હવે સપ્ટેમ્બર સુધી 80 કરોડ લોકોને મળશે મફત રાશન, મોદી સરકારે ગરીબ કલ્યાણ અન્ન યોજનાને 6 મહિના માટે લંબાવી

|

Mar 27, 2022 | 8:07 AM

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળ ઓળખાયેલા 80 કરોડ રેશન કાર્ડધારકોને મફત રાશન પ્રદાન કરે છે.

હવે સપ્ટેમ્બર સુધી 80 કરોડ લોકોને મળશે મફત રાશન, મોદી સરકારે ગરીબ કલ્યાણ અન્ન યોજનાને 6 મહિના માટે લંબાવી
File Image

Follow us on

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (Pradhan Mantri Garib Kalyan Ann Yojana)ને છ મહિના માટે લંબાવવામાં આવી છે. કેન્દ્ર સરકારે શનિવારે આની જાહેરાત કરી છે. હવે આ યોજના (Free Ration Scheme) હેઠળ લાભાર્થીઓને સપ્ટેમ્બર 2022 સુધી મફત રાશન (Ration) મળતું રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. તેમણે પોતાના ટ્વીટર હેન્ડલ પર કહ્યું કે ભારતની શક્તિ દેશના દરેક નાગરિકની શક્તિમાં રહેલી છે. આ શક્તિને વધુ મજબૂત કરવા માટે સરકારે સપ્ટેમ્બર 2022 સુધી વધુ છ મહિના માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. પીએમ મોદીએ ટ્વીટમાં કહ્યું કે દેશના 80 કરોડથી વધુ લોકો પહેલાની જેમ આનો લાભ લઈ શકશે.

માર્ચ 2020માં શરૂ થઈ હતી યોજના

લોકડાઉન લાગુ થયા બાદ માર્ચ 2020માં પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજનાનો હેતુ કોરોના રોગચાળાને કારણે થતા તણાવને ઓછો કરવાનો છે. શરૂઆતમાં આ યોજના એપ્રિલ-જૂન 2020ના સમયગાળા માટે શરૂ કરવામાં આવી હતી. પરંતુ તે પછી તેને 30 નવેમ્બર સુધી લંબાવવામાં આવી હતી.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળ ઓળખાયેલા 80 કરોડ રેશન કાર્ડધારકોને મફત રાશન પ્રદાન કરે છે. આ યોજના હેઠળ મળતું મફત રાશન રેશનની દુકાનો દ્વારા કાર્ડ ધારકોને આપવામાં આવતા સબસિડીવાળા અનાજ કરતાં વધુ છે.

આ યોજના હેઠળ કોને અને કેટલો ફાયદો મળે છે?

હવે સવાલ એ ઉભો થાય છે કે કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ કોને અને કેટલો લાભ મળે છે તો તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ ભારતના લગભગ 80 કરોડ રેશનકાર્ડ ધારકોને દર મહિને સભ્ય દીઠ 5 કિલો વધુ અનાજ (ઘઉં-ચોખા) આપવામાં આવે છે. જણાવી દઈએ કે દેશના જે નાગરિકની પાસે રાશન કાર્ડ છે, તેને આ યોજના હેઠળ દર મહિને તેના ક્વોટાના રાશનની સાથે 5 કિલો વધારાનું રાશન મળી રહ્યું છે. આ યોજના હેઠળ મફત અનાજ એ જ રાશનની દુકાન પર ઉપલબ્ધ થશે, જ્યાંથી રાશન કાર્ડ પર મળે છે.

ધ્યાનમાં રાખો કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફત અનાજનો લાભ એવા લોકો માટે નથી કે જેમની પાસે રાશન કાર્ડ નથી. આ યોજના રાશન કાર્ડ ધારકો સુધી મર્યાદિત છે, જેમની સંખ્યા દેશમાં 80 કરોડથી વધુ છે.

આ પણ વાંચો: ગીતા બસરા પતિ હરભજન સિંહના રાજ્યસભા નોમિનેશનથી ખુશ, કહ્યું- લોકોને સાચા નેતાની જરૂર છે

આ પણ વાંચો: Ram Charan Birthday: રામ ચરણને પ્રાણીઓ સાથે છે ખાસ લગાવ, જુઓ પ્રાણીઓ સાથે અભિનેતાના કેટલાક રસપ્રદ PHOTOS

 

Next Article