Mumbai Breaking News : મુંબઈમાં મોહર્રમના જુલૂસ દરમિયાન ઝેરી કેપ્સ્યુલ વહેંચતો ફૈયાઝ ઝડપાયો, થોડા દિવસ પહેલાં ઈરાન-ઈરાક ગયો હતો ! જુઓ Video
મુંબઈ પોલીસે મોહરમના શોભાયાત્રા દરમિયાન ઝેરી દવાનું વિતરણ કરનાર પુણેના રહેવાસી ફયાઝની કેપ્સ્યુલ સાથે ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કેપ્સ્યુલમાં ઉંદરનું ઝેર હતું. પોલીસ આરોપીના ઈરાન અને ઈરાકના પ્રવાસ ઇતિહાસ અને આતંકવાદના દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને કેસની તપાસ કરી રહી છે.

આર્થિક રાજધાની મુંબઈમાં મોહરમના તાજિયા શોભાયાત્રા દરમિયાન એક ચોંકાવનારી ઘટનાનો પર્દાફાશ થયો છે. ઝડપી કાર્યવાહી કરતા, મુંબઈ પોલીસે શોભાયાત્રા દરમિયાન ઝેરી દવાનું વિતરણ કરનાર એક વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપી પાસેથી મોટી માત્રામાં શંકાસ્પદ કેપ્સ્યુલનો જથ્યો જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં જીવલેણ ઉંદરનું ઝેર હોવાની શંકા છે. પોલીસ આતંકવાદના દૃષ્ટિકોણ અને આરોપીના વિદેશ પ્રવાસ ઇતિહાસની પણ સંપૂર્ણ તપાસ કરી રહી છે.
આ સમગ્ર ઘટના દક્ષિણ મુંબઈના ભાયખલા અને રે-રોડ વિસ્તારમાં બની હતી. મોહરમના શોભાયાત્રા દરમિયાન પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે એક વ્યક્તિ મફત કેપ્સ્યુલનું વિતરણ કરી રહ્યો છે. તે દાવો કરી રહ્યો હતો કે આ કેપ્સ્યુલ્સ પેઇનકિલર્સ છે.
ઝિંક ફોસ્ફાઇડ હોવાની આશંકા, એક વ્યક્તિની તબિયત બગડી
મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું કે તેની પાસે હજારોની માત્રામાં ખાલી કેપ્સ્યુલ હતી. તે ખાલી કેપ્સ્યુલ મંગાવી તેમાં ઝેરી કેમિકલ ભર્યું હતું. પ્રાથમિક તપાસમાં આ કેપ્સ્યુલમાં ઝીંક ફોસ્ફાઈડ (Zinc Phosphide) હોવાની આશંકા છે. જે સામાન્ય રીતે ઉંદર મારવાની દવામાં વપરાય છે. જોકે અંતિમ પુષ્ટિ માટે ફોરેન્સિક લેબોરેટરી (FSL)ની રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે એક વ્યક્તિએ આ કેપ્સ્યુલ ખાઈ લીધા બાદ તેની તબિયત બગડી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને હાલ તેની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયું છે. પોલીસ હવે તે તમામ લોકોની ઓળખ કરી રહી છે જેમણે આરોપી પાસેથી કેપ્સ્યુલ લીધા હતા.
ઝીંક ફોસ્ફાઇડ શું છે?
નિષ્ણાતોના મતે, ઝીંક ફોસ્ફાઇડ ઝેરી કેમિકલ છે. શરીરમાં પહોંચ્યા પછી તે ઝેરી ગેસ ઉત્પન્ન કરે છે. જે ફેફસા, લીવર અને કિડનીને ગંભીર નુકસાન થઈ શકે છે. નિષ્ણાતોના મતે, તેની ઓછી માત્રા પણ જીવલેણ સાબિત થઈ શકે છે.
કોણ છે આરોપી ફૈયાઝ?
ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ ફૈયાઝ નિસાર હુસૈન પ્રેમજી તરીકે થઈ છે. તે પુણેના વિમાન નગર વિસ્તારનો રહેવાસી છે. તેણે BBA સુધી અભ્યાસ કર્યો છે અને પરિવારના પેઇન્ટના વ્યવસાય સાથે સંકળાયેલો છે. પોલીસના જણાવ્યા અનુસાર, તેની સામે અગાઉ કોઈ ગુનાહિત નોંધ નથી.
પોલીસ આ મુદ્દાઓ પર કરી રહી છે તપાસ
- આતંકવાદી કનેક્શનની તપાસ: શું આ સમગ્ર કાવતરું કોઈ આતંકવાદી મોડ્યુલ અથવા સ્લીપર સેલ સાથે જોડાયેલું છે ?
- ઈરાન-ઈરાક પ્રવાસ: ફૈયાઝ થોડા સમય પહેલાં ઈરાન અને ઈરાક ગયો હતો. તે ત્યાં શા માટે ગયો હતો, કોને મળ્યો હતો અને શું તેનો કોઈ પ્રતિબંધિત અથવા કટ્ટરપંથી સંગઠન સાથે સંપર્ક હતો કે નહીં, તેની તપાસ ચાલી રહી છે.
- સપ્લાય ચેઇનની તપાસ: 30 હજાર ખાલી કેપ્સ્યુલ અને ઝિંક ફોસ્ફાઇડ તેને ક્યાંથી અને કોના મારફતે મળ્યા તેની તપાસ પણ ચાલી રહી છે.
પોલીસ આરોપીના મોબાઇલ ફોન, ડિજિટલ ડેટા, બેંક ટ્રાન્ઝેક્શન અને કોલ ડિટેલ રેકોર્ડની પણ તપાસ કરી રહી છે. ફોરેન્સિક રિપોર્ટ અને ટેક્નિકલ તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર મામલાનો હેતુ અને તેમાં અન્ય કોઈની સંડોવણી હતી કે નહીં તે અંગે વધુ સ્પષ્ટતા થશે.
