*14 ફેબ્રુઆરી 2021:
ક્લાઈમેટ ચેન્જ એક્ટિવિસ્ટ અને વિદ્યાર્થી દિશા રવિ વિરુદ્ધ રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો અને દિલ્હી પોલીસે તેની ધરપકડ કરી હતી. તેમના પર આરોપ છે કે તે ભારતમાં ખેડૂતોના આંદોલન પર ટૂલકિટમાં સામેલ હતા. સ્વીડનની ક્લાઈમેટ ચેન્જ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગના ટ્વીટે તેના પર આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું.
*7 મે 2021:
ઉત્તરપ્રદેશના સીતાપુર જિલ્લામાં પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચાર કરવા બદલ ગામના વડા મોહમ્મદ અસલમ અને અન્ય ચાર સામે દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો.
*14 મે 2021:
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વિરૂદ્ધ ભાષણ આપવા બદલ આંધ્રપ્રદેશના સાંસદ રઘુ રામા કૃષ્ણ રાજુની ધરપકડ કરવામાં આવી છે. રાજુનું ભાષણ પ્રસારિત કરવા બદલ ન્યૂઝ ચેનલ TV5 અને ABN Andhrajyotiની સામે રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો છે.
*6 એપ્રિલ 2021:
આસામી લેખિકા શિખા સરમાની ફેસબુક પોસ્ટ માટે રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરવામાં આવી.
*27 ઓક્ટોબર 2021:
પાકિસ્તાન ઝિંદાબાદ કહેવા બદલ ત્રણ કાશ્મીરી વિદ્યાર્થીઓ સહિત સાત લોકો સામે કેસ નોંધવામાં આવ્યો.
* 2 જાન્યુઆરી, 2021:
સ્ટેન્ડ-અપ કોમેડિયન મુન્નાવર ફારૂકીની ધરપકડ, તેની સામે દેશદ્રોહનો કેસ નોંધાયો.
છેલ્લા 12 મહિનામાં દેશમાં રાજદ્રોહના કેસોમાં ઝડપથી વધારો થયો છે. આ દરમિયાન રાજકારણીઓ, વિદ્યાર્થીઓ, પત્રકારો, લેખકો અને શિક્ષણવિદો વિરુદ્ધ ઘણા મામલા સામે આવ્યા છે, જેની વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર ઊંડી અસર થઈ છે.
દેશના નાગરિકો પર જે કારણોથી દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો, તેમાં કોવિડ-19 મહામારીના સંચાલન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા, ખેડૂતોના આંદોલનને સમર્થન, ક્રિકેટમાં ભારત પર પાકિસ્તાનના વખાણ, નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ પ્રદર્શન અને સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી પોસ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના ડેટા અનુસાર ભારતમાં 2014થી 2019 વચ્ચે રાજદ્રોહના 326 કેસ નોંધાયા હતા, જેમાંથી માત્ર 6 કેસમાં જ આરોપીઓને દોષિત ઠેરવી શકાયા હતા. એટલે કે કન્વેયન્સ રેટ માત્ર 3 ટકા હતો. આ કારણોસર રાજદ્રોહનો કાયદો કાયદાકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. 2021માં પણ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સામાન્ય રીતે, રાજદ્રોહનો અર્થ લોકોને સરકાર વિરુદ્ધ ઉશ્કેરવાનો હોય છે.
રાજદ્રોહ કાયદાના દુરુપયોગની વધતી જતી સંખ્યા વચ્ચે સુપ્રીમ કોર્ટની બે અલગ-અલગ બેન્ચે એમ પણ કહેવું પડ્યું કે સંસ્થાનવાદી કાયદાઓ પર પુનઃવિચાર કરવાની જરૂર છે કારણ કે તેનો દુરુપયોગ થઈ રહ્યો છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એનવી રમન્નાની અધ્યક્ષતાવાળી બેંચે પણ આ કાયદાના વધી રહેલા દુરુપયોગ પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે રાજદ્રોહ કાયદાનો અવકાશ વ્યાપક છે અને પોલીસ દ્વારા તેનો ઘણો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. પત્તા રમતા કે જુગાર રમતા લોકો પર પણ રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવે છે.
જસ્ટિસ રમન્નાને તો એમ પણ કહેવું પડ્યું હતું કે “જો તમે આ કાયદાનો ઈતિહાસ જુઓ તો જણાશે કે દોષિત ઠેરવવાનો દર ખૂબ જ ઓછો છે, સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે. જાણે કોઈ સુથારને લાકડા કાપવા માટે કરવત આપવામાં આવી હોય પણ જાણે તેણે આખું જંગલ કાપી નાખ્યું છે.”
