આંબેડકરના મુદ્દે અમિત શાહને વિપક્ષે ચારેબાજુથી ઘેર્યા, BJP – PM મોદી એક્ટિવ મોડમાં આવ્યા, સોશિયલ મીડિયામાં કરી પોસ્ટ

સંસદમાં અમિત શાહની ઘેરાબંધી બાદ ભારતીય જનતા પાર્ટી પણ સક્રિય મોડમાં આવી ગઈ છે. શાહ સાથે ભાજપના વરિષ્ઠ નેતાઓની ઉચ્ચ સ્તરીય બેઠક ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં તે રણનીતિઓ પર ચર્ચા થઈ શકે છે જેના દ્વારા ભાજપ સંસદમાં આ મુદ્દા પર કોંગ્રેસને બેકફૂટ પર ધકેલી શકે.

આંબેડકરના મુદ્દે અમિત શાહને વિપક્ષે ચારેબાજુથી ઘેર્યા, BJP - PM મોદી એક્ટિવ મોડમાં આવ્યા, સોશિયલ મીડિયામાં કરી પોસ્ટ
| Edited By: | Updated on: Dec 18, 2024 | 2:01 PM

રાજ્યસભામાં બંધારણ પરની ચર્ચા દરમિયાન અમિત શાહના નિવેદન પર થયેલા હોબાળા બાદ ભાજપના વરિષ્ઠ નેતાઓની ઉચ્ચ સ્તરીય બેઠક ચાલી રહી છે. અમિત શાહ અને જેપી નડ્ડા સહિત ભાજપના કેટલાક મંત્રીઓ વચ્ચે મુલાકાત થઈ હતી. આ પછી સંસદ સ્થિત પીએમ ઓફિસમાં શાહ અને વડાપ્રધાન વચ્ચે પણ બેઠક યોજાઈ હોવાની વિગતો સામે આવી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, બાબા સાહેબ આંબેડકરને લઈને અમિત શાહના નિવેદનને જે રીતે રજૂ કરવામાં આવ્યા છે તેના પર બેઠકમાં વ્યૂહાત્મક ચર્ચા થઈ શકે છે.

શું છે સમગ્ર મામલો?

ગઈકાલ મંગળવાર 17 ડિસેમ્બરના રોજ રાજ્યસભામાં બંધારણ પરની ચર્ચાનો જવાબ આપતા, અમિત શાહે કોંગ્રેસ પર જોરદાર વાકપ્રહારો કર્યા હતા. આ દરમિયાન અમિત શાહે કહ્યું હતું કે, કોંગ્રેસ હજુ પણ આંબેડકર-આંબેડકરનું જ નામ જપી રહી છે. જો આટલો જાપ ભગવાનનું નામ લઈને કર્યું હોત તો તમે સ્વર્ગમાં ગયા હોત. શાહે વધુમાં કહ્યું કે કોંગ્રેસને આંબેડકરનું નામ લેવાની વધુ જરૂર છે, પરંતુ જનતા જાણે છે કે તેનો ઉદ્દેશ્ય શું છે.

કોંગ્રેસે અમિત શાહના આ નિવેદનને આંબેડકરનું અપમાન ગણાવ્યું છે. મલ્લિકાર્જુન ખડગેથી લઈને રાહુલ ગાંધીએ પોતે આ મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે આ દલિતોનું અપમાન છે. રાહુલ ગાંધીએ સમગ્ર મામલાને મનુસ્મૃતિ અને આરએસએસની વિચારધારા સાથે જોડી દીધો છે.

ગૃહમાં ભારે હોબાળો

અમિત શાહના આ નિવેદનને લઈને લોકસભા અને રાજ્યસભામાં ભારે હોબાળો થયો હતો. મલ્લિકાર્જુન ખડગેએ આંબેડકરનું અપમાન કરવા બદલ અમિત શાહના રાજીનામાની માંગ કરી છે. ખડગેએ કહ્યું કે અમિત શાહને ગૃહમંત્રી પદ પર ચાલુ રહેવાનો કોઈ અધિકાર નથી.

લોકસભામાં પણ આ મુદ્દે હોબાળો થયો હતો, ત્યારબાદ ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી. કોંગ્રેસ અને વિપક્ષના સાંસદોએ સંસદ ભવન બહાર આંબેડકરના ફોટા સાથે પ્રદર્શન કર્યું હતું.

સરકાર પણ ફ્રન્ટ ફુટ પર

આ સમગ્ર મામલે સરકાર પણ ફ્રન્ટ ફુટ પર છે. રાજ્યસભામાં સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે કોંગ્રેસ સમગ્ર મામલે ડ્રામા કરી રહી છે. આખો દેશ જાણે છે કે ભાજપ બાબા આંબેડકરને પૂજે છે, પરંતુ કોંગ્રેસ ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની એક નાનકડી ક્લિપ બહાર પાડીને વિકૃત કરી રહી છે. તેઓ તેનો દુરુપયોગ કરી રહી છે.

રિજિજુએ વધુમાં કહ્યું કે, હું કોંગ્રેસ પાર્ટીના નાટકની નિંદા કરું છું, જે બહાર આંબેડકરજીની તસ્વીર પકડીને જોવા મળે છે. કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ કોંગ્રેસને ઘેરી છે અને આ મામલે કોંગ્રેસ પાસે જવાબ માંગ્યો છે.

 

Published On - 1:34 pm, Wed, 18 December 24