લોકસભામાં હંગામો કરવો કોંગ્રેસના 4 સાંસદોને ભારે પડ્યો છે. સ્પીકરે કોંગ્રેસના આ ચારેય સાંસદો(MP) પર કાર્યવાહી કરતા તેમને સમગ્ર ચોમાસુ સત્ર (Monsoon Session) માટે સસ્પેન્ડ કરી દીધા છે. જે કોંગ્રેસના સાંસદો સામે આ સસ્પેન્શનની કાર્યવાહી કરાઈ છે, તેમાં મન્નિકમ ટૈગોર, જ્યોતિ મની, ટીએન પ્રતાપન અને રામ્યા હરિદાસ સામેલ છે. વાસ્તવમાં આ તમામ કોંગ્રેસના સાંસદો ચાલુ સત્ર દરમિયાન પ્લેકાર્ડ (Play Cards) બતાવી વિરોધ કરી રહ્યા હતા. સ્પીકરે (Speeker) તેમને આવુ ન કરવા માટે પણ કહ્યું છતાં પણ સાંસદોએ વિરોધ શરૂ રાખ્યો હતો. જેને જોતા પહેલા તેમના વિરુદ્ધ સસ્પેન્શનનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો. ત્યારબાદ સર્વસંમતિથી ચારેય સાંસદોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. આવો જોઈએ આ સસ્પેન્ડેડ કોંગ્રેસી સાંસદ કોણ છે અને ક્યા લોકસભામાં ક્યા રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે.
સદનમાં હંગામો કરવા માટે સસ્પેન્ડ કરાયેલા 4 કોંગ્રેસી સાંસદોમાં રામ્યા હરિદાસ કેરલની અલથુર લોકસભા સીટના સદસ્ય છે. તે વર્ષ 2019માં પ્રથમવાર લોકસભામાં ચૂંટાઈને આવ્યા છે. પોતાની આ જીત સાથે જ તેમના નામે એક રેકોર્ડ સ્થાપિત થયો છે. જેમાં કેરલથી ચૂંટાનારી તે એકમાત્ર મહિલા સાંસદ છે. વાસ્તવમાં રામ્યા હરિદાસ મહિલા કોંગ્રેસના અધ્યક્ષ રાધાની પુત્રી છે. વર્ષ 2011માં કોંગ્રેસમાં તેમણે તેમની રાજનીતિક કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમને રાહુલ ગાંધીના એક ટેલેન્ટ પ્રોગ્રામ દ્વારા ચૂંટવામાં આવ્યા હતા. ત્યારબાદ તે બ્લોક પંચાયતની રાજનીતિમાં સક્રિય થયા અને અધ્યક્ષ બન્યા. વર્ષ 2019માં લોકસભા ઉમેદવાર તરીકે રાહુલ ગાંધીએ જ તેમનુ નામ આગળ કર્યુ હતુ.
સસ્પેન્ડેડ સાંસદોમાં એક જ્યોતિ મની તમિલનાડુના કરૂર લોકસભાના સદસ્ય છે જે વર્ષ 2019માં પ્રથમવાર જીતીને લોકસભામાં આવ્યા હતા. આ ચૂંટણીમાં તેમણે AIDMK ના દિગ્ગજ નેતા થંબીદુરઈને હરાવી જીત મેળવી હતી. જ્યોતિમની તમિલનાડુમાં કોંગ્રેસનો એક મજબુત ચહેરો છે. તે 22 વર્ષની ઉંમરથી કોંગ્રેસની રાજનીતિમાં સક્રિય છે. તે ભારતીય યુવા કોંગ્રેસની એક સક્રિય કાર્યકર્તા હતી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની નજીકના સહયોગી છે.
વર્ષ 2011માં જ્યોતિ મની કરૂર બેઠક પરથી તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેઓ હારી ગયા હતા. વર્ષ 2016માં તે અરવાકુરિચી સીટ પરથી ચૂંટણી લડવા માગતા હતા, પરંતુ ગઠબંધનમાં આ સીટ કોંગ્રેસના ખાતામાં ગઈ હતી. વર્ષ 2020માં એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન ભાજપના પ્રવક્તા કારૂ નાગરાજને જ્યોતિ મની વિરુદ્ધ અશ્લિલ ટિપ્પણી કરી હતી. ત્યારબાદ જ્યોતિમનીને રાજ્યમાં મોટાપાયે સમર્થન મળ્યુ હતુ.
સમગ્ર મોનસુન સત્ર માટે લોકસભામાંથી સસ્પેન્ડે કરાયેલા કોંગ્રેસના સાંસદ ટીએન પ્રતાપન કેરલની ત્રિશુર બેઠક પરથી લોકસભામાં પ્રતિનિધિત્વ કરે છે. આ પહેલા તેઓ વર્ષ 2011માં કેરલ વિધાનસભાના કોડુંગલ્લુર વિધાનસભા બેઠક પરથી વિધાનસભાના સભ્ય હતા તો બીજી તરફ વર્ષ 2001 અને વર્ષ 2006માં નટ્ટિકા વિધાનસભા બેઠકથી ધારાસભ્ય ચૂંટાયા હતા. તેમણે ત્રિશુર બેઠક પરથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર તરીકે કેરલથી વર્ષ 2019માં ચૂંટણી લડ્યા અને સાંસદ તરીકે ચૂંટાયા હતા.
હંગામો કરવાને કારણે મોનસુન સત્ર દરમિયાન સસ્પેન્ડ થનારા ચોથા કોંગ્રેસી નેતા છે એકમનિકમ ટેગોર. જે વર્તમાનમાં સાંસદ છે અને કુશળ રાજનીતિજ્ઞ છે. જે વિરુધુનગર, તમિલનાડુનુ પ્રતિનિધિત્વ કરે છે. તેમણે આ પહેલા વર્ષ 2009થી વર્ષ 2014 સુધી 15મી લોકસભામાં પ્રતિનિધિત્વ કર્યુ હતુ. તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના સભ્ય છે.