કાળમુખો કોરોના દિવસેને દિવસે વધુ વિકરાળ બની રહ્યો છે. આવી પરિસ્થિતીમાં જરૂરિયાતમંદોની મદદ માટે કેટલીક સામાજિક અને ખાનગી સંસ્થાઓ આગળ આવી રહી છે. જેમાં રિલાયન્સ ફાઉન્ડેશન (Reliance Foundation) પણ ભારતમાં તમામ જરૂરિયાત લોકોને મદદ હેતુ આગળ આવી છે.
રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ કહ્યું, ”અમે ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દમણ, દીવ તથા નગર હવેલીને સંપૂર્ણ પણે વિનામૂલ્યે રોજ 700 મેટ્રિક ટન ઓક્સિજન પૂરો પાડી રહ્યા છીએ. આ પ્રમાણ હવે વધારવામાં આવી રહ્યું છે. ભારત અને મુંબઈ માટેના આ કસોટીભર્યા સમયમાં ભારતીય તરીકે અમે પોતાનું કર્તવ્ય નિભાવવા કટિબદ્ઘ છીએ.
રિલાયન્સ ફાઉન્ડેશન હંમેશાં રાષ્ટ્રની સેવા માટે અગ્રેસર રહ્યું છે. આ રોગચાળા સામેની ભારતની અવિરત લડાઈમાં સાથ-સહકાર આપવાની અમારી ફરજ છે. અમારા ડૉક્ટરો અને ફ્રન્ટલાઈન આરોગ્ય સેવા કર્મીઓએ અથાક પરિશ્રમ કર્યો છે અને જરૂરિયાતમંદોને ઉત્તમ તબીબી સારવાર પૂરી પાડીને લોકોના જીવ બચાવ્યા છે. નીતા અંબાણીએ વધુમાં કહ્યું હતું, દેશવાસીઓની સેવા કરવા માટે અમે પોતાનાથી થાય એ બધા પ્રયત્નો કરી રહ્યા છીએ. ‘કોરોના હારેગા, ઈન્ડિયા જીતેગા’.
Published On - 4:20 pm, Tue, 27 April 21