કેપ્ટન અમરિંદર સિંહની પાર્ટી સાથે ગઠબંધન અંગે BJPનું પ્રથમ નિવેદન સામે આવ્યું, જાણો દિગ્ગજ નેતાએ શું કહ્યું
દુષ્યંત ગૌતમે કહ્યું, દરેક રાષ્ટ્રવાદીનું ભાજપમાં સ્વાગત છે. કેપ્ટન અમરિંદર સિંહ રાષ્ટ્રવાદી છે. તેમણે ક્યારેય પાકિસ્તાનને ટેકો આપ્યો નથી.
DELHI : પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ (Cpt Amarinder Singh)એ પંજાબ વિધાનસભાની ચૂંટણી માટે નવી પાર્ટીની રચનાની જાહેરાત કરી છે અને ભાજપ (BJP) સાથે ગઠબંધનના પણ સંકેત આપ્યો છે. હવે ભાજપના મહામંત્રી અને પંજાબના પ્રભારી દુષ્યંત ગૌતમ (Dushyant Gautam) આ બાબતે ખુલીને વાત કરી છે. આ સાથે કેપ્ટન અમરિંદર સિંહની પાર્ટી સાથે ગઠબંધન અંગે BJPનું પ્રથમ નિવેદન સામે આવ્યું છે.
દુષ્યંત ગૌતમે કહ્યું છે કે જ્યાં સુધી ગઠબંધનની વાત છે, તે અમારી પોતાની પ્રાથમિકતાની વાત છે. રાષ્ટ્રવાદ અમારી પ્રથમ પ્રાથમિકતા છે અને જો તે આ મુદ્દે અમારી સાથે જોડાય તો તેમનું સ્વાગત છે. ઘણી પાર્ટીઓ અમારી સાથે જોડાઈ રહી છે. અમે પહેલેથી જ આ મુદ્દા પર કામ કરી રહ્યા છીએ જે ખેડૂતોના હિતમાં છે.
દુષ્યંત ગૌતમે કહ્યું, ગઠબંધન અંગેનો નિર્ણય સંસદીય બોર્ડ અને મોટા નેતાઓ લેશે. કેપ્ટન અને કેપ્ટન જેવા અન્ય રાષ્ટ્રવાદીઓ માટે અમારા દરવાજા ખુલ્લા છે.
નવજોત સિંહ સિદ્ધુ અને પંજાબના CM ચરણજીત સિંહ ચન્ની પર સાધ્યું નિશાન તેમણે આગળ કહ્યું, “ભલે પંજાબમાં સરકારમાં હોય ત્યારે તેમણે લોકો માટે જે કરવું જોઈએ તે કર્યું ન હતું, પરંતુ જ્યારે પણ રાષ્ટ્રની વાત આવી છે, જ્યારે સરહદોની વાત આવે છે, ત્યારે તેમની ભૂમિકા ખૂબ સારી રહી છે. તેઓ ક્યારેય પાકિસ્તાનના ટેલિવિઝન પર હીરો બન્યા નથી અને જેઓ પાકિસ્તાનના ટીવી પર હીરો બન્યા અને ત્યાં મોદીને હરાવવાનું કાવતરું રચ્યું, જેઓ જનરલ બાજવાને ગળે લગાવતા રહ્યા, તેઓ પાકિસ્તાનના ટીવીના હીરો છે અને પાકિસ્તાન આપણું દુશ્મન છે.”
તેમણે કહ્યું, સિદ્ધુ અને ચન્ની સ્વાર્થ સાથે છે, ચન્નીને દલિત કહીને મુખ્યપ્રધાન બનાવ્યા, પરંતુ તે કોઈ પણ રીતે દલિત તરીકે કામ કરતા નથી, તેમને દલિતોના મંદિરમાં જવાનું કહેવામાં આવ્યું, તેઓ ચર્ચમાં ગયા. તે તેમનો એજન્ડા છે. આજે ચન્નીએ સિદ્ધુને પડકાર પણ આપ્યો હતો કે આવો અને તેમને 2 મહિના માટે મુખ્યપ્રધાન બનીને જુઓ. તેમણે કહ્યું કે જો કેપ્ટન સાહેબ ખેડૂતો માટે કોઈ સારા ઉકેલનું ફોર્મ્યુલા લાવે તો તેમનું સ્વાગત છે.
દુષ્યંત ગૌતમે કહ્યું, દરેક રાષ્ટ્રવાદીનું ભાજપમાં સ્વાગત છે. કેપ્ટન અમરિંદર સિંહ રાષ્ટ્રવાદી છે. તેમણે ક્યારેય પાકિસ્તાનને ટેકો આપ્યો નથી. તેઓ હંમેશા દેશના હિતો સાથે ઉભા હતા. કેપ્ટન પરિવારવાદથી રાષ્ટ્રવાદ તરફ આગળ વધી રહ્યાં છે, તેમનું સ્વાગત છે.