શું બાબા રામદેવે ચુકવવા પડશે 1000 કરોડ રૂપિયા? IMA એ મોકલી નોટિસ અને કરી આ માંગ
એલોપથી પરના વિવાદ અને IMA ને 25 પ્રશ્નો મોકલ્યા બાદ બાબા રામદેવ વધુ ફસાતા જોવા મળી રહ્યા છે. હવે IMA ઉત્તરાખંડે બાબાને 1000 કરોડની નોટીસ ફટકારી છે.
બાબા રામદેવના એલોપથી પરના નિવેદન અને વિડીયો વાયરલ થયા બાદ સમગ્ર મામલાએ વિવાદની આગ પકડી લીધી છે. યોગ ગુરુ રામદેવ હવે આ વિવાદમાં વધુને વધુ ફસાતા જોવા મળી રહ્યા છે. તેમની મુશ્કેલી વધુને વધુ વધતી જઈ રહી છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ઉત્તરાખંડે પણ હવે આ મામલે ઝંપલાવ્યું છે. બાબા રામદેવને તેઓએ 1000 કરોડ રૂપિયાની માનહાનીની નોટીસ મોકલી છે. નોટીસમાં બાબા રામદેવને 15 દિવસમાં તેમના નિવેદન માટે વિડીયો અને લેખિતમાં માફી માનવા કહેવામાં આવ્યું છે.
શું છે નોટીસમાં?
નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, “જો રામદેવ 15 દિવસની અંદર ખંડિત વિડિઓ અને લેખિત માફી નહીં માંગે, તો તેમની પાસેથી 1000 કરોડની માંગ કરવામાં આવશે. આ ઉપરાંત રામદેવને કોરોનિલ કીટની ભ્રામક જાહેરાત તમામ સ્થળોથી 72 કલાકની અંદર દૂર કરવા પણ જણાવાયુ છે. જે જાહેરાતોમા દાવો કરવામાં આવ્યો છે કે કોવિડ રસી પછી થતી આડઅસરોમાં કોરોનિલ અસરકારક છે.
IMA Uttarakhand sends a defamation notice of Rs 1000 cr to Yog Guru Ramdev. The notice states that if he doesn't post a video countering the statements given by him and tender a written apology within the next 15 days, then a sum of Rs 1000 crores will be demanded from him. pic.twitter.com/c7RlLInXi3
— ANI (@ANI) May 26, 2021
રામદેવનું વિવાદિત નિવેદન
તમને જણાવી દઈએ કે બાબા રામદેવે તાજેતરમાં એક નિવેદન આપ્યું હતું કે એલોપથીની દવાઓ ખાવાથી લાખો લોકોના મોત થયા છે. તેમણે એલોપથીને મૂર્ખ અને નાદાર વિજ્ઞાન કહ્યું હતું. રામદેવે આ બાબતે વિવાદ વધતા અને કેન્દ્રીય પ્રધાનના જોરદાર વાંધા બાદ તેમનું નિવેદન પાછું ખેંચી લીધું હતું.
રામદેવે IMA ને પૂછ્યા 25 પ્રશ્નો
એવું માનવામાં આવતું હતું કે વિવાદ અટકી જશે, પરંતુ 24 મેના રોજ રામદેવે ફરી એકવાર એલોપેથિક દવાઓની પદ્ધતિ પર સવાલ ઉઠાવ્યા છે. આ વખતે તેમણે પતંજલિના લેટરપેડ પર લખેલા પત્રમાં IMA સમક્ષ 25 પ્રશ્નો પૂછ્યા. તેમજ આ લેટરપેડ પર રામદેવની સહી પણ છે.
બાબા રામદેવે આ લેટરમાં હીપેટાઇટિસ, લીવર સોયરાઇસીસ, હૃદય વૃદ્ધિ, શુગર લેવલ 1 અને 2, ફેટી લીવર, થાઇરોઇડ, બ્લોકેજ, બાયપાસ, માઈગ્રેન, પાયરિયા, અનિદ્રા, તણાવ, ડ્રગ એડીક્ટ, ક્રોધ વગેરે પર કાયમી સારવાર વિશે પ્રશ્નો પૂછ્યા હતા.