મહારાષ્ટ્રના 12 સાંસદો શિંદે જૂથમાં જોડાયા હોવાની પુષ્ટિ, શિવસેનાના સાંસદોએ રાહુલ શેવાલેને ગ્રૂપ લીડર બનાવવા લોકસભા સ્પીકર પાસે કરી માગ
સીએમ એકનાથ શિંદે પણ આજે દિલ્હીમાં છે. આજે તેઓ આ સાંસદો સાથે પીએમ નરેન્દ્ર મોદીને (PM Narendra Modi) મળી શકે છે. TV9 એ સૌથી પહેલા અહેવાલ આપ્યો હતો કે 40 ધારાસભ્યો પછી હવે 12 સાંસદો પણ શિંદે જૂથમાં જોડાયા છે.
ગઈકાલે TV9 એ સૌથી પહેલા સમાચાર બ્રેક કર્યા હતા કે મહારાષ્ટ્રમાં 40 ધારાસભ્યો પછી હવે શિવસેનાના 12 સાંસદો પણ ઉદ્ધવ ઠાકરેને છોડીને શિંદે જૂથમાં જોડાયા (Shiv Sena 12 MPs of Shinde Camp) છે. ગઈકાલે સીએમ એકનાથ શિંદેએ (CM Eknath Shinde) મુંબઈની ટ્રાઈડેન્ટ હોટલમાં પોતાના સમર્થકોની મહત્વની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં આ 12 સાંસદો ઓનલાઈન માધ્યમથી હાજર રહ્યા હતા. આ બેઠકમાં રાહુલ શેવાલેને લોકસભાના ગ્રુપ લીડર તરીકે અને ભાવના ગવળીને ચીફ વ્હીપ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. આજે (19 જુલાઈ, મંગળવાર) આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી છે.
આ 12 સાંસદોએ લોકસભામાં અલગ જૂથ બનાવી લીધું છે. આ સાંસદો આજે લોકસભાના સ્પીકરને મળ્યા હતા અને તેમને પત્ર આપ્યો હતો કે તેઓ રાહુલ શેવાલેને લોકસભામાં તેમના જૂથના નેતા તરીકે સ્વીકારે. આ જ પત્રમાં ભાવના ગવળીને ચીફ વ્હીપ તરીકે મંજૂર કરવાની પણ અપીલ કરવામાં આવી છે. આ દરમિયાન સીએમ એકનાથ શિંદે પણ આજે દિલ્હીમાં છે. સૂત્રો દ્વારા મળેલા અહેવાલો અનુસાર આજે તેઓ આ સાંસદોની સાથે પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાના છે. જેના કારણે આજે પણ દિલ્હી અને મુંબઈમાં મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમી જોવા મળશે.
TV9એ ગઈ કાલે શિવસેનાના 12 સાંસદો શિંદે જૂથમાં જોડાયા હોવાના સમાચાર આપ્યા હતા
શિવસેનાના 12 સાંસદોએ ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડી દીધો છે અને તેઓ શિંદે જૂથમાં જોડાયા છે, આ સમાચાર ગઈકાલે જ TV9 દ્વારા આપવામાં આવ્યા હતા, આ સમાચાર પર આજે મહોર લાગી છે. શિવસેનાના 18 લોકસભા સાંસદોમાંથી 12 સાંસદોએ લોકસભામાં પોતાનું અલગ જૂથ બનાવી લીધું છે. આ 12 સાંસદોએ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને સ્પષ્ટ કર્યું છે કે, લોકસભામાં તેમના જૂથના નેતા હવે વિનાયક રાઉત નહીં પરંતુ રાહુલ શેવાલે અને ભાવના ગવલી તેમના મુખ્ય દંડક હશે. આ રીતે શિવસેનાના 50માંથી 40 ધારાસભ્યો શિંદે જૂથમાં ગયા બાદ હવે લોકસભાના 18માંથી 12 સાંસદો શિંદે જૂથમાં જતા શિવસેનામાં ફૂટ વધુ ઊંડી અને સ્પષ્ટ થઈ ગઈ છે.
રાઉત નહીં, શેવાલે હશે અમારા ગ્રુપ લીડર- સાંસદ હેમંત ગોડસે
આ વિશે અમારી સંલગ્ન ન્યૂઝ ચેનલ TV9 મરાઠી સાથે વાત કરતાં, શિંદે જૂથમાં જોડાયેલા શિવસેનાના નાસિકના સાંસદ હેમંત ગોડસેએ કહ્યું, અમે શિવસૈનિક છીએ જેઓ બાળાસાહેબ ઠાકરેના વિચારોને અનુસરીને મોટા થયા છે. એ જ વિચારોને આગળ વધારવા અમે શિંદે સાહેબ સાથે જઈ રહ્યા છીએ. અમે અલગ જૂથ નથી. અમે શિવસૈનિક છીએ. સાંસદોએ સર્વસંમતિથી નિર્ણય લીધો છે કે અમારા જૂથના નેતા, જે અત્યાર સુધી વિનાયક રાઉત હતા, હવે રાહુલ શેવાલે હશે. અમે આ જ સંદેશ સાથે લોકસભાના અધ્યક્ષને પત્ર આપ્યો છે. હવે આ અંગે નિર્ણયની રાહ જોવાઈ રહી છે.