Maharashtra: પૂણેના 79 ગામમાં ઝિકા વાયરસનું જોખમ, આરોગ્ય અને વહીવટી તંત્ર એલર્ટ પર
પૂણે જિલ્લા કલેકટરે 5 ઓગસ્ટના રોજ જાહેર કરેલા તેના આદેશમાં જણાવ્યું હતું કે પૂણે જિલ્લાના 79 ગામોને ઝીકા વાયરસનાં સંક્રમણ માટે નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે.
મહારાષ્ટ્રમાં (Maharashtra) કોરોના વાયરસના (Corona Virus) જોખમ બાદ હવે ઝીકા વાયરસનું જોખમ તોળાઈ રહ્યું છે. પુણે જિલ્લામાં ઝીકા વાયરસનો પ્રથમ કેસ મળી આવ્યો ત્યારથી આરોગ્ય વિભાગ અને વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે.
જિલ્લા વહીવટીતંત્રે 79 ગામોમાં ઝીકા વાયરસ પ્રવેશવાની શંકા વ્યક્ત કરી છે. આરોગ્ય વિભાગે આ ગામોમાં ઇમરજન્સી સેવાઓ માટે તૈયારીઓ શરૂ કરી છે.
ઝીકા વાયરસનો પહેલો દર્દી પુણે જિલ્લાના બેલસર ગામ માંથી મળી આવ્યો હતો. પ્રથમ કેસ પ્રકાશમાં આવ્યા બાદ જ મહારાષ્ટ્રનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું હતું.
પુણેના જિલ્લા કલેક્ટર ડો.રાજેશ દેશમુખે અધિકારીઓ સાથેની બેઠકમાં આદેશ આપતાં જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગને વાયરસના જોખમ વિશે જાણ કરવામાં આવી છે અને આ ગામોમાં બચાવ માટે ઈમરજન્સી પગલાં લેવામાં આવ્યા છે.
3 વર્ષથી બીમારી ધરાવતા લોકોને ઝિકા વાયરસનું જોખમ વધું
જિલ્લા કલેકટરે 5 ઓગસ્ટના રોજ જાહેર કરેલા તેના આદેશમાં જણાવ્યું હતું કે પુણે જિલ્લાના 79 ગામોને ઝીકા વાયરસનાં સંક્રમણ માટે નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે. સાથે જ સ્થાનિક વહીવટીતંત્રને આ ગામો પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે. જેમાં કલેકટર ડો.રાજેશ દેશમુખે પણ આ ગામોની યાદી બહાર પાડી છે.
જે બાદ તમામ ગ્રામ પંચાયતો અને સ્થાનિક જિલ્લા વહીવટીતંત્રને એલર્ટ કરવામાં આવ્યા હતા. સાથે જ જિલ્લા કલેકટરે કહ્યું કે જિલ્લાના તે ગામો કે જે છેલ્લા ત્રણ વર્ષમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાથી સતત અસરગ્રસ્ત છે તેમને ઝીકા વાયરસ માટે અતિસંવેદનશીલ વિસ્તારમાં ગણવા જોઇએ.
30 જૂને પુણેમાં આવ્યો હતો પહેલો કેસ
ઉલ્લેખનીય છે કે, 30 જૂને પુણેમાં ઝીકા વાયરસનો પ્રથમ કેસ નોંધાયો હતો. જેમાં એક મહિલાના લોહીના સેમ્પલને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) માં મોકલવામાં આવ્યું હતું. જે બાદ આ મામલાની પુષ્ટિ થઈ હતી.
આ પછી, મહારાષ્ટ્રમાં સ્થાનિક પ્રશાસનને ચેતવણી આપવામાં આવી હતી અને આરોગ્ય વિભાગે રાજ્યમાં ઝિકા વાયરસ સંક્રમણને ફેલાતું રોકવા તાબડતોબ પગલાં લેવાનું શરૂ કર્યું છે.
ઝિકા વાયરસ એડીસ મચ્છરથી ફેલાય છે. આ મચ્છરો ડેન્ગ્યુ અને ચિકનગુનિયા પણ ફેલાવે છે. આવા મચ્છરો મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં જોવા મળે છે. જ્યારે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના જણાવ્યા અનુસાર, એડીસ મચ્છર સામાન્ય રીતે દિવસ દરમિયાન કરડે છે.
આ પણ વાંચો : Corona Crisis In India: સર્વેમાં 90 ટકા લોકોએ જણાવ્યું કે, સરકારે બુકિંગ રિફંડ પોલિસી તૈયાર કરવી જોઈએ