મહારાષ્ટ્રના (Maharashtra) નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે (Deputy CM Devendra Fadnavis) આજે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરે (MNS) સાથે મુલાકાત કરી. મુંબઈના દાદરમાં રાજ ઠાકરેના નિવાસસ્થાન ‘શિવતીર્થ’ ખાતે દોઢ કલાક સુધી બંને વચ્ચે ચર્ચા થઈ હતી. એકનાથ શિંદેની સરકાર (Shinde Government) બન્યા બાદ અને મંત્રીમંડળના વિસ્તરણ પહેલા આ બેઠકને લઈને રાજકીય ચર્ચાઓનું બજાર ગરમ થઈ ગયું છે. જો કે સત્તાવાર રીતે કહેવામાં આવ્યું કે તાજેતરમાં જ રાજ ઠાકરેની સર્જરી થઈ છે. એટલા માટે ડેપ્યુટી સીએમ ફડણવીસ તેમની તબિયત જાણવા તેમને મળવા ગયા હતા.
રાજ ઠાકરેને મળ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસ ભગવાનના દર્શન કરવા સિદ્ધિ વિનાયક મંદિર પહોંચ્યા હતા. અહીં તેમની સાથે વિધાન પરિષદના સભ્ય અને ભાજપના નેતા પ્રસાદ લાડ પણ હતા.નાયબ મુખ્યમંત્રી ફડણવીસે સિદ્ધિ વિનાયક મંદિરમાં ગણપતિ બાપ્પાના દર્શન કર્યા અને તેમના આશીર્વાદ લીધા. જેના થોડા સમય બાદ CM એકનાથ શિંદેએ પણ સિદ્ધિ વિનાયકના શરણોમાં શીશ ઝૂકાવ્યુ હતુ.
NCPના નેતા સુપ્રિયા સુલેએ ફડણવીસ-રાજની મુલાકાતને લઈને નિશાન સાધ્યુ છે. સાંસદ સુલેએ કહ્યું કે 105 ધારાસભ્યો સાથેની પાર્ટી ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ 1 ધારાસભ્ય સાથેની પાર્ટી MNSના વડા રાજ ઠાકરેને મળવા તેમના ઘરે પહોંચ્યા છે. ઉપરાંત હસતાં હસતાં તેમણે કહ્યું કે મહારાષ્ટ્રની રાજનીતિમાં શું ચાલી રહ્યું છે ? કંઈ ખબર પડી રહી નથી. તમને જણાવી દઈએ કે આ પહેલા મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા અજિત પવારે પણ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ફડણવીસના (devendra fadanvis) નામની આગળ નાયબ મુખ્યમંત્રી પદ ઉમેરવાથી કાન ગૂંજી જાય છે. 105 ધારાસભ્યો હોવા છતાં ભાજપના નેતાને નાયબ મુખ્યમંત્રી અને 40 ધારાસભ્યોના નેતા મુખ્યમંત્રી બન્યા છે. આજના રાજકારણની આ વિડંબનાને ધ્યાનમાં લેવાની જરૂર છે.
આ બેઠકને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક છે. આ ચૂંટણીમાં શિંદે-ફડણવીસ જૂથ BMCની સત્તા ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) જૂથના હાથમાંથી છીનવી લેવાના મૂડમાં છે. આવી સ્થિતિમાં મરાઠી માનસ અને મરાઠી ભાષાના રાજકારણને કારણે રાજ ઠાકરેની પાર્ટી મરાઠી ભાષી મતદારોમાં સારી પકડ ધરાવે છે. જો રાજ ઠાકરેની પાર્ટી ભાજપ-શિંદે જૂથ સાથે ગઠબંધન કરે છે અથવા પડદા પાછળ એકબીજાને મદદ કરવાની સમજૂતી થાય છે, તો મુંબઈ મ્યુનિસિપલ ચૂંટણીમાં શિવસેનાને તેના ગઢ મુંબઈમાંથી જડમૂળથી ઉખાડી નાખવામાં ભાજપની વ્યૂહરચના સફળ થઈ શકે છે.