાં કોઈ સમસ્યા હોય તો તે કોર્ટનો સંપર્ક કરી શકે છે. તેમણે કહ્યું કે, બાંધકામનું કામ રાત-દિવસ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ વહેલામાં વહેલી તકે પૂર્ણ થાય તેવી ભગવાન જગન્નાથની પણ ઈચ્છા છે. ભગવાન ઇચ્છે છે તેમ બાંધકામના કામને કોઇ એજન્સી રોકી શકે નહીં, એમ તેમણે જણાવ્યું હતું.
Published On - 3:31 pm, Thu, 2 June 22