ઔરંગાબાદમાં ઔરંગઝેબની કબર માટે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના નેતાના કથિત નિવેદનને પગલે વધારાની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે, કારણ કે તેમણે મુઘલ બાદશાહના અંતિમ વિશ્રામ સ્થાનને તોડી પાડવાની માંગ કરી છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના એક અધિકારીએ આ માહિતી આપી. MNS પ્રવક્તા ગજાનન કાલે (MNS on Aurangzeb Tomb) એ આ અંગે ટ્વીટ કર્યું કે અહીં ઔરંગઝેબની કબરની કોઈ જરૂર નથી, તેથી તેને જમનીદોસ કરી દેવી જોઈએ, જેથી લોકો ત્યાં ન જાય. તાજેતરમાં ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદ-ઉલ મુસ્લિમીન (AIMEM) નેતા અકબરુદ્દીન ઓવૈસીએ ઔરંગઝેબની કબર પર પ્રાર્થના કરી હતી. આના પર મહારાષ્ટ્રમાં સત્તાધારી શિવસેનાની સાથે રાજ ઠાકરેની MNSએ પણ ઓવૈસીની ટીકા કરી હતી.
ગજાનનના ટ્વીટ બાદ કેટલાક લોકોએ ઔરંગઝેબની કબર સ્થિત ખુલદાબાદમાં સ્ટ્રક્ચરને તાળું મારવાનો પ્રયાસ કર્યો હતો. હાલ ASI આ કબરની રક્ષા કરે છે. જ્યારે ASIના ઔરંગાબાદ ઝોનના સુપરિન્ટેન્ડેન્ટ મિલન કુમાર ચૌબેનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે પીટીઆઈને જણાવ્યું કે કેટલાક લોકો કબરને તાળું મારવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે સ્ટ્રક્ચરને તોડી પાડવાનો પ્રયાસ થવાની શક્યતા છે. ઉપરાંત ચૌબેએ કહ્યું કે જ્યાં સુધી ASIને લેખિતમાં કંઈ નહીં આપવામાં આવે, ત્યાં સુધી હું તેમના પર કાર્યવાહી નહીં કરું. અમે સ્મારકને ખુલ્લો રાખ્યો છે અને ત્યાં વધારાના સુરક્ષા જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. અમે પોલીસને પરિસ્થિતિ વિશે જાણ કરી છે અને તેઓએ સુરક્ષા વાન મોકલી છે.
એક નિવેદનમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રવક્તા ગજાનન કાલેએ પૂછ્યું, “શિવસેના સુપ્રીમો બાલ ઠાકરેએ સામનાને કહ્યું હતું કે સમાધિ તોડી દેવી જોઈએ. તો પછી તે હજી ત્યાં કેમ છે ?” કાલેએ આરોપ લગાવ્યો, સુરક્ષા પૂરી પાડવાનું મહારાષ્ટ્ર સરકારનું કામ આપણા ઘા પર મીઠું છાંટવા જેવું છે. ઔરંગઝેબે સંભાજી રાજેને નિર્દયતાથી ત્રાસ આપ્યો. તેઓએ જ આપણા સ્વરાજને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો અને છતાં મહારાષ્ટ્ર સરકારે સુરક્ષા પૂરી પાડી છે.