Maharashtra Corona Update: મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત, એક જ દિવસમાં 12 હજારનો આંકડો પાર, ઓમિક્રોનના 68 નવા કેસ
સોમવારે મહારાષ્ટ્રમાં 12,160 કોરોના કેસ નોંધાયા હતા. આ ઉપરાંત 68 ઓમિક્રોન સંક્રમિત દર્દીઓ પણ મળી આવ્યા હતા. આ સિવાય સોમવારે કોરોનાને કારણે 11 લોકોના મોત પણ થયા હતા.
મહારાષ્ટ્રમાં (Maharashtra) કોરોનાનો કહેર યથાવત છે. આ ઉપરાંત ઓમિક્રોનનું (Omicron) જોખમ પણ ભારે છે. સોમવારે મહારાષ્ટ્રમાં 12,160 કોરોના કેસ નોંધાયા હતા. આ સિવાય 68 ઓમિક્રોન સંક્રમિત દર્દીઓ પણ મળી આવ્યા હતા. સોમવારે કોરોનાને (Corona Cases) કારણે 11 લોકોના મોત પણ થયા હતા. રવિવારે પણ કોરોનાના લગભગ 12 હજાર કેસ (11 હજાર 877) નોંધાયા હતા.
સતત બીજા દિવસે 12 હજારની નજીકનો આંકડો સામે આવ્યો છે. રવિવારે 9 લોકોના મોત થયા હતા. આ આંકડો ફરી એકવાર મોટા જોખમનો સંકેત આપી રહ્યો છે. મહારાષ્ટ્રમાં સરકારના સભ્યોને પણ કોરોના ઝડપથી સંક્રમિત કરી રહ્યો છે. વધુ ચાર ધારાસભ્યો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ રીતે રાજ્યમાં 10 મંત્રીઓ ઉપરાંત હવે 25 ધારાસભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે.
મુંબઈમાં સતત બીજા દિવસે કોરોનાના 8,000 થી વધુ કેસ
કોરોનાના 12 હજારથી વધુ કેસોમાં એકલા મુંબઈમાં 8 હજાર 82 કેસ નોંધાયા છે. ઓમિક્રોન કેસની વાત કરીએ તો, કુલ 68 કેસમાંથી મુંબઈમાં જ 40 લોકો ઓમિક્રોન પોઝિટિવ જોવા મળ્યા છે. મહારાષ્ટ્રના અડધાથી વધુ કોરોના-ઓમીક્રોન સંક્રમણ એકલા મુંબઈમાંથી સામે આવી રહ્યા છે. રવિવારે પણ મુંબઈમાં આઠ હજારથી વધુ કેસ (8063) નોંધાયા હતા.
ઓમિક્રોનની આફત સામે ઝઝૂમી રહ્યું છે મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં ઓમિક્રોન સંકટની વાત કરીએ તો મુંબઈમાં 40 કેસની સાથે પુણેમાં પણ 14 કેસ નોંધાયા છે. નાગપુરમાં 4 ઓમિક્રોન સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે. પુણે ગ્રામીણ અને પનવેલમાં ઓમિક્રોનના 3-3 કેસ નોંધાયા છે. કોલ્હાપુર, નવી મુંબઈ, સતારા, રાયગઢમાંથી 1-1 કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 578 ઓમિક્રોનના દર્દીઓ નોંધાયા છે. તેમાંથી 259 લોકો ઓમિક્રોનમાંથી મુક્ત પણ થઈ ગયા છે.
મુંબઈ, થાણે, નવી મુંબઈમાં શાળાઓ બંધ કરવામાં આવી
કોરોના અને ઓમિક્રોનના વધતા જોખમોને ધ્યાનમાં રાખીને, મુંબઈ, થાણે અને નવી મુંબઈ મહાનગરપાલિકાએ ધોરણ 1 થી 9 અને ધોરણ 11 માટે શાળાઓને બંધ રાખવાનો નિર્ણય લીધો છે. એટલે કે શાળાઓ માત્ર ધોરણ 10 અને 12 માટે જ ખુલી રહેશે. વર્ગના બાકીના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન વર્ગો શરૂ થશે. આ આદેશ હાલ 31 જાન્યુઆરી સુધી આપવામાં આવ્યો છે.
પૂણેની શાળાઓ બંધ કરવાનો નિર્ણય આવતીકાલ સુધીમાં લેવામાં આવે તેવી શક્યતા છે. પૂણેના મેયર મુરલીધર મોહોલેએ પૂણેના સંરક્ષક મંત્રી (જે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન પણ છે) અજિત પવાર સાથે વાત કરીને નિર્ણય લેવાની વાત કરી છે. આ સિવાય પાલઘરના જિલ્લા મેજિસ્ટ્રેટે બાલવાડી અને નર્સરી સ્કૂલને પણ આગામી આદેશ સુધી બંધ કરાવી દીધી છે.
આ પણ વાંચો : Mumbai Thane Pune Schools: મુંબઈ બાદ થાણેની શાળાઓ પણ બંધ, નવી મુંબઈ અને પુણેમાં પણ આવતીકાલ સુધી લેવાય શકે છે નિર્ણય