સરકારી બેંકો અને LIC ના બજેટ પર કેન્દ્ર સરકારની કડકાઈ ! બિનજરૂરી ખર્ચાઓ પર તાત્કાલિક રોક લગાવવાનો આદેશ

વૈશ્વિક આર્થિક તણાવ અને મોંઘવારી વચ્ચે કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રની તમામ બેંકો અને વીમા કંપનીઓને પોતાના દૈનિક ખર્ચમાં મોટો કાપ મૂકવા સખત સૂચના આપી છે. અધિકારીઓની વિદેશ યાત્રાથી લઈને ઓફિસની ગાડીઓ સુધીના નિયમો બદલાયા છે.

સરકારી બેંકો અને LIC ના બજેટ પર કેન્દ્ર સરકારની કડકાઈ ! બિનજરૂરી ખર્ચાઓ પર તાત્કાલિક રોક લગાવવાનો આદેશ
| Updated on: May 19, 2026 | 3:34 PM

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો તણાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના આસમાને પહોંચેલા ભાવ અને વધતી મોંઘવારી વચ્ચે કેન્દ્ર સરકારે એક મોટું આર્થિક પગલું ભર્યું છે. નાણાં મંત્રાલયે જાહેર ક્ષેત્રની તમામ સરકારી બેંકો, વીમા કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓને તેમના દૈનિક ખર્ચમાં ભારે કાપ મૂકવાનો સખત આદેશ આપ્યો છે. સરકારનો ઉદ્દેશ્ય સરકારી સંસ્થાઓમાં થતા બિનજરૂરી ખર્ચાઓને રોકીને આર્થિક શિસ્ત લાવવાનો છે.

આ મોટી સરકારી સંસ્થાઓ અને કર્મચારીઓ પર થશે સીધી અસર

સરકારના આ કડક નિર્ણયની સીધી અસર દેશની દિગ્ગજ નાણાકીય સંસ્થાઓ જેવી કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI), પંજાબ નેશનલ બેંક (PNB), બેંક ઓફ બરોડા (BoB) અને ભારતીય જીવન વીમા નિગમ (LIC) પર પડવાની છે. આ સંસ્થાઓમાં લાખો કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓ ફરજ બજાવે છે, જેમના માટે હવે કામ કરવાની આખી રીત બદલાઈ જશે.

હવે પ્રવાસ બંધ, વીડિયો કોન્ફરન્સિંગથી ચાલશે કામ

નાણાં મંત્રાલયના નાણાકીય સેવાઓ વિભાગ દ્વારા જાહેર કરાયેલા નિર્દેશોમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે:

  • બેંકો અને વીમા કંપનીઓની મોટાભાગની મીટિંગ, રિવ્યુ અને કન્સલ્ટેશન હવે રૂબરૂ મળવાના બદલે વીડિયો કોન્ફરન્સિંગ (વર્ચ્યુઅલ માધ્યમ) દ્વારા જ કરવાના રહેશે.
  • માત્ર અત્યંત અનિવાર્ય સંજોગોમાં જ અધિકારીઓ કે કર્મચારીઓને પ્રવાસ કરવાની અને રૂબરૂ હાજર રહેવાની મંજૂરી આપવામાં આવશે.
  • ચેરમેન, એમડી અને સીઇઓ કક્ષાના ટોચના અધિકારીઓની વિદેશ યાત્રાઓ પર પણ મોટી કાતર ચલાવવામાં આવી છે. તેમની વિદેશ યાત્રાઓ મર્યાદિત રાખવા અને આંતરરાષ્ટ્રીય બેઠકોમાં પણ ઓનલાઈન માધ્યમ અપનાવવા જણાવાયું છે.

પેટ્રોલ-ડીઝલની ગાડીઓ હટશે, ઇલેક્ટ્રિક વાહનો ફરજિયાત બનશે

ખર્ચ ઘટાડવાની સાથે પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મંત્રાલયે વધુ એક મોટો આદેશ આપ્યો છે. તમામ સરકારી નાણાકીય સંસ્થાઓને પેટ્રોલ અને ડીઝલ વાહનોનો ઉપયોગ તબક્કાવાર બંધ કરવા જણાવાયું છે. મુખ્ય મથકો (હેડક્વાર્ટર) અને વિવિધ શાખાઓમાં અત્યાર સુધી ભાડે રાખવામાં આવેલી પરંપરાગત ગાડીઓની જગ્યાએ હવે ફરજિયાતપણે ઇલેક્ટ્રિક કાર (EV) નો વપરાશ વધારવાનો રહેશે.

સરકારે કેમ લેવો પડ્યો આ કડક નિર્ણય?

આ મહત્વપૂર્ણ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એ તાજેતરની અપીલ બાદ લેવામાં આવ્યો છે, જેમાં તેમણે તમામ સરકારી સંસ્થાઓ અને કર્મચારીઓને સંયમ રાખવા તેમજ ઓછામાં ઓછો ખર્ચ કરવાની નીતિ અપનાવવા જણાવ્યું હતું. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે દેશની નાણાકીય સ્થિતિ મજબૂત રાખવા માટે આ આદેશો જાહેર કરાયા છે અને તમામ મંત્રાલયોને તેનું કડકાઈથી પાલન કરાવવા સૂચના અપાઈ છે.

વૈશ્વિક મોંઘવારીના દબાણ વચ્ચે સરકારનો આ નિર્ણય સરકારી બેંકો અને એલઆઈસી જેવી સંસ્થાઓના નફાને વધારવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે આ કડક માર્ગદર્શિકા લાગુ થયા પછી આ મોટી સંસ્થાઓ પોતાના વાર્ષિક બજેટમાં કેટલા કરોડો રૂપિયાની બચત કરી શકે છે.

બેંક એકાઉન્ટ વગર જ બાળકો પણ કરી શકશે UPI પેમેન્ટ ! Paytm લાવ્યું ખાસ પોકેટ મની ફીચર

Follow Us