મુંબઈના પૂર્વ પોલિસ કમિશ્નર સંજય પાંડે પર સકંજો કસાયો, એક જ દિવસમાં CBI-ED બંનેએ કરી પુછપરછ
મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડેની (Sanjay Pandey) સીબીઆઈ દ્વારા 100 કરોડની વસૂલાતના સંદર્ભમાં પૂછપરછ કરવામાં આવી હતી, જ્યારે ઈડીએ એનએસઈ (NSE) કંપની લોકેશન કૌભાંડ સંબંધિત કેસમાં સવાલ-જવાબ કર્યા હતા.
મુંબઈના (Mumbai) પૂર્વ પોલીસ કમિશ્નર સંજય પાંડે (Sanjay Pandey) પર તપાસ એજન્સીઓનો સકંજો કસાય રહ્યો છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા એક જ દિવસમાં બે અલગ-અલગ કેસમાં તેમની પૂછપરછ કરવામાં આવી છે. સીબીઆઈએ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સાથે સંબંધિત 100 કરોડની વસૂલાતના સંબંધમાં પાંડેની પૂછપરછ કરી હતી, જ્યારે ઈડીએ NSE કંપની લોકેશન કૌભાંડ સંબંધિત કેસમાં તેમની પૂછપરછ કરી હતી. સોમવારે સીબીઆઈએ પહેલા પાંડેની પૂછપરછ કરી હતી. સવાલ-જવાબ પૂરા થતાની સાથે જ ઈડી તેમને પોતાની સાથે ઈડી ઓફિસ લઈ ગઈ હતી.
મોડી સાંજ સુધી તેમની પૂછપરછ ચાલી હતી. ઈડીએ કાલે ફરી પાંડેને બોલાવ્યા છે. સોમવારે સીબીઆઈએ મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહની પણ પૂછપરછ કરી હતી.
રાજીનામું આપીને આઈટી ઓડિટ ફર્મની રચના કરી હતી
સંજય પાંડેએ 2001માં પોલીસ સેવામાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારપછી તેમણે આઈટી ઓડિટ ફર્મની રચના કરી હતી, પરંતુ જ્યારે તેમનું રાજીનામું સ્વીકારવામાં ન આવ્યું ત્યારે તેઓ પોલીસ સેવામાં પાછા ફર્યા અને તેમના પુત્ર અને માતાને પેઢીમાં ડિરેક્ટર બનાવ્યા હતા. 2010 અને 2015 ની વચ્ચે, Isec Services Pvt Ltd નામની ફર્મને NSE સર્વર્સ અને સિસ્ટમ્સ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. સીબીઆઈએ પહેલા આ મામલાની તપાસ કરી હતી અને હવે ઈડી તેની તપાસ કરી રહી છે.
મહારાષ્ટ્રના ડીજીપીનું પદ પણ સંભાળ્યુ હતુ
નિવૃત્ત IPS અધિકારી સંજય પાંડે મુંબઈ પોલીસ કમિશનર પહેલા મહારાષ્ટ્ર સ્ટેટ સિક્યુરિટી કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટરનું પદ સંભાળી રહ્યા હતા. એપ્રિલ 2021 માં, ઉદ્ધવ ઠાકરે સરકારે તેમને મહારાષ્ટ્રના ડીજીપીનો હવાલો આપ્યો. જોકે, IPS રજનીશ સેઠને મહારાષ્ટ્રના DGP તરીકે નિયુક્ત કરવામાં આવ્યા બાદ તેમની પાસેથી ચાર્જ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. 1986 બેચના IPS અધિકારી મુંબઈ પોલીસના 76મા પોલીસ કમિશનર પણ હતા. તેમણે આઈપીએસ હેમંત નાગરલે પાસેથી કમિશનરની જવાબદારી લીધી હતી. પાંડે તાજેતરમાં 30 જૂને નિવૃત્ત થયા છે.
પરમબીર સિંહ સામે પણ ચાલી રહી છે તપાસ
મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર પરમબીર સિંહે આરોપ લગાવ્યો હતો કે દેશમુખે ગૃહમંત્રી રહીને 100 કરોડ રૂપિયા વસૂલ કર્યા હતા. ખંડણી અને મની લોન્ડરિંગના આરોપમાં ગયા વર્ષે નવેમ્બરમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે દેશમુખે સચિન વાજે મારફતે મુંબઈમાં ઘણી વખત લગભગ 4.70 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. આવી સ્થિતિમાં તેમના પર પદનો દુરુપયોગ કરવાનો આરોપ પણ લાગ્યો હતો.