
દેશભરના વિરોધ પક્ષોએ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારને તેમના હોદ્દા પરથી દૂર કરવા માટે બંધારણીય માર્ગ અપનાવવાનું નક્કી કર્યું છે. આના માટે વિપક્ષના સાંસદોના હસ્તાક્ષર એકત્રિત કરવામાં આવ્યા છે અને તેઓ આગામી થોડા દિવસોમાં લોકસભા અને રાજ્યસભામાં મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ મહાભિયોગની નોટિસ રજૂ કરવાની યોજના બનાવી રહ્યા છે. વિપક્ષનો આરોપ છે કે, મુખ્ય ચૂંટણી કમિશનરે તેમના કાર્યકાળ દરમિયાન પક્ષપાતી અને ભેદભાવપૂર્ણ રીતે કાર્ય કર્યું છે, પશ્ચિમ બંગાળમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) સંબંધિત બાબતોમાં પણ અનિયમિતતાઓ કરાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
CEC ને હટાવવા માટે વિપક્ષ આ અઠવાડિયે જ, બંને ગૃહોના મહાસચિવ સમક્ષ પ્રસ્તાવ રજૂ કરાશે. વિપક્ષ ઇચ્છે છે કે, મહાભિયોગ પ્રસ્તાવ ફક્ત એકને બદલે બંને ગૃહોમાં રજૂ કરવામાં આવે. સોમવારે વિરોધ પક્ષોની બેઠકમાં તમામ પક્ષો આ મુદ્દે સંમત થયા પછી આગળ વધવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મહાભિયોગના પ્રસ્તાવ માટે સંસદના બંને ગૃહોમાં વિપક્ષના સાંસદોના હસ્તાક્ષર એકત્રિત કરવાની પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ગઈ છે.
સૂત્રોના જણાવ્યાનુ, લોકસભામાં રજૂ થનારી નોટિસ પર આશરે 120 સાંસદોએ હસ્તાક્ષર કર્યા છે, જ્યારે રાજ્યસભા માટે તૈયાર કરાયેલી નોટિસ પર આશરે 60 સાંસદોના હસ્તાક્ષર હોવાના અહેવાલ છે. મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરવા માટે લોકસભામાં ઓછામાં ઓછા 100 સાંસદો અને રાજ્યસભામાં 50 સાંસદોના હસ્તાક્ષરો જરૂરી છે. એવું જાણવા મળ્યું છે કે જરૂરી હસ્તાક્ષરો લગભગ એકત્રિત થઈ ગયા છે.
બંધારણની કલમ 324 હેઠળ મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવાની માંગણી કરતા તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના ઠરાવને અનેક વિપક્ષી પક્ષોએ સમર્થન આપ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. કલમ 324 ભારતના ચૂંટણી પંચની સત્તાઓ અને કામગીરીનું નિયમન કરે છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ આ પહેલમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. વરિષ્ઠ TMC સાંસદો બંને ગૃહોમાં વિપક્ષી સાંસદોનો સક્રિયપણે સંપર્ક કરી રહ્યા છે અને સહીઓ એકત્રિત કરી રહ્યા છે.
કોંગ્રેસ પાર્ટીએ પણ આ પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું. કોંગ્રેસ નેતા ઉદિત રાજે કહ્યું હતું કે તેમની પાર્ટી લાંબા સમયથી મતદાર યાદીઓમાં કથિત અનિયમિતતાઓનો મુદ્દો ઉઠાવી રહી છે અને તૃણમૂલ કોંગ્રેસની પહેલનું સ્વાગત કરે છે. કોંગ્રેસના સાંસદ સુખદેવ ભગતે બિહાર અને પશ્ચિમ બંગાળમાં ખાસ સઘન સુધારણા પ્રક્રિયા પર પણ પ્રશ્ન ઉઠાવતા કહ્યું હતું કે આવા અભિયાનોનો ઉપયોગ ઘણીવાર રાજકીય હથિયાર તરીકે થાય છે.
પૂર્ણિયાના સ્વતંત્ર સાંસદ પપ્પુ યાદવે પણ મુખ્ય ચૂંટણી કમિશનર સામે કાર્યવાહીની માંગને સમર્થન આપ્યું હતું. તેઓ કહે છે કે હાલમાં, એવું લાગે છે કે ચૂંટણી પંચ સંપૂર્ણપણે સ્વતંત્ર રીતે કામ કરી રહ્યું નથી. સમાજવાદી પાર્ટીએ પણ આ પ્રસ્તાવને ટેકો આપ્યો છે, જેમાં પાર્ટીના સાંસદ ધર્મેન્દ્ર યાદવે જણાવ્યું છે કે તેમનો પક્ષ આ મુદ્દા પર તૃણમૂલ કોંગ્રેસ સાથે છે.
જો કે વિપક્ષે ઔપચારિક રીતે નોટિસ દાખલ કરે છે, તો આ મામલો સંસદમાં એક મોટો રાજકીય મુદ્દો બની શકે છે. આ પહેલી વાર હશે જ્યારે સીઈસીને હટાવવાનો પ્રસ્તાવ સંસદમાં રજૂ કરવામાં આવશે. સીઈસીને હટાવવાની પ્રક્રિયા સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના ન્યાયાધીશ જેવી જ છે, અને તે ફક્ત “ગેરવર્તણૂક” અથવા “અક્ષમતા” ના આધારે જ શક્ય છે. સીઈસીને હટાવવાનો પ્રસ્તાવ કોઈપણ ગૃહમાં રજૂ કરી શકાય છે, અને તેને પસાર કરવા માટે હાજર રહેલા સાંસદ અને મતદાન કરનારા કુલ સભ્યોની બહુમતી હોવી જરૂરી છે.