
હાલમાં જ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશનું ફોરેક્સ રિઝર્વ બચાવવા માટે દેશવાસીઓને એક વર્ષ સુધી સોનુ ન ખરીદવાની અપીલ કરી છે. જો કે વડાપ્રધાન પહેલા એવા નથી, જેમણે સંકટની સ્થિતિમાં આવી અપીલ કરી હોય. જ્યારે જ્યારે દેશ પર આર્થિક સંકટ આવ્યુ છે, દેશના અનેક નેતાઓ આ પ્રકારની અપીલ કરી ચુક્યા છે. પહેલા તો આવા ચાર કિસ્સા વિશે જાણીએ જ્યારે આર્થિક સંકટની ઘડીમાં જનતા ક્યારે ક્યારે મદદે આવી.
વર્ષ 1962માં ભારત- ચીન યુદ્ધ દરમિયાન તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ નાગરિકોને રાષ્ટ્રીય રક્ષા કોષમાં સોનુ અને પૈસા દાન કરવાની અપીલ કરી હતી. આ ફંડ તત્કાલિન વર્ષ સશસ્ત્ર દળોના જવાનો અને તેમના પરિવારોના કલ્યાણ અને સુરક્ષા પ્રયાસો માટે સ્થાપિત કરવામાં આવ્યા હતા. એ સમયે સરકારે દાન દેવા માટેના ત્રણ ખાસ કારણો પણ આપ્યા હતા. જેમા પહેલુ નાગરિકો અને બાળકોની ભવિષ્યનું રક્ષણ, ભારતની પ્રાદેષિક અખંડિતતાનું જતન અને શાંતિનું રક્ષણ સામેલ હતુ. આ સમયગાળા દરમિયાન ઈન્દિરા ગાંધીએ 367 ગ્રામ સોનાના દાગીનાનું દાન કર્યુ હતુ.
6 જૂન 1967 એ તત્કાલિન વડાપ્રધાન ઈંદિરા ગાંધીએ લોકોને સોનુ ન ખરીદવાની અપીલ કરી હતી. એ સમયે ભારતનો વિદેશી હૂંડિયામણ પર ભારે દબાણ હતુ. ભારતને સ્વતંત્રતા મળ્યાને 20 વર્ષ થયા હતા અને પાકિસ્તાન સાથે થયેલા 1965ના યુદ્ધમાંથી ધીમે ધીમે બહાર આવી રહ્યુ હતુ, એ સમયગાળા દરમિયાન ભારત ગંભીર દુષ્કાળનો સામનો કરી રહ્યુ હતુ. વિદેશી હૂંડિયામણ ભંડાર લગભગ શૂન્ય પર હતો અને સંસ્થાઓ હજુ પણ શરૂઆતથી નિર્માણની પ્રક્રિયામાં હતી. આ સ્થિતિને પહોંચી વળવા ઈન્દિરા ગાંધીએ સાર્વજનિક રીતે નાગરિકોને કોઈપણ સ્વરૂપમાં સોનું ન ખરીદવાની અપીલ કરી હતી અને અર્થતંત્રને સુરક્ષિત રાખવા માટે રાષ્ટ્રીય શિસ્તનું પાલન કરવા આહ્વાન કર્યુ હતુ.
દેશ પર જ્યારે જ્યારે સંકટ આવ્યું ત્યારે દેશના નેતાઓએ ન માત્ર સોનું ન ખરીદવાની અપીલ કરી. પરંતુ કેન્દ્રીય બેંક પાસે રહેલા સોનાએ જ દેશને દેવાદાર થતા બચાવ્યો છે. વાત 1991 ની છે જે સમયે ભારતનો વિદેશ મુદ્રા ભંડાર લગભગ ખતમ થવાની કગાર પર હતો. ભારત પાસે કાચુ તેલ અને ખનિજ અને ખાતર જેવી જરૂરી ચીજોના આયાતની ચુકવણી માટે મુશ્કેલીથી ત્રણ સપ્તાહ ચાલે એટલો જ વિદેશી મુદ્રા ભંડાર બચ્યો હતો. ત્યારે ભારતે પહેલીવાર કેન્દ્રીય બેંકમાં રાખેલ 20 ટન સોનાને ગીરવે મુકી 200 મિલિયન ડોલર એકત્ર મેળવ્યા હતા. તેના થોડા સમય પછી ભારતે બેંક ઓફ ઈંગ્લેન્ડને 47 ટન સોનુ મોકલ્યુ હતુ. આ ધનરાશિથી ભારતે તાત્કાલિક બાહ્ય ચુકવણીઓ પુરી કર અને નાદારીથી બચી શક્યુ હતુ.
