દિલ્લી લિકર પોલિસી કૌભાંડ પર EDની મોટી કાર્યવાહી, દેશભરમાં 40 સ્થળો પર દરોડા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં મોટી કાર્યવાહી કરી છે. આ મામલામાં ED એ હૈદરાબાદ, બેંગ્લોર અને ચેન્નઈ સહિત દેશના અનેક શહેરોમાં દરોડા પાડ્યા છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્લી એક્સાઇઝ પોલિસીના (Enforcement Directorate) સંબંધમાં હૈદરાબાદ, બેંગલુરુ અને ચેન્નાઈ સહિત સમગ્ર ભારતમાં 40 સ્થળોએ દરોડા પાડ્યા છે. બીજેપીએ (BJP) બીજા ‘સ્ટિંગ’ વિડીયો પોસ્ટ કર્યાના એક દિવસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે દારૂના ધંધાર્થીઓએ ગોવા અથવા પંજાબમાં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) અને પાર્ટીને 100 કરોડ રૂપિયાથી વધુની ચૂકવણી કરી હતી. આ નાણાંનો ઉપયોગ તેમની ચૂંટણી માટે કર્યો હતો.
ભારતીય જનતા પાર્ટી (BJP) એ ગુરુવારે આરોપ લગાવ્યો હતો કે રાજધાની દિલ્લીની આમ આદમી પાર્ટી (AAP) એ એક નવી એક્સાઈઝ પોલિસી લઈને આવી છે જેનો ઉદ્દેશ્ય પસંદગીના કેટલાક લોકોને છેતરવાનો છે અને તેમાંથી કમાયેલા નાણાંનો ઉપયોગ પંજાબ અને ગોવાની વિધાનસભા ચૂંટણીમાં કરવામાં આવ્યો હતો. બીજેપી હેડક્વાર્ટર ખાતે આયોજિત એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા, પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કથિત દારૂ કૌભાંડના આરોપી અમિત અરોરાના કથિત સ્ટિંગ ઓપરેશનનો ઉલ્લેખ કર્યો.
કેજરીવાલના નિવેદનો માટે માફી માગો
બીજેપીએ દિલ્લીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કરતાં તેમને કહ્યું કે તેઓ કાં તો આ મામલે પગલાં લે અથવા ભ્રષ્ટાચાર વિરુદ્ધ પગલાં લેવા અંગેના તેમના અગાઉના નિવેદનો માટે જાહેર માફી માંગે. પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના કૌભાંડના જે સ્ટિંગ સામે આવ્યા છે તેમાં કૌભાંડના આરોપી નંબર-9 અમિત અરોરાએ સમગ્ર પોલ ખુલ્લી પાડી દીધી છે. કોની પાસેથી કેટલા રૂપિયા લેવામાં આવ્યા, કેવી રીતે કૌભાંડ થયું, આ તમામ બાબતોનો પર્દાફાશ થયો છે. સમગ્ર કૌભાંડ માટે જ સમગ્ર પોલીસી તૈયાર કરવામાં આવી હતી.
ચૂંટણીમાં દારૂ કૌભાંડના નાણાંનો ઉપયોગ
એટલું જ નહીં, તેમણે કહ્યું કે, દારૂ કૌભાંડના પૈસાનો ઉપયોગ ગોવા અને પંજાબની વિધાનસભા ચૂંટણીમાં કરવામાં આવ્યો હતો. ભાજપના પ્રવક્તાએ કહ્યું કે કેજરીવાલે દિલ્લીની જનતાને કહ્યું હતું કે જો કોઈ તેમની પાસે પૈસા માંગે તો તેઓ તેનો વીડિયો બનાવે. તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે
ભાજપના પ્રવક્તાએ કહ્યું કે આરોપીનો વીડિયો જાહેર મંચ પર ઉપલબ્ધ છે, તેથી સીએમ કેજરીવાલે તેના પર કાર્યવાહી કરવી જોઈએ. બીજેપીના દિલ્લીના યુનિટના અધ્યક્ષ આદેશ ગુપ્તાએ કહ્યું કે આ સ્ટિંગ ઓપરેશનથી કેજરીવાલની તમામ પોલ ખુલ્લી પડી ગઈ છે. તેમણે સવાલ કર્યો કે ભ્રષ્ટાચાર પર ક્યારે કાર્યવાહી કરાશે ? નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને ક્યારે બરતરફ કરવામાં આવશે ?