
ભૂતપૂર્વ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ અનિલ ચૌહાણે વિવેકાનંદ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન ખાતે ‘ઓપરેશન સિંદૂર’ ના વ્યૂહાત્મક પરિણામો પર ચર્ચા કરી હતી. તેમણે પાકિસ્તાન સ્થિત કિરાણા હિલ્સ પરના હુમલા અંગેના પ્રશ્નોના જવાબ આપ્યો હતો. તેમણે એ પણ સમજાવ્યું કે,આ ઓપરેશન સિંદૂર અગાઉના લશ્કરી પગલાંથી કેવી રીતે અલગ છે.
વિવેકાનંદ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન ખાતે આયોજિત ‘વિમર્શ’ કાર્યક્રમ દરમિયાન, ભારતના ભૂતપૂર્વ સીડીએસ જનરલ અનિલ ચૌહાણે ‘ઓપરેશન સિંદૂર’ અને તેના દૂરગામી વ્યૂહાત્મક પરિણામો પર જાહેર મંચ પરથી વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે કિરાણા હિલ્સ પર ભારતના હુમલા વિશે પણ વાત કરી અને સમજાવ્યું કે આ ઓપરેશન ભારત દ્વારા હાથ ધરવામાં આવેલી અન્ય લશ્કરી કાર્યવાહીથી કેવી રીતે અને કેટલું અલગ હતું.
ભૂતપૂર્વ સીડીએસે ‘ઓપરેશન સિંદૂર’ ના મુખ્ય સક્રિય ઓપરેશન પૂર્ણ થયાના લગભગ 15 મહિના પછી તેના વ્યૂહાત્મક મહત્વ પર પ્રકાશ પાડ્યો. તેમણે નોંધ્યું કે જ્યારે તેની પૂર્ણતાને લગભગ એક વર્ષ અને ત્રણ મહિના વીતી ગયા છે, ત્યારે આજે પણ કેટલીક બાબતોમાં તેની અસર અનુભવાઈ રહી છે.
પ્રાથમિક લશ્કરી કાર્યવાહી પૂરી થઈ ગઈ હોવા છતાં, આ કાર્યવાહી ભારત અને વિદેશમાં વ્યૂહાત્મક નિષ્ણાતોમાં રસનો વિષય બની રહી છે.
ભૂતપૂર્વ સીડીએસે, પાકિસ્તાને જ્યાં અણુ શસ્ત્રો સંતાડ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે તે, કિરાણા હિલ્સ પર હુમલો કરવામાં આવ્યો હતો કે કેમ તે પ્રશ્નનો જવાબ આપ્યો હતો. તેમણે સમજાવ્યું કે તે હુમલાઓ પહેલાં, સરગોધા વિસ્તારમાં અનેક ‘લોટરિંગ મિશન’ તહેનાત કરવામાં આવ્યા હતા, અને કિરાણા હિલ્સ સરગોધાથી લગભગ 10 કિલોમીટર ઉત્તરમાં સ્થિત છે.
લોટરિંગ મિશનનું કાર્ય સરગોધામાં અને તેની આસપાસ સ્થિત રડારને શોધવાનું છે. આ મિશન એક નિર્ધારિત સમયમર્યાદામાં કાર્ય કરે છે. લગભગ બે કલાક સુધી હવામાં રહે છે. અને જો કોઈ લક્ષ્ય પ્રાપ્ત ના થાય, તો તે નીચે ઉતરે છે અને જે તે સ્થળે ત્રાટકે છે. શક્ય છે કે આમાંથી એક યુનિટ તે ટેકરીઓમાંથી એક સાથે અથડાયું હોય. લોકોના મનમાં ઉદ્ભવતા પ્રશ્નોનું આ એક કારણ હોઈ શકે છે, કારણ કે પાકિસ્તાની મીડિયાએ કિરાણા હિલ્સમાંથી ધુમાડો નીકળતો હોવાનો દાવો કરતી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે આવી પરિસ્થિતિઓ માટે ઘડવામાં આવેલા એસ્કેલેશન મેટ્રિક્સમાં એક મુખ્ય સિદ્ધાંત સામેલ છે. અંતિમ હુમલો અથવા વિજય અંગેનો નિર્ણય હંમેશા આપણા પર નિર્ભર રહેશે, પાકિસ્તાનીઓ પર નહીં.
ભૂતપૂર્વ સીડીએસ જનરલ અનિલ ચૌહાણે જણાવ્યું હતું કે ‘ઓપરેશન સિંદૂર’ અગાઉની લશ્કરી કાર્યવાહીથી કેમ અને કેટલુ અલગ હતું, કારણ કે વ્યૂહરચના અંગે કોઈ અનિશ્ચિતતા કે ખચકાટ નહોતો. જ્યારે ભારતે ઉરી હુમલા પછી જમીન-આધારિત સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી અને પુલવામા પછી મોટા લશ્કરી દળને સામેલ કરીને હવાઈ હુમલાનો વિકલ્પ પસંદ કર્યો હતો, ત્યારે ‘ઓપરેશન સિંદૂર’ એ ઓછી ઊંચાઈવાળા હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરીને એક નવીન અને અનોખી અભિગમ અપનાવ્યો હતો.
આ કાળજીપૂર્વક ગણતરી કરાયેલ વ્યૂહરચનાનો મુખ્ય ઉદ્દેશ્ય સીધા સંઘર્ષના જોખમને ઘટાડવાનો, ઓપરેશનની સંપૂર્ણ સફળતા સુનિશ્ચિત કરવાનો અને ઝડપી, ચોક્કસ હુમલો કરવાનો હતો જેનાથી દુશ્મનને પ્રતિક્રિયા આપવા અથવા ફરીથી જૂથ બનાવવાનો સમય ના મળે.
ભૂતપૂર્વ સીડીએસે ભાર મૂક્યો હતો કે, આવા ઓપરેશનનું મૂલ્યાંકન કરવા માટે એક વ્યાપક દ્રષ્ટિકોણની જરૂર છે. વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે આધુનિક યુદ્ધના બદલાતા સ્વભાવને અનુરૂપ કામગીરી દરમિયાન બહાર આવેલી ખામીઓને ઓળખવી, સુધારાત્મક પગલાં લેવા અને અનુકૂલન સાધવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.