રાજકોટથી IRCTC દોડાવશે તીર્થયાત્રા વિશેષ ટ્રેનો
ભારતીય રેલ્વેની પેટા કંપની ઈન્ડિયન કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) ફેબ્રુઆરી અને માર્ચમાં ગુજરાતના રાજકોટથી ચાર તીર્થયાત્રી વિશેષ ટ્રેનો ચલાવશે.
ભારતીય રેલ્વેની પેટા કંપની ઈન્ડિયન કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) ફેબ્રુઆરી અને માર્ચમાં ગુજરાતના રાજકોટથી ચાર તીર્થયાત્રી વિશેષ ટ્રેનો ચલાવશે. આઈઆરસીટીસી વેસ્ટર્ન ઝોન ગ્રુપના જનરલ મેનેજર રાહુલ હિમાલયને કહ્યું કે, યાત્રાધામ માટેની ચારેય ટ્રેનો રાજકોટથી શરૂ થશે અને અંતિમ સ્ટોપ પણ રાજકોટ હશે. ફેબ્રુઆરીથી બે તીર્થયાત્રા વિશેષ ટ્રેનો શરૂ થશે. જે નાસિક, ઔરંગાબાદ, પરલી, કુર્નૂલ, રામેશ્વરમ, મદુરાઈ અને કન્યાકુમારીને આવરી લેશે. જ્યારે દક્ષિણ દર્શન તીર્થ વિશેષ ટ્રેન 14 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ચાલશે. IRCTC વેસ્ટર્ન ઝોન ગ્રુપના જનરલ મેનેજર રાહુલ હિમાલયને કહ્યું કે નમામી ગંગે તીર્થયાત્રા વિશેષ ટ્રેન, જે 27 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી ચાલશે, તે વારાણસી, ગયા, કોલકત્તા, ગંગા સાગર અને પુરીને આવરી લેશે.
ભારત દર્શન ટ્રેનો માર્ચથી શરૂ થશે
ભારત દર્શન ટ્રેનો પણ માર્ચ માસથી શરૂ થશે, જેમાં મથુરા, હરિદ્વાર, ઋષિકેશ, અમૃતસર અને વૈષ્ણોદેવી, કુંભ હરિદ્વારને આવરી લેવામાં આવશે. ભારત દર્શન ટ્રેન 6 માર્ચથી 14 માર્ચ સુધી ચાલશે. તેમણે કહ્યું હતું કે, દક્ષિણ ભારતની મુસાફરી કરતી ભારત દર્શન ટ્રેન 20 માર્ચથી 31 માર્ચ દરમિયાન રામેશ્વરમ, મદુરાઈ, કન્યાકુમારી, ત્રિવેન્દ્રમ, ગુરુવાયુર, તિરૂપતિ અને મૈસૂરને આવરી લેશે.
આ ઉપરાંત આઈઆરસીટીસી તેની કોર્પોરેટ તેજસ એક્સપ્રેસ ટ્રેન 14 ફેબ્રુઆરીથી અમદાવાદ-મુંબઈ રૂટ પર ફરી શરૂ કરશે. આઈઆરસીટીસીના પર્યટન બાબતોના જોઈન્ટ જનરલ મેનેજર વાયુનંદન શુક્લાએ જણાવ્યું હતું કે કોરોનાના કારણે ગયા વર્ષે માર્ચમાં તેજસ ટ્રેનની કામગીરી અટકી હતી.
તેજસ ટ્રેન ફરી શરૂ થશે
ગયા વર્ષે ઓક્ટોબરમાં લોકડાઉન હળવું થતાં આઈઆરસીટીસીએ આ સેવાઓ ફરી એકવાર શરૂ કરી હતી, પરંતુ ઓછા મુસાફરોને કારણે બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ હવે ફરી એકવાર અમે તેનું કાર્ય શરૂ કરવાનું નક્કી કર્યું છે. આ ટ્રેન શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવારે દોડશે. શુક્લાએ કહ્યું, “આ વિશેષ ટ્રેનોના ટિકિટના ભાવો મુસાફરી, ખાદ્ય પદાર્થ, સ્થાનિક બસ પરિવહન, ધર્મશાળા એકોમોડેશન , ટૂર ગાઈડ્સ અને ઘરના ખર્ચનો સમાવેશ કરે છે.”
આ પણ વાંચો: Farmer Protest: કયાં સુધી શરૂ રહેશે ખેડૂત આંદોલન? રાકેશ ટીકૈતે કરી મોટી જાહેરાત