રમઝાનમાં રોઝા રાખવા પાછળનો શું છે ઈતિહાસ? શું ઈસ્લામના આવ્યા પહેલા પણ રોઝા રાખવાની પરંપરા હતી ? વાંચો
તમે ક્યારેય વિચાર્યું છે કે રોઝા માટે ફક્ત 30 દિવસ કેમ નક્કી કરવામાં આવ્યા છે? શું ઈતિહાસમાં ક્યારેય એવું બન્યું છે કે 30 દિવસથી વધુ રોઝા રાખવામાં આવ્યા હોય? અને શું રોઝા રાખવાની પરંપરા ઇસ્લામના આવ્યા પછી શરૂ થઈ હતી કે ઇસ્લામના આગમન પહેલાં પણ રોઝા રાખવામાં આવતા હતા? શું તમે ક્યારેય વિચાર્યું છે કે રોઝા દરમિયાન ફક્ત સવારે કે સૂર્યાસ્ત પછી જ ભોજન કેમ લેવામાં આવે છે? દિવસ દરમિયાન ભોજન કેમ નથી લેવામાં આવતું?

ઇસ્લામના સૌથી પાક મહિનાઓમાંથી એક મહિનો માનવામાં આવે છે રમઝાનનો મહિનો. કેટલાક લોકો તેને રમાદાન પણ કહે છે. આ મહિનામાં મુસ્લિમો રોઝા રાખે છે. રોઝા દરમિયાન મુસ્લિમો સૂર્યોદય પછીથી સૂર્યાસ્ત પહેલાં કંઈ ખાતા નથી. પાણી પીવાની પણ મનાઈ હોય છે. આ રોઝા 30 દિવસનો હોય છે. રમઝાનને સુકુનનો મહિનો કહેવામાં આવે છે. પરંતુ વિચારવા જેવી વાત એ છે કે રમઝાનના મહિનામાં માત્ર 30 દિવસના રોઝા કેમ રાખવામાં આવે છે? ઇસ્લામમાં રોઝા રાખવાની શરૂઆત ઘણા સમય પહેલા થઈ ગઈ હતી. ઇસ્લામના છેલ્લા પયગંબર હઝરત મોહમ્મદ સાહેબે જ્યારે હજ યાત્રા શરૂ કરી ત્યારે બીજા વર્ષથી રોઝા રાખવાની શરૂઆત કરી હતી. આ વર્ષ 624 AD હતું. ત્યાર પછીથી આજ સુધી રમઝાનના મહિનામાં રોઝા રાખવામાં આવે છે. જો કે, આ ઈતિહાસ માત્ર અહીં સમાપ્ત નથી થતો.
રોઝાનો ઇતિહાસ હઝરત મોહમ્મદ સાહેબ કરતાં પણ પહેલાનો છે. હઝરત સાહેબના દુનિયામાં આવ્યા પહેલાં પણ ઘણા વર્ષો પહેલાંથી જ રોઝા રાખવામાં આવતા હતા. અરબના ઘણા ભાગોમાં રોઝા રાખવાની પરંપરા હતી. આ પરંપરા યહુદી ધર્મમાંથી આવી હતી. દુનિયાના ત્રણ ધર્મો એક જ સ્થાનેથી આવ્યા છે- ઇસ્લામ, યહુદી અને ખ્રિસ્તી. તેને અબ્રાહમીક રિલિજન કહેવામાં આવે છે કારણ કે આ ત્રણેય ધર્મોની શરૂઆત પયગંબર અબ્રાહમથી થઈ હતી એવું માનવામાં આવે છે. એટલે કે, યહુદી અને મુસ્લિમો ભલે લાંબા સમય સુધી લડતા રહ્યા હોય, પરંતુ આ બંને ધર્મો પયગંબર અબ્રાહમને પોતાનો પયગંબર માને છે.
રોઝા રાખવાની પરંપરા ક્યારથી શરૂ થઈ ?