મહાત્મા ગાંધીએ 1922માં તેમની સામેના રાજદ્રોહના કેસની સુનાવણી દરમિયાન આ કાયદાની આકરી ટીકા કરી હતી અને કહ્યું હતું કે “ભારતીય દંડ સંહિતાના રાજકીય વિભાગોમાં કલમ 124A એક સામંતશાહી જેવી છે જેનો ઉદ્દેશ નાગરિકોની સ્વતંત્રતાને દબાવવાનો છે.”
2021ના જુલાઈમાં સુપ્રીમ કોર્ટની બેન્ચે, કાયદાની બંધારણીયતાને પડકારતી અરજી સ્વીકારતી વખતે તેના દુરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે આઝાદીના 75 વર્ષ પછી પણ દેશને આવા સંસ્થાનવાદી કાયદાની જરૂર છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એનવી રમન્નાએ ટિપ્પણી કરી, “રાજદ્રોહનો કાયદો સંસ્થાનવાદી યુગનો કાયદો છે. અંગ્રેજોએ તેનો ઉપયોગ મહાત્મા ગાંધી અને તિલક વિરુદ્ધ કર્યો હતો. શું આઝાદીના 75 વર્ષ પછી પણ તેની જરૂર છે?
આ કાયદાના કારણે સૌથી મોટી આફત તેના ગુનેગાર પર આવે છે. આવી વ્યક્તિ સરકારી સેવા માટે અરજી કરી શકતી નથી અને તેને પાસપોર્ટ પણ આપવામાં આવતો નથી. આ સિવાય જ્યારે પણ જરૂર પડે ત્યારે તેણે પોતાની જાતને કોર્ટમાં રજૂ કરવાની હોય છે. ઉપરાંત તેના અંતર્ગત આચરવામાં આવેલા ગુનાઓ બિનજામીનપાત્ર છે અને તેમાં 3 વર્ષથી ઓછી ન હોય તેવી સજા છે, જેને આજીવન કેદમાં બદલી શકાય છે. રાજદ્રોહ હેઠળ નોંધાયેલા કેસમાં સંબંધિત વ્યક્તિને મહિનાઓ સુધી કોર્ટમાંથી જામીન મળી શક્યા ન હતા.
તેનાથી વિચારોની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર પ્રતિકૂળ અસર કરે છે. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ આરએફ નરીમને સ્પષ્ટપણે કહ્યું છે કે “તેની વાણી સ્વાતંત્ર્ય પર ખરાબ અસર પડી છે. આ કાયદા હેઠળ જો તમે પત્રકારો સહિતના લોકો સામે કેસ નોંધી રહ્યા છો, જેમાં આગોતરા જામીન વિના ખૂબ જ આકરી સજાની જોગવાઈ છે તો જનતા તેમના મનની વાત કરી શકશે નહીં.
લગભગ 60 વર્ષ પહેલા 1962માં સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની બેન્ચે IPCની કલમ 124Aની માન્યતાને સમર્થન આપ્યું હતું. જો કે આ બેન્ચે આ કાયદાનો દુરુપયોગ અટકાવવા માટે કેટલીક શરતો પણ ઉમેરી હતી. કોર્ટે કહ્યું હતું કે જો કોઈને હિંસા માટે ઉશ્કેરવામાં આવ્યા ન હોય તો સરકારની ટીકા પર દેશદ્રોહનો કેસ ન કરી શકાય.
એક નાગરિકને તેની પસંદગી અથવા સરકાર વિશે ટીકા અથવા ટિપ્પણી કહેવાનો અથવા લખવાનો અધિકાર છે, જ્યાં સુધી તે કાયદા દ્વારા સ્થાપિત સરકાર સામે લોકોને ઉશ્કેરતો નથી અથવા જાહેર વાતાવરણને ખલેલ પહોંચાડવાનો ઈરાદો નથી હોતો. કેદારનાથ સિંહ કેસમાં આપવામાં આવેલી માર્ગદર્શિકા હોવા છતાં રાજ્ય સરકારો લોકોના મનમાં ડર પેદા કરવા અને વિચારોની અભિવ્યક્તિની સ્વતંત્રતાને દબાવવા માટે વિચારણા કર્યા વિના રાજદ્રોહના કેસ દાખલ કરી રહી છે.