Maharashtra : નવા મંત્રીમંડળમાં એક પણ મહિલાનો સમાવેશ નહીં, જાણો કોણ છે સૌથી અમીર મંત્રી
શિંદેની કેબિનેટના (Cabinet ) તમામ મંત્રીઓ કરોડપતિ છે. જેમાં ભાજપના ધારાસભ્ય મંગલ પ્રભાત લોઢા પાસે સૌથી વધુ સંપત્તિ છે. સૌથી ઓછી સંપત્તિ પૈઠાણ સીટના ધારાસભ્ય સંદીપન ભુમરે પાસે છે.
મહારાષ્ટ્રના (Maharashtra ) મુખ્યમંત્રી તરીકે શપથ (Oath ) લીધાના 41 દિવસ બાદ એકનાથ શિંદેએ તેમના મંત્રીમંડળનું (Minister ) વિસ્તરણ કર્યું છે. દક્ષિણ મુંબઈમાં રાજભવનમાં ભાજપના રાજ્ય એકમના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ સહિત 18 ધારાસભ્યોએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. જેમાં 18 મંત્રીઓમાંથી 9 મંત્રીઓ ભાજપ અને શિંદે જૂથના છે. આ મંત્રીમંડળમાં એકપણ મહિલાનો સમાવેશ કરવામાં આવ્યો નથી.શપથ ગ્રહણ થતાની સાથે જ મહારાષ્ટ્ર કેબિનેટમાં સભ્યોની સંખ્યા વધીને હવે 20 થઈ ગઈ છે, જે મહત્તમ 43 સભ્યોની સંખ્યાના અડધા પણ નથી. 30 જૂનના રોજ શિંદેએ મુખ્યમંત્રી તરીકે અને દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
રાજ્યપાલ બીએસ કોશ્યારીએ તમામ નવા મંત્રીઓને પદના શપથ લેવડાવ્યા હતા. કાર્યક્રમ સવારે 11 વાગ્યે શરૂ થવાનો હતો, પરંતુ 15 મિનિટ મોડો શરૂ થયો હતો. ભાજપ તરફથી કેબિનેટમાં સામેલ કરાયેલા સભ્યોમાં રાધાકૃષ્ણ વિખે પાટીલ, સુધીર મુનગંટીવાર, ચંદ્રકાંત પાટીલ, વિજયકુમાર ગાવિત, ગિરીશ મહાજન, સુરેશ ખાડે, રવિન્દ્ર ચવ્હાણ, અતુલ સેવ અને મંગલપ્રભાત લોઢાનો સમાવેશ થાય છે. ગુલાબરાવ પાટીલ, દાદા ભુસે, સંજય રાઠોડ, સંદીપ ભૂમરે, ઉદય સામંત, તાનાજી સાવંત, અબ્દુલ સત્તાર, દીપક કેસરકર અને શંભુરાજ દેસાઈ શિંદે જૂથમાંથી મંત્રી તરીકે શપથ લેનારા સભ્યોમાં સામેલ છે.
કેબિનેટનું વિસ્તરણ હવે પછી થશે
શિંદેના એક સહયોગીએ કહ્યું કે આજે રાજ્યના કોઈ મંત્રીએ શપથ લીધા નથી. બાદમાં ફરી મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે. ભાજપે મુંબઈથી લોઢાનો સમાવેશ કર્યો છે, જ્યારે શિંદે જૂથે ત્યાંના કોઈ ધારાસભ્યને કેબિનેટમાં સામેલ કર્યા નથી. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી આ વર્ષે યોજાવાની છે.
ભાજપના ધારાસભ્ય મંગલ પ્રભાત લોઢા સૌથી અમીર મંત્રી છે
શિંદેની કેબિનેટના તમામ મંત્રીઓ કરોડપતિ છે. જેમાં ભાજપના ધારાસભ્ય મંગલ પ્રભાત લોઢા પાસે સૌથી વધુ સંપત્તિ છે. તે જ સમયે, સૌથી ઓછી સંપત્તિ પૈઠાણ સીટના ધારાસભ્ય સંદીપન ભુમરે પાસે છે. કેબિનેટમાં આવા 12 મંત્રીઓ પણ છે જેમની સામે ગુનાહિત કેસ નોંધાયેલા છે. આમાંથી કેટલાકમાં ગંભીર કલમો પણ છે.મુખ્યમંત્રી શિંદે વિરુદ્ધ 18 અને નાયબ મુખ્યમંત્રી વિરુદ્ધ 4 ફોજદારી કેસ નોંધાયેલા છે. બીજી તરફ, શિવસેનાના અધિકાર અને 16 બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા પર સુનાવણી આગળ વધી છે. હવે આ મામલામાં આગામી સુનાવણી 12 ઓગસ્ટે થશે. આ મામલો પાંચ જજોની બેન્ચને મોકલવો જોઈએ કે નહીં? આ અંગે દલીલો પણ સાંભળવામાં આવશે.