Gujarati NewsMumbai। Corona blast in Maharashtra, more than 11 thousand cases reported in one day
મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ, એક જ દિવસમાં નોંધાયા 11 હજારથી વધુ કેસ, પોઝિટિવીટી રેટમાં 29 ટકાનો વધારો
આ દરમિયાન રવિવારે મુંબઈમાં 8,063 કોરોના કેસ નોંધાયા છે. શનિવારે 6,347 કેસ નોંધાયા હતા. રાહતની વાત એ છે કે રવિવારે મુંબઈમાં કોરોનાને કારણે એક પણ મોત થયું નથી.
આજે મહારાષ્ટ્ર (Maharashtra)માં 11, 877 કોરોનાના કેસ નોંધાયા છે. સાથે જ 2,069 દર્દીઓ સંક્રમણમાંથી સાજા પણ થયા છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ રીકવર થયેલા કેસોનો આંકડો 65,12,610 પર પહોંચ્યો છે. હાલ રાજ્યમાં 42,024 કોરોનાના (Corona) એક્ટીવ કેસ છે. પરંતુ રીકવરી રેટ 97.21% છે. આ માહિતી રાજ્યના આરોગ્ય મંત્રી રાજેશ ટોપે (State Health Minister Rajesh Tope) દ્વારા ટ્વીટ કરીને આપવામાં આવી છે. હાલ કોરોનાનું સંક્રમણ જે રીતે વધી રહ્યું છે તેને જોતા ત્રીજી લહેરની આશંકા વધતી જાય છે. લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
પીએમ નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) જાહેરાત અનુસાર સોમવાર (3 જાન્યુઆરી)થી 15થી 18 વર્ષની વયના બાળકોનું રસીકરણ (vaccination) શરૂ થઈ રહ્યું છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ કોરોના સામેના રસીકરણ અભિયાનની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. મુંબઈમાં 9 રસીકરણ કેન્દ્રો પર બાળકોને રસી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
મુંબઈ મહાનગરપાલિકા વતી 15થી 18 વર્ષના યુવાનો માટે 9 રસીકરણ કેન્દ્રો પર વ્યવસ્થા કરવામાં આવી છે. રસીકરણ કેન્દ્રો પર ભીડ ન વધે તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે. રસીનો ડોઝ આપ્યા બાદ સંબંધિત વિદ્યાર્થીઓને અડધો કલાક નિષ્ણાતોની દેખરેખ હેઠળ રાખવામાં આવશે. જો વિદ્યાર્થીઓમાં કોઈ પ્રતિક્રિયા જોવા મળે તો તેની સારવાર માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. મુંબઈના આરોગ્ય વિભાગે આ માહિતી આપી છે.
મુંબઈમાં આજે નોંધાયા 8000થી વધુ કેસ
આ દરમિયાન રવિવારે મુંબઈમાં 8,063 કોરોના કેસ નોંધાયા છે. શનિવારે 6,347 કેસ નોંધાયા હતા. રાહતની વાત એ છે કે રવિવારે મુંબઈમાં કોરોનાને કારણે એક પણ મોત થયું નથી. બીજી તરફ કોરોનાનો નવો વેરીઅન્ટ એટલે કે ઓમિક્રોનના દર્દીઓ પણ વધી રહ્યા છે. ત્યારે લોકોમાં ક્યાંકને ક્યાંક લોકડાઉનની ભીતી છે.
આ વધેલા આંકડાઓના કારણે મુંબઈ શહેર ફરી એક વાર લોકડાઉનની અણી પર પહોંચી ગયું છે. તેથી વહીવટીતંત્ર નિયમોનું પાલન કરવા અપીલ કરી રહ્યું છે. બીજી લહેરને અટકાવનાર મુંબઈની પેટર્નની વિશ્વભરમાં ચર્ચા થઈ હતી. પરંતુ હવે પ્રશાસનને ત્રીજી લહેરને રોકવા માટે કડક પગલા લેવા પડશે.