વર્ષ 2013માં યુપીએ સરકારમાં તત્કાલિન નાણાંમંત્રી પી. ચિદમ્બરમે લોકોને સોનુ નહીં ખરીદવાની અપીલ કરી હતી. તેમણે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યુ હતુ, “જો મારી કોઈ કે ઈચ્છા ભારતની જનતા પુરી કરી શકે છે તો એ છે કે તેઓ સોનુ ન ખરીદે.” એ સમયે દેશમાં ચાલુ ખાતા ખાધ (કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ) 6.7% રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચ્યો હતો. તેની પાછળ મોટા પ્રમાણમાં સોનાની આયાતને મેઈન કારણ માનવામાં આવ્યુ હતુ. આ સમયે સરકારે મોટા પ્રમાણમાં થતી સોનાની આયાતને રોકવા માટે ઈમ્પોર્ટ ડ્યુટી વધારીને 8 % કરી દીધી હતી.
વડાપ્રધાન મોદીએ છેલ્લા બે દિવસમાં દેશમાં નાગરિકોને સોનું ન ખરીદવા, ઈંધણ બચાવવા સહિત અનેક અપીલ કરી છે. તેમણે લોકોને એક વર્ષ સુધી બિનજરૂરી સોનુ ખરીદવાથી બચવાની ખાસ અપીલ કરી. જેથી વિદેશ મુદ્રાના બિનજરૂરી પ્રવાહને દેશની બહાર જતો રોકી શકાય. સાથે જ તેમણે પેટ્રોલ, ડીઝલ ના સંયમિત ઉપયોગ પર પણ ભાર મુક્તા કહ્યુ કે તેલની બચતથી દેશની આર્થિક સ્થિતિને મજબૂતી મળશે. પશ્ચિમ એશિયામાં સંકટને કારણે ઉદ્દભવેલા વૈશ્વિક તણાવ વચ્ચે વડાપ્રધાન મોદીએ આ અપીલ કરી હતી.
જો કે વિપક્ષ આ મુદ્દે સરકાર પર આક્રમક છે. લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીની સોનુ ન ખરીદવાની અપીલને સરકારની નાકામી- નિષ્ફળતા ગણાવતા કહ્યુ “સરકાર 12 વર્ષ બાદ પણ તેમની જવાબદારી જનતા પર ઢોળીને ખોટુ કરી રહી છે.” જો કે આ પહેલીવાર નથી આ પહેલા પણ સંકટની ઘડીમાં કોંગ્રેસની સરકારમાં શું સ્થિતિ હતી? તેના પર એક નજર કરીએ…
વર્ષ 1990-91માં જ્યારે ગર્લ્ફ યુદ્ધ થયુ હતુ ત્યારે આ જ પ્રકારે કાચા તેલ અને નેચરલ ગેસની સપ્લાય સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો ત્યારે આપણી પાસે કાચા તેલનો કોઈ જ રિઝર્વ સ્ટોરેજ ન હતો. ના તો સરકાર પાસે એટલા રૂપિયા હતા કે કાચા તેલ અને નેચરલ ગેસ અન્ય દેશોમાં જઈને ખરીદી શકે. એ સમયે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને 67 ટન સોનુ ગિરવે મુકવુ પડ્યુ હતુ. જેમા 47 ટન સોનુ બેંક ઓફ ઈંગ્લેન્ડ અને 20 ટન સોનુ યુનિયન બેંક ઓફ સ્વીટ્ઝર્લેન્ડ માં ગીરવે મુક્યુ હતુ. આ સોનુ ગીરવે રાખ્યા બાદ જે પૈસા આવ્યા તેનાથી આપણે આપણી અર્થવ્યવસ્થાને બચાવી શક્યા હતા.
એ સમયે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ આકાશને આંબી ગયા હતા. 1 લીટર પેટ્રોલ 9.84 પૈસાથી વધીને 15.71 પૈસા થઈ ગયુ હતુ. જ્યારે ડીઝલ 4.08 રૂપિયાથી વધીને 6.11 રૂપિયા થઈ ગયુ અને ગેસ 57.60 રૂપિયા થી વધીને 82.75 રૂપિયા થઈ ગયો હતો.