14મી સદીના ઇસ્લામિક ઇતિહાસકાર, ઇબ્ને કાથીર, સૂરા અલ-બકરાનો ઉલ્લેખ કરીને કહે છે કે પયગંબર ઇબ્રાહિમ રોઝા રાખતા હતા. જો કે ત્યારે તેનું નામ ‘રોઝા’ નહોતું, પરંતુ તેઓ ઉપવાસ રાખતા હતા. તેમના કારણે યહુદીઓ પણ રોઝાની પરંપરાને માનતા હતા. પયગંબર મોહમ્મદ પહેલાં પણ અન્ય પયગંબરો હતા જેઓ રોઝા અથવા વ્રત રાખવાની પરંપરામાં માનતા હતા. જેમ કે, ખ્રિસ્તીઓના ગ્રંથ, ઓલ્ડ ટેસ્ટામેન્ટના એક્ઝોડસ 34:28 માં હઝરત મુસાના રોઝા રાખવાનો ઉલ્લેખ મળે છે. આટલું જ નહીં, હઝરત મુસા 30 દિવસને બદલે 40 દિવસનો રોજો રાખતા હતા. એક્ઝોડસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે “SO He (Moses) was There With The Lord Forty Days And Forty Nights; He Neither ate Bread Nor Drank Water. And He Wrote On The Tablets The Words Of The Covenant, The Ten Commandments”
“અર્થાત, હજરત મુસાએ 40 દિવસ સુધી રોઝા રાખ્યા અને આ દરમિયાન ન તેમણે દિવસે કંઈ ખાધુ કે ન રાત્રે. હઝરત મુસા પણ ઇસ્લામના મહત્વપૂર્ણ પયગંબરોમાંથી એક હતા. હવે, એક પ્રશ્નનો જવાબ તો મળી ગયો કે પયગંબર મોહમ્મદ પહેલાં પણ, એટલે કે, ઇસ્લામના અસ્તિત્વમાં આવ્યા પહેલા રોઝા જેવી પ્રથાનું ચલણ હતુ. જેમ કે, યહુદીઓમાં આવા ઉપવાસોને ગેદાલિયા અથવા યોમ કિપ્પુર કહેવામાં આવતા હતા. ખ્રિસ્તીઓમાં આવા ઉપવાસને લેન્ટ કહેવામાં આવતો હતો, જે શુક્રવારના દિવસે રાખવામાં આવતો હતો. જો તમે આ રીતે જોશો તો રોઝા રાખવાની પરંપરા પયગંબર મોહમ્મદે પોતાના પૂર્વજ પયગંબરોથી પ્રેરણા લઈને શરૂ કરી હશે. આ પ્રેરણા તેમને સાલ 622 એડીમાં મળી હતી જ્યારે તેઓ પોતાના લોકો સાથે મદીનાની યાત્રા પર નીકળ્યા હતા.
ઈસ્લામમાં રોઝાને કેમ ગણાવ્યો છે પાંચમો સ્તંભ?
આ યાત્રામાં તેમણે કંઈક એવું જોયું જેના પછી તેમણે તમામ મુસ્લિમો માટે રોઝાની પરંપરા શરૂ કરી. હવે, પ્રશ્ન એ છે કે હિજરતની આ યાત્રામાં એવું શું બન્યું કે પયગંબર મોહમ્મદે ઇસ્લામમાં રોઝાને પાંચમો સ્તંભ બનાવ્યો? તેની પાછળ પણ રસપ્રદ કિસ્સો રહેલો છે કે મદીનામાં હિજરત કર્યા પછી, જ્યારે પયગંબર મોહમ્મદે જોયું કે મદીનાના લોકો આશુરાની તારીખ, એટલે કે, મુહર્રમની 10મી તારીખે રોઝા રાખે છે, ત્યારે તેમણે પૂછ્યું કે તમે આ રોજો કેમ રાખો છો? લોકોએ જવાબ આપ્યો કે આ દિવસે, એટલે કે, આશુરાની તારીખે, અલ્લાહે મુસાને ફિરોનના ચંગુલમાંથી મુક્ત કર્યા હતા. તેથી જ અમે રોઝા રાખીએ છીએ.
હવે, ફિરોન કોણ છે? ફિરોન અથવા ફેરો મિસરનો સૌથી શક્તિશાળી રાજા હતો જેણે 16મી સદી પૂર્વે ઇજિપ્ત પર શાસન કર્યું હતું.હવે, જ્યારે પયગંબર મોહમ્મદે મુસાની વાર્તા સાંભળી ત્યારે તેમણે કહ્યું કે મુસાના સન્માનમાં રોઝા રાખવાનો સૌથી મોટો હક્કદાર હું છું. પછી તેમણે પણ રોજો રાખ્યો અને તેમના સાથીઓને રોજો રાખવાનું કહ્યું. સાથે જ, તેમણે કહ્યું કે આવતા વર્ષે જો હું જીવતો રહીશ તો હું બે દિવસ રોજો રાખીશ. આ હકીકતનો સહીદ બુખારીમાં ઉલ્લેખ છે, જેની હદીસ નંબર 2004 માં પયગંબરે આદેશ આપ્યો હતો. ત્યારપછી વર્ષ 624 A.D.માં કુરાનની આયતમાં રોઝાને ફરજ તરીકે ઉમેરવામાં આવ્યો.
કુરાનમાં કેટલા દિવસના રોઝા રાખવાનો નિયમ છે?
