દેશમાં વધી રહેલી મોંઘવારી સામે કોંગ્રેસ (Congress) ‘જન જાગરણ અભિયાન’ નામથી જનઆંદોલન શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ જનઆંદોલન 14 નવેમ્બરથી 29 નવેમ્બર સુધી કરવામાં આવશે. આ અંગે માહિતી આપતા કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલે (KC Venugopal)જણાવ્યું હતું કે સીએનજી, એલપીજી, ડીઝલ, પેટ્રોલ, રાંધણ તેલ, કઠોળ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના અભૂતપૂર્વ ભાવ વધારા સામે લોકોના અવાજને મજબૂત કરવા કોંગ્રેસના કાર્યકરો વધુને વધુ પ્રયાસો કરી રહ્યા છે.’
ઉપરાંત કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ જન જાગરણ અભિયાન વિશે ટ્વીટ કર્યું છે. કેન્દ્રની ભાજપ સરકાર પર નિશાન સાધતા તેમણે ટ્વીટ કર્યું કે ભાજપ સરકારનું જન ઉત્પીડન અભિયાન ચાલી રહ્યું છે, હવે કોંગ્રેસનું #JanJagaranAbhiyan ચાલશે. અન્યાયનો જવાબ લઈને રહીશું.”
चलता जा रहा है भाजपा सरकार का जन उत्पीड़न अभियान,
अब चलेगा कांग्रेस का #JanJagaranAbhiyanअन्याय का जवाब लेकर रहेंगे।
— Rahul Gandhi (@RahulGandhi) November 10, 2021
મળતી માહિતી મુજબ કોંગ્રેસ (Congress) પ્રચાર માટે એક લોગો પણ બનાવી રહી છે, જે મહાત્મા ગાંધીના નેતૃત્વમાં યોજાયેલી દાંડી કૂચ જેવો હશે. આ સિવાય 12 નવેમ્બરે સોશિયલ મીડિયા કેમ્પેઈન પણ શરૂ કરવામાં આવશે. કોંગ્રેસના ટોચના નેતાઓ જનસંપર્ક કાર્યક્રમોના ભાગરૂપે સોશિયલ મીડિયા પર લાઈવ થશે.
પાર્ટીના પ્રચાર માટે લોકો પોતાની નોંધણી કરાવી શકે તે માટે ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 29 નવેમ્બરથી સંસદના શિયાળુ સત્ર પહેલા કોંગ્રેસ દ્વારા આ અભિયાનની જાહેરાત કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ (CCPA)એ સંસદનું શિયાળુ સત્ર 29 નવેમ્બરથી 23 ડિસેમ્બર સુધી યોજવાની ભલામણ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા દોઢ વર્ષમાં આયોજિત સંસદ સત્રની જેમ શિયાળુ સત્ર પણ કોવિડ-19 પ્રોટોકોલને અનુસરીને આયોજિત કરવામાં આવશે.
સત્ર દરમિયાન લગભગ 20 બેઠકો યોજાશે. ઉલ્લેખનીય છે કે કોરોના રોગચાળાને કારણે ગયા વર્ષે સંસદનું શિયાળુ સત્ર યોજાયું ન હતું અને બજેટ સત્ર (Budget Session) અને ચોમાસુ સત્ર પણ ટૂંકાવી દેવામાં આવ્યું હતું.