માર્ગ અકસ્માતમાં રાહદારીની ભૂલ હોય તો વાહન ચાલક જવાબદાર નહીં : મુંબઈ કોર્ટ
Mumbai News : માર્ગ અકસ્માતની સંખ્યા દિવસે અને દિવસે વધી રહી છે. સામાન્ય રીતે માર્ગ અકસ્માત દરમિયાન રાહદારીનો વાંક જોવાતો નથી. કેટલીક વાર રાહદારીની ભૂલના કારણે પણ એક્સિડન્ટ થતા હોય છે.
Mumbai: માર્ગ અકસ્માતની સંખ્યા દિવસે અને દિવસે વધી રહી છે. સામાન્ય રીતે માર્ગ અકસ્માત દરમિયાન રાહદારીનો વાંક જોવાતો નથી. કેટલીક વાર રાહદારીની ભૂલના કારણે પણ એક્સિડન્ટ થતા હોય છે. આ સંદર્ભમાં મુંબઈની દાદર મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા એક ચુકાદો આપવામાં આવ્યો છે. મુંબઈની કોર્ટે કહ્યું કે જો રાહદારીની બેદરકારીના કારણે દુર્ઘટના થાય છે તો વાહન ચાલકને જવાબદાર ઠેરવી ન શકાય.
મેજિસ્ટ્રેટ કોર્ટના જજ પ્રવીણ પી.દેશમાને કહ્યું કે મારું એવુ માનવુ છે કે રસ્તા પર ચાલતી વખતે કે રસ્તો ક્રોસ કરતી વખતે સાવધાની રાખવાની ફરજ રાહદારીની છે. પરંતુ જો રાહદારીની બેદરકારીના કારણે જો કોઈ દુર્ઘટના થાય છે તો તેના માટે વાહન ચાલકને અપરાધી માનવામાં નહીં આવે. જજ દેશમાને આ કહીને 56 વર્ષની મહિલાને પાંચ વર્ષ જૂના માર્ગ અકસ્માતના કેસમાં નિર્દોષ જાહેર કર્યા.
આપને જણાવી દઈએ કે આ કેસ 20 ઓક્ટોબર 2015ના રોજ સવારે 9 વાગ્યાનો છે. એ દિવસે એક મહિલા રાહદારી ચાલતા ચાલતા પોતાની ઓફિસે જઈ રહી હતી. જ્યારે તે પારસી અગિયારી પાસે પહોંચી, ત્યારે પાછળથી આવનારી એક કારે ટક્કર મારી અને મહિલા પડી ગઈ. ગાડીનું એક પૈડું તેના પગના અંગુઠા પર ફરી વળ્યું .આ ગાડી એક બિઝનેસવુમન ચલાવી રહ્યા હતા. આ ઘટના બાદ તેમણે ગાડી રોકી પણ હતી.
બીજા દિવસે ઘાયલ મહિલાના પિતાએ પોલીસમાં ફરિયાદ દાખલ કરી. થોડા દિવસો બાદ ઈજાગ્રસ્ત મહિલાનું નિવેદન લેવામાં આવ્યુ અને કેસ દાખલ કરાયો. આ કેસમાં ભોઈવાડા પોલીસે ચાર્જશીટ દાખલ કરી હતી. બંને પક્ષને સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો આપ્યો કે રાહદારી માટે ફૂટપાથ બનાવવામાં આવ્યા છે અને ગાડીઓ માટે રોડ.પરંતુ અકસ્માતનો ભોગ બનનાર મહિલા રસ્તા પર ચાલી રહી હતી માટે ગાડી ચલાવનારને દોષી માની ન શકાય.