મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના (Maharashtra Navnirman Sena) વડા રાજ ઠાકરેએ (Raj Thackeray) જો મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો લાઉડસ્પીકર (Loudspeaker) ઉપર હનુમાન ચાલીસા વગાડવાની ધમકી આપ્યાના એક દિવસ પછી, મુંબઈમાં તેમની પાર્ટીના એક કાર્યકર્તાએ આવું જ કર્યું. જોકે, પોલીસે રવિવારે તેની અટકાયત કરી હતી અને બાદમાં દંડ ભર્યા બાદ તેને છોડી મૂક્યો હતો અને ફરીથી આવું ન કરવા ચેતવણી આપી હતી.
આ પહેલા શનિવારે રાજ ઠાકરેએ મુંબઈમાં MNSની ગુડી પડવા રેલીમાં કહ્યું હતું કે, “મસ્જિદોમાં આટલા મોટા અવાજમાં લાઉડસ્પીકર કેમ વગાડવામાં આવે છે ? જો આને રોકવામાં નહીં આવે તો મસ્જિદોની બહાર લાઉડસ્પીકર પર વધુ ઊંચા અવાજમાં હનુમાન ચાલીસા વગાડવામાં આવશે.
સ્થાનિક MNS કાર્યકર્તાઓ રવિવારે કલ્યાણમાં સાંઈ ચોક ખાતે પાર્ટી કાર્યાલયની બહાર એકઠા થયા હતા અને લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા વગાડયા હતા અને મોટેથી ‘જય શ્રી રામ’ના નારા પણ લગાવ્યા હતા.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, MNS કાર્યકર મહેન્દ્ર ભાનુશાળીની અટકાયત કરવામાં આવી હતી કારણ કે તેણે એક ઝાડ પર લાઉડસ્પીકર લગાવ્યા હતા અને ઉપનગરીય મુંબઈના ચાંદિવલી વિસ્તારમાં હનુમાન ચાલીસા વગાડ્યા હતા. ભાનુશાલીની અટક કરીને લાઉડ સ્પીકરનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. જોકે, 5,500 રૂપિયાનો દંડ ભરીને લગભગ બે કલાક પછી તેને છોડી મૂકવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે ભાનુશાળીને આવા કૃત્યનું પુનરાવર્તન ન કરવા માટે નોટિસ આપવામાં આવી હતી.
MNS કલ્યાણ એકમના પ્રમુખ ઉલ્હાસ ભોઇરે આ વિશે મીડિયાને જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકર્તાઓ પાર્ટીના વડાના આદેશનું પાલન કરવામાં ક્યારેય અચકાશે નહીં.
પોલીસ કાર્યવાહીની નિંદા કરતા, ભાનુશાળીએ કહ્યું કે તેણે “આરતી કરવા” માટે હેરાન કરવામાં આવતા હતા. તેમણે કહ્યું, “રાજ ઠાકરેને જે કહેવું હતું, તે તેઓ કહી ચૂક્યા છે અને આદેશો આવી ગયા છે. અમે બુધવારથી દરરોજ સવારે અને સાંજે અમારી પાર્ટી ઓફિસમાં હનુમાન ચાલીસા વગાડીશુ. સામાન્ય રીતે, આ સવારે 7 અને સાંજે 5 વાગ્યે વગાડવામાં આવશે. પરંતુ ચોક્કસ સમય નક્કી કરવાનો બાકી છે. અમારો કોઈને ખલેલ પહોંચાડવાનો ઈરાદો નથી, પરંતુ દસ મિનિટ માટે અમે લાઉડસ્પીકરનો ઉપયોગ કરીશું. આવતીકાલથી તૈયારી શરૂ થઈ રહી છે. અમે પહેલાથી જ લાઉડસ્પીકર માટે ઓર્ડર આપી દીધા છે.
શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે કહ્યું કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના વડા રાજ ઠાકરેનું ભાષણ ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા “‘સ્ક્રીપ્ટેડ અને પ્રાયોજિત” હતું.
ભાષણ પર પ્રતિક્રિયા આપતા, રાઉતે કહ્યું હતું કે તે સ્પષ્ટ છે કે શિવાજી પાર્કમાં વગાડવામાં આવેલ લાઉડસ્પીકર ભાષણ “ભાજપ દ્વારા લખાયેલ અને પ્રાયોજિત” હતું. રાઉતે કહ્યું કે મહારાષ્ટ્ર એ રાજ્ય છે જ્યાં હજુ પણ કાયદો પ્રવર્તે છે. તેમણે કહ્યું કે રાજ્યના ગૃહમંત્રી બધું જ કાયદા મુજબ કરશે અને મહારાષ્ટ્રમાં દેશનો કાયદો ચાલે છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-