કેન્દ્ર સરકારના કૃષિ કાયદાને પાછો ખેંચવાની જાહેરાત પર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું છે કે ”વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બધું સ્પષ્ટ કરી દીધું છે. આ નિર્ણય તેમનો છે. અગાઉ પણ નિર્ણય તેમણે જ લીધો હતો. હવે જે યોગ્ય લાગ્યુ તે નિર્ણય લીધો છે અને પીએમ મોદીએ બધું સ્પષ્ટ કરી દીધું છે.
વિપક્ષના લોકોને જે કહેવુ છે તે તેમની પોતાની મરજી છે. ખેડૂતો માટે જે કામ થઈ રહ્યું છે તે ચાલુ રહેશે. ત્યાં કોઈ અસંતોષ નથી. આ વડાપ્રધાનનો નિર્ણય હતો અને આ ત્રણેય કાયદા સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યા હતા. આ નિર્ણય તેમનો છે, તેથી તેના પર કોઈ પ્રતિક્રિયા ન હોઈ શકે. તેમણે દરેક વાત સ્પષ્ટ કરી દીધી છે.”
જણાવી દઈએ કે ગુરુ નાનક જયંતિના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટો નિર્ણય લીધો છે. વડાપ્રધાને ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી છે અને આગામી સંસદ સત્રમાં તેના પર જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવાનું કહ્યું છે.
દેશને સંબોધનમાં PMએ કહ્યું કે ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચી લેવામાં આવ્યા છે. પીએમે કહ્યું કે તેમની તપસ્યામાં કંઈક ઉણપ રહી હશે, જેના કારણે તેમની સરકાર કેટલાક ખેડૂતોને સમજાવી શકી નહીં, આ સાથે પીએમ નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદા વિશે જણાવ્યું કે કેટલાક ખેડૂતો તેના વિશે સમજી શક્યા નથી.
તેમણે કહ્યું કે આ ત્રણ કૃષિ કાયદા ખેડૂતોની સ્થિતિ સુધારવાના મહાન અભિયાનમાં લાવવામાં આવ્યા હતા. તેનો હેતુ એ હતો કે નાના ખેડૂતોને વધુ શક્તિ મળવી જોઈએ અને તેઓને તેમના ઉત્પાદનના યોગ્ય ભાવ મળવા જોઈએ. વર્ષોથી દેશના કૃષિ નિષ્ણાંતો, સંગઠનો અને વૈજ્ઞાનિકો આ માંગ કરી રહ્યા હતા.
ભૂતકાળમાં પણ ઘણી સરકારોએ મંથન કર્યું હતું. આ વખતે પણ સંસદમાં ચર્ચા થઈ અને અમે કાયદો લાવ્યા. દેશના ખૂણે ખૂણે, વિવિધ ખેડૂત સંગઠનોએ આ કાયદાનું સ્વાગત પણ કર્યું અને ટેકો આપ્યો. આજે તેમના સમર્થન માટે હું તે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ પછી નીતીશ કુમારે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે જ્યારે વડાપ્રધાને સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે તો પછી તેમણે આગળ શું કહેવું જોઈએ.
આ પણ વાંચો: Video : યુવકને રસ્તા વચ્ચે સ્ટંટ કરવા પડ્યા ભારે ! સ્ટંટ કરવાના ચક્કરમાં થયા હાલ-બેહાલ