જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ડૉ. ફારૂક અબ્દુલ્લાએ (Farooq abdullah) તાજેતરમાં રિલીઝ થયેલી બૉલીવુડ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે. તેમણે કહ્યું, ‘અમે જમ્મુ અને કાશ્મીરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો મુદ્દો ઉઠાવવા માટે એલજી મનોજ સિંહાને મળ્યા છીએ. મીટિંગ દરમિયાન મેં તેમને કહ્યું કે ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ (The Kashmir Files) દેશમાં નફરતને જન્મ આપ્યો છે, તેથી આવી ફિલ્મો પર પ્રતિબંધ મૂકવો જોઈએ. તેમણે કહ્યું કે દેશમાં મુસ્લિમો વિરુદ્ધ નફરતનું વાતાવરણ છે અને કાશ્મીરમાં મુસ્લિમ યુવાનોમાં ગુસ્સો છે તેની પાછળ આ જ કારણ છે.
નોંધનીય છે કે 2010-11માં જમ્મુ અને કાશ્મીરમાં પ્રવાસીઓ માટે વિશેષ રોજગાર પેકેજ હેઠળ કારકુનની નોકરી મેળવનારા રાહુલ ભટ્ટની ગુરુવારે બડગામ જિલ્લાના ચડૂરા શહેરમાં આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોથી કાશ્મીરી પંડિતો પર થઈ રહેલા હુમલાઓને જોતા લેફ્ટનન્ટ ગવર્નરના આદેશ પર તેમના ઘરોની બહાર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. ફારુક અબ્દુલ્લા ઉપરાંત ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, આતંકવાદીઓ દ્વારા કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યાની પૃષ્ઠભૂમિમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે કાશ્મીરી પંડિતોના નરસંહાર પર બોલવા કરતાં ફિલ્મ પર બોલવું વધુ મહત્વનું છે.
રાહુલ ભટ્ટની પત્નીનો એક વિડિયો શેયર કરતા તેણે ટ્વિટ કર્યું કે, ‘પીએમ માટે કાશ્મીરી પંડિતોના નરસંહાર કરતાં ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પર બોલવું વધુ મહત્વનું છે. ભાજપની નીતિઓને કારણે આજે કાશ્મીરમાં આતંક ચરમસીમાએ છે.” રાહુલ ગાંધીએ કહ્યું, ‘વડાપ્રધાન, સુરક્ષાની જવાબદારી લો અને શાંતિ સ્થાપવાનો પ્રયાસ કરો.
કાશ્મીર ખીણમાંથી હિંદુઓના હિજરત પરની હિન્દી ફિલ્મ કાશ્મીર ફાઇલ્સ પર સિંગાપોરમાં પ્રતિબંધ મૂકવામાં આવશે. કારણ કે ફિલ્મને સ્થાનિક ફિલ્મ વર્ગીકરણ માર્ગદર્શિકાના કાર્યક્ષેત્રની બહાર ગણવામાં આવી છે. ઇન્ફોકોમ મીડિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (IMDA) એ સંસ્કૃતિ, સમુદાય અને યુવા મંત્રાલય અને ગૃહ મંત્રાલય સાથેના સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, અધિકારીઓને હિન્દી ભાષાની ફિલ્મ સિંગાપોરના ફિલ્મ વર્ગીકરણના ધોરણોથી ઉપર હોવાનું જણાયું છે. તેમણે કહ્યું કે, ફિલ્મ વર્ગીકરણ માર્ગદર્શિકા હેઠળ સિંગાપોરમાં વંશીય અથવા ધાર્મિક સમુદાયોને અપમાનજનક કોઈપણ સામગ્રીની મંજૂરી નથી.