મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC)ના કર્મચારીઓ રાજ્ય સરકાર સાથે વિલીનીકરણની માંગણી સાથે છેલ્લા 20 દિવસથી હડતાળ પર છે. હજુ સુધી હડતાળનું કોઈ પરિણામ આવ્યું નથી. હવે આ હડતાળ વધુ લંબાવવામાં આવે તેવી શક્યતા છે. કારણ કે રાજ્યભરમાંથી સ્ટેટ ટ્રાન્સપોર્ટ (ST)ના કર્મચારીઓ મુંબઈના આઝાદ મેદાન પહોંચ્યા છે.
મુંબઈના આઝાદ મેદાનમાં રાજ્યના એસટી કર્મચારીઓના જમાવડાને કારણે આંદોલન ઉગ્ર બન્યું છે. પરંતુ આ દરમિયાન મનમાડથી મુંબઈ તરફ નીકળેલા 21 એસટી કર્મચારીઓની પોલીસે રસ્તામાં જ અટકાયત કરી લીધી છે.
પોલીસે 21 રાજ્ય પરિવહન (ST) કર્મચારીઓની અટકાયત કરી છે, જેઓ મનમાડથી પંચવટી એક્સપ્રેસમાં મુંબઈ આઝાદ નગરમાં આંદોલનમાં જોડાવા માટે આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આ કર્મચારીઓને આજે (20 નવેમ્બર, શનિવાર) મનમાડ સ્ટેશનથી જ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તેનાથી આંદોલન વધુ ભડકવાની શક્યતા છે. મુંબઈના આઝાદ મેદાનમાં આજે મોટી સંખ્યામાં એસટી કર્મચારીઓ પહોંચી ગયા છે. જોરદાર સૂત્રોચ્ચાર શરૂ થઈ ગયા છે.
છેલ્લા 13 દિવસથી એસટી કર્મચારીઓ આઝાદ મેદાન ખાતે એકઠા થયા છે. હડતાળ હજુ પણ અનિર્ણિત હોવાથી એસટી કર્મચારીઓએ આંદોલનને વધુ ઉગ્ર બનાવવાનો નિર્ણય કર્યો છે. રાજ્યભરના 250 બસ ડેપોના એસટી કર્મચારીઓને ફેસબુકના માધ્યમથી મુંબઈ પહોંચવા માટે કહેવામાં આવ્યું છે.
આજે રાજ્યના વિવિધ સ્થળોએથી એસટી કર્મચારીઓ અહીં પહોંચ્યા છે. ખાસ કરીને નોંધપાત્ર સંખ્યામાં મહિલા કર્મચારીઓ પણ નજરે પડે છે. આંદોલનમાં જોડાવા આવતા કર્મચારીઓ તેમના સાથીદારો માટે ખાવાનું ટિફિન પણ લાવી રહ્યા છે. કર્મચારીઓને દરેક બસ ડેપોમાંથી ઓછામાં ઓછા 100 કર્મચારીઓને મુંબઈ આઝાદ મેદાનના આંદોલનમાં જોડાવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે.
આવતી વખતે કર્મચારીઓને તેમની પેમેન્ટ સ્લીપ, આધાર કાર્ડ અને માસ્ક સાથે લાવવા અપીલ કરવામાં આવી છે. આ સાથે મેદાનમાં રહેવા માટે ચાર જોડી કપડાં રાખવાની પણ અપીલ કરવામાં આવી છે. મુંબઈની અલગ-અલગ સ્વાયત્ત સંસ્થાઓ અને એનજીઓ આ કર્મચારીઓને નાસ્તો, ભોજન અને અન્ય જરૂરી વસ્તુઓ આપીને મદદ કરી રહી છે.
‘ચલો મુંબઈ-ચલો આઝાદ મેદાન’ના નારા સાથેની ફેસબુક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે ‘રાજ્ય પરિવહન નિગમમાં 92,700 કર્મચારીઓ છે. તેમાંથી માત્ર 3000 કામદારો આંદોલન કરી રહ્યા છે. આ યોગ્ય નથી. તમામ કર્મચારીઓ ફરજ માટે આવે છે. આજે તમારા પરિવાર માટે આગળ આવો.
રાજ્યના વાહનવ્યવહાર મંત્રી અનિલ પરબે એમ કહીને કર્મચારીઓનું ટેન્શન વધાર્યું છે કે તેઓ જલ્દીથી કામ પર પાછા ફરે નહીં તો રાજ્ય પરિવહનની બસોના ખાનગીકરણનો માર્ગ ખુલ્લો છે. આ પહેલા શુક્રવારે કોર્પોરેશનના 238 દૈનિક વેતન કામદારોને હડતાળ માટે દંડ ફટકારતા તેમની સેવાઓ સમાપ્ત કરવામાં આવી છે.
297 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અઠવાડિયાની શરૂઆતમાં 2,584માંથી 2,296 દૈનિક વેતન કામદારોને નોટિસ મોકલવામાં આવી હતી, જેમાં તેમને 24 કલાકની અંદર કામ પર પાછા ફરવાનું કહેવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં લગભગ 1200 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
જો હજુ પણ હડતાળ સમેટવામાં નહીં આવે અને લોકો કામ પર પરત નહીં ફરે તો કડક કાર્યવાહી ચાલુ રહેશે. કોર્પોરેશનને રાજ્ય સરકાર સાથે મર્જ કરવાની માંગણી સાથે MSRTC કર્મચારીઓ ઓક્ટોબરથી હડતાળ પર છે. આંદોલનને કારણે MSRTCના 250 બસ ડેપો પર 9 નવેમ્બરથી કામગીરી બંધ છે.
આ પણ વાંચો : MSRTCના કર્મચારીઓની હડતાલને લઈને ઉદ્ધવ સરકારનું આકરુ વલણ, વધુ 238 કર્મચારીઓને કરાયા સસપેન્ડ