મુસા અને અબ્રાહમની વાર્તાઓ ઉપરાંત કુરાનની બીજી આયતોમાંથી પણ ખબર પડે છે કે ઇસ્લામ પહેલાં પણ રોઝા રાખવામાં આવતા હતા. કુરાનની બીજી આયત, સૂરા અલ-બકરામાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે રોજો તમારા પર તે જ રીતે ફરજિયાત કરવામાં આવે છે જેમ તે તમારા પહેલાંની ઉમ્મત પર ફરજિયાત હતો. એટલે કે, પહેલાં પણ રોઝા રાખવામાં આવતા હતા. પરંતુ કુરાનની આયતમાં સામેલ થયા પછી, તમામ મુસ્લિમો માટે 30 દિવસ રોજો રાખવાનો નિયમ બનાવવામાં આવ્યો.
રમઝાન ઇસ્લામનો સૌથી પવિત્ર મહિનો માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે હિજરી કેલેન્ડરના આ નવમા મહિનામાં અલ્લાહ જન્નતનો દરવાજો ખોલી દે છે અને શેતાનને બંધ કરી દે છે. આથી જ મુસ્લિમો આ સમગ્ર મહિના દરમિયાન કોઈ પણ પ્રકારના નાપાક કામો કરવાથી બચે છે. જોકે, પયગંબર મોહમ્મદ પહેલાંના પયગંબરો અલગ-અલગ રીતે રોઝા રાખતા હતા. જેમ કે, હઝરત અબ્રાહમ ચંદ્ર માસના ત્રણ દિવસ રોઝા રાખતા હતા. જ્યારે હઝરત મુસા, આશુરાના દિવસે એક દિવસનો રોજો રાખતા હતા. પરંતુ પયગંબર મોહમ્મદે આ નિયમને હંમેશ માટે બદલી નાખ્યો અને ત્યારથી લઈને આજ સુધી 30 દિવસ રોઝા રાખવામાં આવે છે. હવે, સવાલ એ પણ થાય કે 30 દિવસ જ કેમ? 30 દિવસ સુધી રોઝા રાખવા પાછળ શું માન્યતા છે? અથવા તેની પાછળ કોઈ વિજ્ઞાન છે જે લોકોને ખબર નથી?
ઈસ્લામિક કેલેન્ડર શેના આધારે ચાલે છે?
રમઝાનના મહિનામાં 30 દિવસ રોજો રાખવા પાછળ ઇસ્લામિક કેલેન્ડરનું ખૂબ મહત્વ છે. તમને ખબર જ હશે કે ઇસ્લામિક કેલેન્ડરને હિજરી કહેવામાં આવે છે. હિજરી કેલેન્ડર ચંદ્ર કેલેન્ડર છે, જેમાં દિવસોની ગણતરી ચંદ્રની ગતિના આધારે થાય છે. ઇસ્લામિક કેલેન્ડર ચંદ્રના આધારે ચાલે છે, જેમાં દરેક મહિનો 29 અથવા 30 દિવસનો હોય છે. રમઝાનનો મહિનો પણ આ રીતે નક્કી થાય છે. જો 29મા દિવસે ચંદ્ર દેખાય તો રમઝાનનો મહિનો પણ 29 દિવસનો હોય છે નહીંતર 30 દિવસનો. આ રમઝાન મહિનાની વાત છે. આ દિવસો પણ ચંદ્ર દેખાયા પછી નક્કી કરવામાં આવે છે.
ઇસ્લામિક કેલેન્ડર 354 દિવસનું હોય છે, 365 નહીં. જ્યારે સામાન્ય સૌર કેલેન્ડર 365 દિવસનું હોય છે. આ જ કારણે દર વર્ષે રમઝાનની તારીખો બદલાતી રહે છે. પરંતુ તેની અવધિ હંમેશા 29 અથવા 30 દિવસની જ હોય છે, જે ચંદ્રના દેખાવા પર આધારિત છે. રમઝાનનો મહિનો નવા ચંદ્રથી શરૂ થાય છે અને શવ્વાલના નવા ચંદ્ર સાથે સમાપ્ત થાય છે. જે પછી ઈદ મનાવવામાં આવે છે. આ રીતે 29 કે 30 દિવસ રોઝા રાખવામાં આવે છે. હવે, જો જોવામાં આવે તો 30 દિવસ રોઝા રાખવા પાછળ હિજરી કેલેન્ડર જ જવાબદાર નથી. કોઈપણ ધર્મમાં જે માન્યતા હોય છે તે ધાર્મિક ગ્રંથો શું કહે છે તેના પર આધારિત હોય છે. આ રીતે, ઇસ્લામના પવિત્ર ગ્રંથો, જેમ કે, કુરાન અને હદીસમાં 30 દિવસના રોઝાનો ઉલ્લેખ અથવા નિયમ મળે છે. કુરાનની સૂરા અલ-બકરા, 2:158 માં કહેવામાં આવ્યું છે કે રમઝાન એ મહિનો છે જેમાં કુરાન નાઝિલ કરવામાં આવ્યુ, જે મનુષ્યો માટે માર્ગદર્શન અને સત્યને સ્પષ્ટ કરનાર છે. એ જણાવે છે કે રોજો રમઝાનના સમગ્ર મહિના દરમિયાન રાખવો જરૂરી છે.
