કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે મતદાન (Congress President Election) પૂર્ણ થયું છે. સવારે 10 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 4 વાગ્યા સુધી ચાલ્યું હતું. 9500 પ્રતિનિધિઓએ પોતાનો મત આપ્યો અને 96 ટકા મતદાન થયું છે. કોંગ્રેસ મુખ્યાલય સહિત લગભગ 68 મતદાન મથકો પર મતદાન થયું હતું. કોંગ્રેસ સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટીના અધ્યક્ષ મધુસુદન મિસ્ત્રીએ કહ્યું કે ચૂંટણી સ્વતંત્ર રીતે યોજાઇ હતી અને અન્ય પક્ષો તેમાંથી પાઠ શીખી શકે છે. આ સાથે મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) અને શશિ થરૂરનું (Shashi Tharoor) નસીબ મતપેટીમાં બંધ થયું છે.
હવે દરેક 19 ઓક્ટોબરની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે પરિણામ આવશે. આ ચૂંટણી બાદ પાર્ટીને 24 વર્ષ બાદ બિન-ગાંધી અધ્યક્ષ મળવાની ખાતરી છે. અગાઉ સીતારામ કેસરી પાર્ટીના બિન-ગાંધી અધ્યક્ષ હતા. આજે ચૂંટણીમાં ભાગ લઈને પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને અન્ય ઘણા વરિષ્ઠ નેતાઓએ મતદાન કર્યું.
વોટિંગ કર્યા બાદ સોનિયા ગાંધીએ કહ્યું કે, તેઓ ઘણા સમયથી આ દિવસની રાહ જોઈ રહ્યા હતા. ભારત જોડો યાત્રામાં ભાગ લઈ રહેલા રાહુલ ગાંધીએ કર્ણાટકના બેલ્લારીમાં યાત્રા સંબંધિત કન્ટેનરમાં બનેલા મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપ્યો. તેમની સાથે 40 જેટલા નેતાઓ કે જેઓ તેમની સાથે ભારત પ્રવાસ કરી રહ્યા છે તેઓએ પણ ત્યાં મતદાન કર્યું.
વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટરમાં પોતાનો મત આપ્યો હતો. તેમની પછી પાર્ટીના મહાસચિવ જયરામ રમેશ, અજય માકન, મુકુલ વાસનિક, વરિષ્ઠ નેતાઓ અંબિકા સોની, વિવેક ટંખા અને અન્ય ઘણા લોકો હતા. મતદાન દરમિયાન, પાર્ટીના સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટીના વડા મધુસૂદન મિસ્ત્રીએ જણાવ્યું હતું કે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા મુક્ત, ન્યાયી અને પારદર્શક રહી છે અને તેઓ તેનાથી સંતુષ્ટ છે. આ સિવાય જયરામ રમેશે કહ્યું કે કોંગ્રેસ એકમાત્ર રાજકીય પક્ષ છે જ્યાં પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાય છે.
અગાઉ કોંગ્રેસ પ્રમુખ પદના બંને ઉમેદવારોએ એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. થરૂરે ટ્વીટ કર્યું કે તેમણે આજે સવારે મલ્લિકાર્જુન ખડગે સાથે વાત કરી અને તેમને શુભકામનાઓ પાઠવી અને તેમના પ્રત્યે આદર વ્યક્ત કર્યો અને કોંગ્રેસની સફળતા માટે બંનેનું સહિયારું સમર્પણ વ્યક્ત કર્યું. બીજી તરફ ખડગેએ ટ્વીટ કરીને કહ્યું કે શશિ થરૂરજીને મારી શુભકામનાઓ. આજે તેની સાથે વાત કરી. અમે બંને કોંગ્રેસની મજબૂતી માટે લડી રહ્યા છીએ જેથી ભવિષ્યની પેઢીઓ માટે એક મજબૂત અને સારા રાષ્ટ્રનું નિર્માણ થઈ શકે.