બિલ નો કાયદો કેવી રીતે બને છે? જાણો સંસદમાં રજૂઆતથી લઈને રાષ્ટ્રપતિની મંજૂરી સુધીની રસપ્રદ સફર અને બહુમતીનું ગણિત

ભારતમાં કોઈપણ નવો કાયદો બનાવવાની પ્રક્રિયા અત્યંત ગહન અને બંધારણીય છે. સંસદના વિશેષ સત્રમાં રજૂ થયેલા ત્રણ નવા બિલો વચ્ચે, સામાન્ય જનતા માટે એ જાણવું જરૂરી છે કે એક ડ્રાફ્ટ કેવી રીતે દેશનો કાયદો બને છે અને તેમાં વિપક્ષ તથા રાષ્ટ્રપતિની ભૂમિકા શું હોય છે.

બિલ નો કાયદો કેવી રીતે બને છે? જાણો સંસદમાં રજૂઆતથી લઈને રાષ્ટ્રપતિની મંજૂરી સુધીની રસપ્રદ સફર અને બહુમતીનું ગણિત
Image Credit source: TV9 Network
| Updated on: Apr 18, 2026 | 9:15 PM

ભારતીય લોકશાહીમાં સંસદ એ કાયદા ઘડવાનું સૌથી મોટું મંદિર છે. હાલમાં જ સરકાર દ્વારા 131મું બંધારણીય સુધારો, પરિસીમન બિલ અને કેન્દ્રશાસિત પ્રદેશ કાયદા સુધારા જેવા મહત્વના બિલો રજૂ કરવામાં આવ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે સંસદમાં રજૂ થયેલું કોઈપણ ‘વિધેયક’ (Bill) કેવી રીતે ‘અધિનિયમ’ (Act) એટલે કે કાયદો બને છે? આ પ્રક્રિયા પાંચ મહત્વના તબક્કાઓમાંથી પસાર થાય છે.

બિલની તૈયારી અને પ્રથમ વાંચન

સૌ પ્રથમ જે-તે મંત્રાલય દ્વારા બિલનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવે છે. જો તે મંત્રી રજૂ કરે તો ‘સરકારી બિલ’ અને જો કોઈ અન્ય સાંસદ રજૂ કરે તો તેને ‘પ્રાઈવેટ બિલ’ કહેવામાં આવે છે. પ્રથમ વાંચનમાં માત્ર બિલનું શીર્ષક અને તેનો ઉદ્દેશ્ય જણાવવામાં આવે છે, તેના પર કોઈ ચર્ચા થતી નથી.

દ્વિતીય અને તૃતીય વાંચન (સૌથી મહત્વનો તબક્કો)

બીજા વાંચન દરમિયાન બિલની એક-એક કલમ પર ઝીણવટભરી ચર્ચા થાય છે. અહીં જ સુધારા-વધારા સૂચવવામાં આવે છે. જરૂર જણાય તો બિલને ‘સિલેક્ટ કમિટી’ પાસે પણ મોકલવામાં આવે છે. ત્રીજા વાંચનમાં માત્ર બિલનો સ્વીકાર કરવો કે અસ્વીકાર તે માટે મતદાન થાય છે.

સંસદના બંને ગૃહોનું સમીકરણ

એક ગૃહમાં પાસ થયા પછી બિલ બીજા ગૃહમાં જાય છે.

  • લોકસભા: અહીં બહુમતી માટે 543માંથી 272 સભ્યોનું સમર્થન જરૂરી છે. ‘મની બિલ’ (નાણાકીય વિધેયક) માં લોકસભા પાસે વિશેષ સત્તા છે.
  • રાજ્યસભા: અહીં 245 સભ્યો હોય છે. સામાન્ય બિલોમાં રાજ્યસભા પાસે લોકસભા જેટલી જ સત્તા છે, પરંતુ મની બિલને તે માત્ર 14 દિવસ રોકી શકે છે.

બહુમતીના પ્રકાર

બિલની પ્રકૃતિ મુજબ તેને પાસ કરવા માટે ત્રણ પ્રકારની બહુમતી જોઈએ છે:

  • સાધારણ બહુમતી: હાજર સભ્યોના 50 ટકાથી વધુ.
  • પૂર્ણ બહુમતી: કુલ સભ્ય સંખ્યાના 50 ટકાથી વધુ.
  • વિશેષ બહુમતી: બંધારણીય સુધારા માટે હાજર સભ્યોના બે-તૃતીયાંશ (2/3) મત અનિવાર્ય છે.

રાષ્ટ્રપતિની અંતિમ મંજૂરી

જ્યારે બંને ગૃહો બિલ પસાર કરી દે, ત્યારે તે રાષ્ટ્રપતિ પાસે જાય છે. રાષ્ટ્રપતિ હસ્તાક્ષર કરે તે સાથે જ બિલ કાયદો બની જાય છે. જો કોઈ બિલ પર બંને ગૃહો વચ્ચે મડાગાંઠ સર્જાય, તો કલમ 108 હેઠળ રાષ્ટ્રપતિ ‘સંયુક્ત બેઠક’ પણ બોલાવી શકે છે. અંતે ગેઝેટમાં પ્રસિદ્ધ થયા બાદ આ કાયદો આખા દેશમાં અમલી બને છે.

ડ્રેગનની ખુલી પોલ: પાકિસ્તાન બાદ હવે ઈરાનને ‘પડદા પાછળ’થી મદદ કરતું ઝડપાયું ચીન!

Follow Us