PMJAY : પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો વ્યાપ વધારી રહી છે કેન્દ્ર સરકાર, હેલ્થ બજેટમાં પણ વધારો કરાશે
ડો.પૌલે કહ્યું કે સરકાર PMJAY યોજનામાં સુધારો કરવાનું ચાલુ રાખશે. જે સંસ્થાઓ અત્યાર સુધી તેનો ભાગ બની નથી તેમણે પણ તેની સાથે ભાગીદારી કરવી જોઈએ.
DELHI : નીતિ આયોગના સભ્ય ડો.વી.કે.પૌલ (Dr.V.K.Paul)એ કહ્યું કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)નો વ્યાપ વધારી રહી છે. PMJAY સાથે અન્ય સરકારી યોજનાઓ જોડાઈ રહી છે. રાજ્ય સરકારોની વિવિધ પહેલ અંગે આ યોજનાના વિકાસ માટે અનેક સંભાવનાઓ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ડો.પૌલે ઉદ્યોગ જગતને આરોગ્ય ક્ષેત્રનું માળખું મજબૂત કરવા આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર આરોગ્ય ક્ષેત્ર માટેના બજેટમાં વધારો કરશે. ડો.પૌલે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને નીતિ યોગ દ્વારા આયોજિત કાર્યક્રમ FICCI HEAL-2021ના ઉદ્ઘાટન સત્રના સંબોધનમાં આ વાત કરી છે.
ડો.પૌલે કહ્યું કે સરકાર PMJAY યોજનામાં સુધારો કરવાનું ચાલુ રાખશે. જે સંસ્થાઓ અત્યાર સુધી તેનો ભાગ બની નથી તેમણે પણ તેની સાથે ભાગીદારી કરવી જોઈએ. તેમણે કહ્યું કે આપણે બાકીની હોસ્પિટલોને PMJAYમાં સમાવવા માટે કામ કરવું જોઈએ. દેશને ક્રિટીકલ મેડીસીન અને કટોકટીની દવાના ક્ષેત્રમાં વિસ્તરણ કરવાની જરૂર છે અને આને આગળ વધારવું પડશે. આ માટે નેશનલ નેટવર્ક ઓફ એક્સેલન્ટ ઇમરજન્સી એન્ડ ટ્રોમા સિસ્ટમ બનાવવાની જરૂર છે. જેના માટે ઉદ્યોગ જગતની મદદની જરૂર છે.
હેલ્થકેરનું બજેટ બમણું કરવામાં આવશે ડો.પૌલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારો હેલ્થકેર બજેટને વધારવાની યોજના બનાવી રહી છે અને તેને વર્તમાન 4.5 ટકાથી વધારીને 8 ટકા કરવાની યોજના ધરાવે છે. આ હેલ્થકેરની સ્થિતિમાં સુધારો કરશે. તેમણે ખાનગી ક્ષેત્રને આગામી વર્ષના બજેટ માટે સૂચનો આપવા અને દેશના આયુષ અથવા પરંપરાગત દવા ક્ષેત્રને કેવી રીતે મજબૂત અને ઉપયોગ કરવો તે જણાવવા અપીલ કરી છે.
જિલ્લા હોસ્પિટલોને મેડિકલ કોલેજમાં બદલવી જોઈએ હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પોતાના મંતવ્યો આપતી વખતે ડો.પોલે કહ્યું કે આપણે વધુ જિલ્લા હોસ્પિટલોને મેડિકલ કોલેજોમાં રૂપાંતરિત કરવાની તક પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જેથી તે માનવ સંસાધનો વધારવામાં મદદ કરે. તેમણે ખાનગી ક્ષેત્રને ડીપ્લોમેન્ટ નેશનલ બોર્ડ (DNB) શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવા અપીલ પણ કરી હતી. જેથી દેશમાં વધુ સારા નિષ્ણાત ડોકટરો હોય.
આ પણ વાંચો : અમદાવાદની સાબરમતી નદીના પ્રદૂષણ મામલે હાઇકોર્ટનું આકરું વલણ, જવાબદાર વિરુદ્ધ પગલાં લેવા આદેશ
આ પણ વાંચો : Surat : સુરતની સિદ્ધિ હવે અંતરિક્ષ સુધી, પ્રદુષણ પર ડેટા એકત્ર કરવા શહેરમાં બન્યો વિશ્વનો સૌથી નાનો અને હલકો ઉપગ્રહ