CORONA THIRD WAVE : બાળકો પર તોળાતું સંકટ, રાષ્ટ્રીય બાળ આયોગે રાજયો પાસે માગ્યો હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચર અંગે વિગતવાર અહેવાલ
CORONA THIRD WAVE : કોરોનાની બીજી લહેર હવે ધીમી પડી છે. પરંતુ હજુ દેશ પરથી સંકટ ટળ્યું નથી. બીજી લહેરની વચ્ચે હવે ત્રીજી લહેરની દહેશતથી ડરનો માહોલ છે. અને, આ ત્રીજી લહેરમાં નાના ભૂલકાઓથી લઇ 15 વર્ષ સુધીના બાળકોને અસર કરે તેવી શક્યતા છે.
CORONA THIRD WAVE : કોરોનાની બીજી લહેર હવે ધીમી પડી છે. પરંતુ હજુ દેશ પરથી સંકટ ટળ્યું નથી. બીજી લહેરની વચ્ચે હવે ત્રીજી લહેરની દહેશતથી ડરનો માહોલ છે. અને, આ ત્રીજી લહેરમાં નાના ભૂલકાઓથી લઇ 15 વર્ષ સુધીના બાળકોને અસર કરે તેવી શક્યતા સેવાઇ રહી છે. ત્યારે બાળકોના માથે મંડરાઇ રહેલા આ સંકટને પગલે બાળ આયોગ વિભાગ સક્રિય થયું છે. અને, આ ત્રીજી લહેરને પહોંચી વળવા જરૂરી કદમો ઉઠાવવાની તૈયારી આરંભી છે.
જોકે આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છેકે ત્રીજી લહેર દેશ માટે ભારે જોખમી છે. અને, થોડા દિવસો પછી દેશ ત્રીજી વેવથી સંક્રમિત થઈ શકે છે. ત્રીજી વેવના પગલે દેશના 35 ટકા લોકો સંક્રમિત થઈ શકે છે. તેની સાથે જ એમ પણ કહેવાઇ રહ્યું છે કે આ લહેરનો સૌથી વધુ શિકાર બાળકો અને કિશોરો બનશે.
આ તમામ શકયતાઓને પગલે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ(NCPR)હવે સક્રિય થયું છે. અને, દેશના તમામ રાજ્યોને એક સપ્તાહની અંદર બાળકો માટે હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચરના આંકડાઓ બાળ આયોગમાં જમા કરવાનો આદેશ આપ્યો છે.
NCPRના અધ્યક્ષ પ્રિયાંક કાનૂનગોએ એક પ્રસિદ્ધ અખબારને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે હાલ દેશમાં આરોગ્યને લઇને સ્થિતિ શું છે, તે કોરોનાની બીજી લહેરમાંમાં સ્પષ્ટ થઇ ગયું છે. ત્યારે આવી સ્થિતિમાં દેશના બાળકો પર તોળાઇ રહેલા સંકટ વચ્ચે મેડિકલ સાધનોની અછતને પહોંચી વળવું અનિવાર્ય છે.
બીજી લહેરમાં જે ઈન્ફ્રાસ્ટ્રકચર છે તે હાલમાં પણ ચાલુ કે પર્યાપ્ત સ્થિતિમાં નથી. તેનું મુખ્ય કારણ મેડિકલ સિસ્ટમમાં ટેક્નિશિયનની ભારે અછત અને બેદરકારીભર્યુ વલણ છે. સેકન્ડ વેવ દરમિયાન ઘણા એવા મામલાઓ પ્રકાશમાં આવ્યા, જ્યારે વેન્ટિલેટર રાજ્યોમાં ધૂળ ખાતા રહ્યાં, કેટલાક વેન્ટીલેટર રિપેરિંગના અભાવે ચાલુ થઈ શકયા ન હતા.
તેમણે વધુમાં ઉમેર્યું કે આ કારણે અમે સાવધાનીની સાથે રાજ્યો પાસેથી હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચરના આંકડાઓ માંગ્યા છે. જેથી જરૂરિયાતના સમયે બહાનું કાઢવું ન પડે. રાજ્ય સરકારો એલર્ટ થઈ અને કેન્દ્રને જાણ કરે કે રાજ્યમાં શું સ્થિતિ છે, કોને કેટલી મદદની જરૂરિયાત છે ?
આયોગે વિગતો સાથેનું ફોર્મ મોકલ્યું છે, અને, દરેક રાજ્યોની પાસે આંકડાકીય માહિતી માંગી છે
આયોગે એક એક વિસ્તૃત ફોર્મ દરેક રાજ્યોને મોકલી આપ્યું છે. તેમાં બાળકોની સારવાર માટે કુલ હોસ્પિટલ, નર્સિંગ હોમ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ડોક્ટર, નર્સોના આંકડા સહિતની વિગતો આપવા જણાવાયું છે.
થર્ડ વેવના નિશાન પર દેશમાં બાળકોની વસ્તી કેટલી ? 2011ની વસ્તી ગણતરીના આંકડાઓના આધારે લગાવવામાં આવેલા અનુમાન મુજબ 0-4 વર્ષ સુધીના બાળકોની વસ્તી લગભગ 11 કરોડથી વધુ એટલે કે કુલ વસ્તીના લગભગ 11 ટકા છે. 12 કરોડથી વધુ વસ્તી 5-9 વર્ષ સુધીના બાળકોની છે. એટલે કે કુલ વસ્તીના લગભગ 12.5 ટકા છે. 10થી 14 વર્ષ સુધીના બાળકોની વસ્તી હાલ પણ 12 કરોડથી વધુ છે એટલે કે લગભગ 12 ટકા. 15-19 વર્ષ સુધીના કિશોરોની વસ્તી 10 કરોડથી વધુ એટલે કે કુલ વસ્તીના લગભગ 10 ટકા આસપાસ છે. 2019માં બહાર પડેલા સેમ્પલ રજિસ્ટ્રેશન મુજબ 46.9 ટકા લોકો ભારતમાં 25 વર્ષથી ઓછી ઉંમરના છે. આ રિપોર્ટના આંકડાઓને આધાર બનાવીએ તો થર્ડ વેવના પગલે સંક્રમિત થનારી વસ્તી લગભગ 35-38 ટકા હશે.