અસાની: બંગાળની ખાડીમાં સર્જાયુ વાવાઝોડું, આજે 111 કિમી પ્રતિ કલાકની ઝડપે વધશે આગળ
કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશને તેના કર્મચારીઓ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને એલર્ટ પર મૂકી દીધી છે. કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. અહીં ભારે વરસાદ પડી શકે છે.
બંગાળની ખાડીમાં (Bay of Bengal) સર્જાયેલું ડીપ ડીપ્રેશન (Deep depression) રવિવારે ચક્રવાત ‘અસાની‘માં (Asani) ફેરવાઈ ગયું છે. ચક્રવાતી તોફાન (Cyclonic storm) 16 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને ધ્યાને લઈને કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશને તેના કર્મચારીઓ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને (Disaster Management Team) એલર્ટ પર મૂકી દીધી છે. કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. કોલકત્તા અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આજે વાવાઝોડામાં ફરેવાઈ ગયા બાદ બંગાળની ખાડીમાં રહેલા વાવાઝોડા અસાનીમા 100થી 115 કિમીની ઝડપે ચક્રવાત સ્વરૂપે પવન ફુકાઈ શકે છે.
હવામાન વિભાગનું કહેવું છે કે રવિવારે સવારે લગભગ 5.30 વાગ્યે બંગાળની ખાડીમાં દક્ષિણ-પૂર્વ વિસ્તાર પર ડીપ્રેશન રચાયું હતું જે નિકોબાર ટાપુઓના 450 પશ્ચિમ-ઉત્તરપશ્ચિમમાં, પોર્ટ બ્લેરથી 380 કિમી પશ્ચિમમાં, વિશાખાપટ્ટનમ (આંધ્રપ્રદેશ)થી 970 કિમી દૂર હતું. જ્યારે પુરી (ઓડિશા) ના દક્ષિણ-પૂર્વ અને 1030 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં કેન્દ્રિત હતું.
આ વાવાઝોડું ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની અને આગામી 24 કલાક દરમિયાન પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં ચક્રવાત સ્વરૂપે વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. ઉપરાંત, તે 10 મેની સાંજ સુધીમાં ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને ઉત્તર આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે પશ્ચિમ-મધ્ય અને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચે તેવી શક્યતા છે. ત્યાર બાદ, વાવાઝોડું ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ વળવાની અને ઓડિશા કિનારે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીના પ્રદેશ તરફ આગળ વધે તેવી શક્યતા છે.
આજે 111 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાત સોમવારે બંગાળની ખાડીમાં 60 knots (111 kmph)ની ઝડપે આગળ વધવાની ધારણા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઓડિશાના દરિયાકાંઠે દરિયાની સ્થિતિ 9 મે અને 10 મેના રોજ અત્યંત ખરાબ બની જશે. 10 મેના રોજ દરિયામાં પવનની ઝડપ વધીને 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાક થવાની સંભાવના છે.
માછીમારોને દરિયો ના ખેડવા સલાહ
ચક્રવાતની અસરને કારણે, પશ્ચિમ બંગાળ, ઉત્તર આંધ્ર પ્રદેશ અને ઓડિશા સહિત રાજ્યના દક્ષિણ ભાગોના દરિયાકાંઠે મંગળવારથી ભારે પવન અને હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. માછીમારોને 10 મેથી આગામી સૂચના ના મળે ત્યાં સુધી દરિયામાં અને પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠે ન જવાની સલાહ આપવામાં આવી છે.
સપ્તાહના અંતે નબળુ પડી જશે
હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક મૃત્યુંજય મહાપાત્રાએ શનિવારે કહ્યું હતું કે ચક્રવાત ઓડિશા અથવા આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકે તેવી શક્યતા છે. તે દરિયામાં તટીય વિસ્તારની સમાંતર આગળ વધશે. આ સપ્તાહના અંત સુધીમાં વાવાઝોડુ નબળુ પડે તેવી શક્યતા છે.