રોઝા 29 દિવસ કે 30 દિવસના શેના આધારે નક્કી થાય છે?
આ જ રીતે, પયગંબર મોહમ્મદની હદીસ બુખારીમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે ચંદ્ર દેખાય ત્યારે રોજો શરૂ કરો અને જ્યારે ચંદ્ર દેખાય ત્યારે રોજો પૂર્ણ કરો. જો વાદળો હોય અને ચંદ્ર દેખાય નહીં, તો 30 દિવસ પૂર્ણ કરો. એટલે કે, જો 29મા દિવસે ચંદ્ર ન દેખાય, તો 30 દિવસ રોઝા રાખવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે રમઝાનના મહિનામાં રોઝા મનુષ્યને સબ્ર, સંયમ અને ખુદાની ઇબાદતમાં ઊંડાણપૂર્વક જોડાવાનો અવસર આપે છે. આ ફક્ત ભૂખ્યા-તરસ્યા રહેવા માટે નથી, પણ પોતાના આત્માને શુદ્ધ કરવા અને ખુદાની નજીક જવા માટે રાખવામાં આવે છે. હવે, તેની પાછળનું વિજ્ઞાન પણ કહેવામાં આવે છે કે 30 દિવસ સુધી રોઝા રાખવાથી શરીરને શિસ્તની આદત પડે છે અને માણસ પોતાની અંદર ધીરજ અને આત્મ-નિયંત્રણ વિકસાવી શકે છે.
જો કે, રસપ્રદ વાત એ છે કે ઇતિહાસમાં કેટલીક એવી તારીખો છે પણ જ્યારે 29 કે 30 દિવસને બદલે 31 દિવસના પણ રોઝા રાખવામાં આવ્યા હોય. આવું તેથી બન્યું કારણ કે હવામાનની સ્થિતિને કારણે ઘણી વખત ચંદ્ર દેખાવામાં મોડું થઈ જતું હતું. અથવા જૂના સમયમાં જ્યારે ઇન્ટરનેટની સુવિધા નહોતી, ત્યારે લોકોએ ભૂલથી 31 દિવસનો રોજો રાખી લીધો હતો. જોકે, ઇસ્લામમાં 31 દિવસના રોઝાની માન્યતા નથી, પરંતુ જો કોઈ આવું કરે છે, તો તેને અજાણતાં થયેલી ભૂલ ગણવામાં આવે છે અને અલ્લાહ પાસે માફી માંગવામાં આવે છે.
રોઝા રાખવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શું હોય છે?
હવે એક પ્રશ્ન એ બાકી રહે છે કે દિવસ દરમિયાન ભોજન કરવાની મનાઈ કેમ છે? તો, તેની પાછળ કોઈ ઐતિહાસિક સ્ત્રોત મળતો નથી, કોઈ ઐતિહાસિક પુરાવા નથી. જોકે, સૂરા અલ-બકરા 2:187 માં કહેવામાં આવ્યું છે કે રોઝા દરમિયાન સૂર્યોદય પહેલાંથી લઈને સૂર્યાસ્ત સુધી ખાવા-પીવાની મનાઈ છે. પરંતુ રાત્રે તેની પરવાનગી છે. આ પરંપરા લગભગ બધા ધર્મોમાં જોવા મળે છે. હકીકતમાં, રોઝાનો હેતુ ફક્ત ભૂખ્યા-તરસ્યા રહેવાનો નથી, પરંતુ માણસને પોતાની ઇચ્છાઓ પર નિયંત્રણ રાખવાનું અને સ્વયં-શિસ્ત શીખવવાનું છે. દિવસ દરમિયાન ખાવાની મનાઈ તેથી કરવામાં આવી છે કે જેથી માણસ પોતાની ઈચ્છાઓને નિયંત્રિત કરી શકે. પરંતુ રાત્રે ખાવાની પરવાનગી તેથી આપવામાં આવી છે કે જેથી શરીરને ઉર્જા મળી શકે અને આગલા દિવસના રોઝા માટે શરીર તૈયાર થઈ શકે.