ડ્રેગનના ફાઈટર જેટને ભારત આપશે જડબાતોડ જવાબ, ચીનની સરહદ પર બીજા S-400 તૈનાત કરાશે
એલએસી ઉપર લદ્દાખથી અરુણાચલ સુધી ફાઇટર જેટ ઉડાડતા ચીનને યોગ્ય જવાબ આપવા માટે ભારત તેની બીજી S-400 સિસ્ટમ (S-400 system) ચીનની સરહદ પર તૈનાત કરશે.
ચીન છેલ્લા કેટલાક દિવસથી સતત ભારતીય સરહદ પર ફાઈટર જેટ (fighter jet) ઉડાડી રહ્યુ છે. તેને જડબાતોડ જવાબ આપવા ભારતે તેની તૈયારીઓ તેજ કરી દીધી છે. ભારત આગામી બેથી ત્રણ મહિનામાં ચીનની (China) સરહદ પર તેની બીજી S-400 મિસાઈલ એર ડિફેન્સ સિસ્ટમને (S-400 Missile Air Defense System) સક્રિય કરશે. S-400ની તહેનાતીની સાથે, ભારતીય વાયુસેના માત્ર દૂરથી જ ચીનના ફાઈટર જેટ, બોમ્બર, મિસાઈલ અને ડ્રોનને ઓળખી શકવાની સાથોસાથ પરંતુ આંખના પલકારામાં તેનો નાશ પણ કરી શકશે.
સૂત્રોએ જણાવ્યું કે રશિયાથી જહાજો અને વિમાનો દ્વારા બીજા S-400 સ્ક્વોડ્રનની ડિલિવરી ચાલુ છે. S-400 સિસ્ટમનું બીજું શિપમેન્ટ 24 ફેબ્રુઆરીએ યુક્રેન યુદ્ધની શરૂઆત પછી પ્રથમ વખત આવી રહ્યું છે. રશિયા એવા સમયે ભારતને S-400 સિસ્ટમ સપ્લાય કરી રહ્યું છે. જ્યારે ચીનની વાયુસેનાએ ભારતીય સરહદ પર તેની ગતિવિધિઓમાં નોંધપાત્ર વધારો કર્યો છે. ચાઈનીઝ ફાઈટર જેટ્સ હવે LAC નજીક 10 કિમી નો-ફ્લાય ઝોનના વિસ્તારમાં આવી રહ્યા છે. આ બંને દેશ વચ્ચેની સેનાએ નક્કી કરેલા ધારાધોરણના પગલાંનું સીધું ઉલ્લંઘન છે.
પ્રથમ S-400 સિસ્ટમ્સ ઉત્તર-પશ્ચિમ સરહદ પર તૈનાત
અગાઉ, રશિયાએ S-400નું પહેલું કન્સાઇનમેન્ટ મોકલ્યું હતું, જે ડિસેમ્બરમાં ભારતને પહોંચાડવામાં આવ્યું હતું. આ S-400 સિસ્ટમને ઉત્તર-પશ્ચિમ સરહદ પર ચીન અને પાકિસ્તાન બંને તરફથી હવાઈ ખતરાઓનો સામનો કરવા માટે તહેનાત કરવામાં આવી છે. એટલું જ નહીં, ભારતીય વાયુસેનાને આ વર્ષે એપ્રિલ અને મે મહિનામાં સિમ્યુલેટર અને અન્ય બીજા ઘણા સૈન્ય સાધનો મળ્યા હતા જેથી S-400ની ટ્રેનિંગ આપી શકાય. સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું કે S-400ની બીજી બેચને ચીનના મોરચે ખાસ કરીને હવાઈ સુરક્ષા પૂરી પાડવા માટે તહેનાત કરવામાં આવશે.
એક સૂત્રએ કહ્યું, “ચીની બાજુથી 3488 કિલોમીટર લાંબી સરહદ પર લડાકૂ વિમાનોની અવરજવર નોંધપાત્ર રીતે વધી છે, ખાસ કરીને લદ્દાખ અને અરુણાચલ પ્રદેશમાં. દરરોજ બે થી ત્રણ વખત ચીની ફાઈટર જેટ ભારતીય સરહદ તરફ ઉડી રહ્યા છે. ચીનનું એક ફાઈટર જેટ પણ 28 જૂને પૂર્વી લદ્દાખના વિવાદિત વિસ્તારમાં ભારતીય સૈનિકોની ચોકીઓ પરથી પસાર થયું હતું. આ પછી, ભારતીય વાયુસેનાએ પણ તેના ફાઇટર જેટ ઉડાવ્યા. ભારતે આ સમગ્ર મામલો ચીન સમક્ષ ઉઠાવ્યો હતો. લદ્દાખમાં છેલ્લા 2 વર્ષથી સૈન્ય વિવાદ ચાલી રહ્યો છે અને બંને દેશોના 50-50 હજાર સૈનિકો સરહદ પર ખડકી દેવાયા છે.