સંજય રાઉત એજન્ટ છે, લાંચ લઈને કામ કરાવે છે, શિવસેના સાંસદ પર EDના દરોડા બાદ રવિ રાણાનું નિવેદન
રવિ રાણાએ કહ્યું, જ્યારે ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી હતા ત્યારે સંજય રાઉતે (Sanjay Raut) આ કૌભાંડમાં એજન્ટની ભૂમિકા ભજવી હતી. ઉદ્ધવ અને શરદ પવાર પાસેથી કામ કરાવવા માટે ઘણા લોકો રાઉતને લાંચ આપતા હતા.
મહારાષ્ટ્રમાં (Maharashtra) પાત્રા ચોલ જમીન કૌભાંડ કેસમાં સેન્ટ્રલ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કાર્યવાહીનો સામનો કરી રહેલા શિવસેનાના (Shiv Sena) સાંસદ સંજય રાઉત પર અપક્ષ ધારાસભ્ય રવિ રાણાએ હુમલો કર્યો છે. એક ચેનલ સાથેની વાતચીતમાં રવિ રાણાએ સંજય રાઉતને એજન્ટ ગણાવ્યા. તેમણે કહ્યું કે જ્યારે ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી હતા ત્યારે સંજય રાઉતે આ કૌભાંડમાં એજન્ટની ભૂમિકા ભજવી હતી. ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર પાસેથી કામ કરાવવા માટે ઘણા લોકો સંજય રાઉતને લાંચ આપતા હતા.
રવિ રાણાએ વધુમાં જણાવ્યું હતું કે, “એક પત્રકાર હોવાના કારણે સંજય રાઉત પાસે બંગલો, ફાર્મહાઉસ અને અલગ-અલગ કંપનીઓમાં નામ છે. સંજય રાઉતે ઘણું કાળું નાણું એકઠું કર્યું છે. ED આ મામલે મોડેથી કાર્યવાહી કરી રહી છે. આ કાર્યવાહી ઘણા સમય પહેલા થઈ જવી જોઈતી હતી.” તેમણે કહ્યું, “માતોશ્રીમાંથી કોઈ કામ કરાવવાનું હોય કે BMC પાસેથી કોઈ કામ કરાવવાનું હોય, આ બધાના એજન્ટ સંજય રાઉત છે. સંજય રાઉતે મહા વિકાસ અઘાડીની સરકારમાં એજન્ટ તરીકે ઘણા કામ કરાવ્યા છે. મને લાગે છે કે સંજય રાઉત વિરુદ્ધ EDની યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. મને ખાતરી છે કે સંજય રાઉતની ધરપકડ કરીને જેલમાં ધકેલી દેવામાં આવશે.”
આ કેસમાં સંજય રાઉતને 27 જુલાઈએ પણ સમન્સ પાઠવવામાં આવ્યું હતું
જણાવી દઈએ કે ઈડીએ આ કૌભાંડમાં મની લોન્ડરિંગના કેસમાં મુંબઈમાં સાંસદ સંજય રાઉતના નિવાસસ્થાને દરોડા પાડ્યા છે. કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળના કર્મચારીઓ સાથે EDના અધિકારીઓ રવિવારે સવારે 7 વાગ્યે રાઉતના ઘરે પહોંચ્યા અને દરોડા પાડવાનું શરૂ કર્યું. અગાઉ, ઇડીએ રાઉત સામે અનેક સમન્સ જાહેર કર્યા હતા. તેમને 27 જુલાઈએ પણ બોલાવવામાં આવ્યા હતા. રાઉતને મુંબઈમાં એક ચોલના પુનઃવિકાસ અને તેમની પત્ની અને અન્ય સહયોગીઓ સાથે સંકળાયેલા વ્યવહારોમાં કથિત અનિયમિતતા સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે ED દ્વારા તેમને સમન્સ મોકલવામાં આવ્યું હતું.
હું મરી જઈશ, પણ શિવસેના નહીં છોડું: સંજય રાઉત
સંજય રાઉતે કંઈપણ ખોટું કર્યું હોવાનો ઇનકાર કર્યો છે અને આરોપ લગાવ્યો છે કે તેમને રાજકીય બદલો લેવા માટે નિશાન બનાવવામાં આવી રહ્યા છે. EDની કાર્યવાહીના થોડા સમય પછી, તેમણે ટ્વીટ કર્યું, હું સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરેની શપથ લઉં છું કે મારો કોઈ કૌભાંડ સાથે કોઈ સંબંધ નથી. તેમણે લખ્યું, હું મરી જઈશ, પણ શિવસેના નહીં છોડું.