ગણપતિના (Ganesha )આગમનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જેથી ગણેશભક્તોએ તેની તૈયારીઓ(Preparation ) પણ જોરશોરમાં શરૂ કરી દીધી છે. કોરોનાના (Corona )બે વર્ષ પછી હવે તહેવારોની રંગત જયારે પાછી ફરી છે, ત્યારે ગણપતિ બાપ્પાને આવકારવા માટે આ વર્ષે ભક્તોમાં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે 15 દિવસ પછી ગણપતિ બાપ્પાનું આગમન થવા જઈ રહ્યું છે. આપણે જાણીએ છીએ તેમ કોરોના કાળ દરમિયાન ભક્તોએ બે વર્ષથી ઓનલાઈન બાપ્પાના દર્શન કરવા પડ્યા હતા.
પરંતુ આ વખતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ તમામ તહેવારો ધામધૂમથી ઉજવવાનું આહ્વાન કર્યું છે. આવી સ્થિતિમાં માત્ર મુંબઈમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ પ્રખ્યાત લાલબાગના રાજાના આગમનની તૈયારીઓ પણ પુરજોશમાં શરૂ થઈ ગઈ છે. અને આ વખતે અયોધ્યાના રામ મંદિરની થીમ પર લાલબાગના રાજાનો પંડાલ બનાવવામાં આવી રહ્યો છે.બોલિવૂડના પ્રખ્યાત આર્ટ ડાયરેક્ટર નીતિન ચંદ્રકાંત દેસાઈ આ થીમને સાકાર કરવા જઈ રહ્યા છે.
દર વર્ષે લાલબાગ ચા રાજાના મંડપ માં અલગ અલગ થીમના દર્શન જોવા મળે છે. ત્યારે આ વખતે લાલબાગના રાજા જે પંડાલમાં બેસવાના છે તે રામલલ્લાના મંદિરની પ્રતિકૃતિ હશે. ગણપતિના પંડાલથી લઈને ડેકોરેશન અને પંડાલની અંદરના દ્રશ્યો બિલકુલ અયોધ્યાના રામ મંદિર જેવા હશે. પંડાલના મુખ્ય પ્રવેશદ્વારથી બહાર સુધીનું ડેકોરેશન અયોધ્યાના રામ મંદિરના કદ અને આકાર જેવું જ હશે. પ્રવેશદ્વાર પર ભગવાન શ્રી રામની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. જ્યાં લાલબાગના રાજાની મુખ્ય મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે ત્યાં રામ મંદિરના ઘુમટની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવશે.
લાલબાગના રાજાનો પંડાલ, તેમની મૂર્તિ અને તેની આસપાસની સજાવટ દર વર્ષે દેશ-વિદેશના લાખો-કરોડો ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. દર વર્ષે તેઓ કોઈને કોઈ થીમ પર તૈયાર કરવામાં આવે છે. આ વખતની થીમ અયોધ્યાના રામ મંદિર પર રાખવામાં આવી છે એટલે કે આ વખતે લાલબાગચા રાજાની જાહોજલાલી વધુ ભવ્ય અને દિવ્ય બનવાની છે. કોરોના સમયગાળા બાદ ગણપતિ બાપ્પાના દર્શન માટે ભક્તો પહેલેથી જ આતુર છે એટલે કે આ વર્ષે દર્શન માટે લોકો મોટી સંખ્યામાં આવે તેવી પુરેપુરી સંભાવના છે.
દર વર્ષે લાલબાગના રાજાના દર્શન માટે ભક્તોનો ધસારો રહેતો હતો. લોકો દર્શન માટે કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેતા હતા. આ બધું છેલ્લા બે વર્ષથી બંધ હતું, પણ કોરોનાના સમયગાળા દરમિયાન જ દર્શન ઓનલાઈન લઈ શકાતા હતા. પરંતુ હવે તે તમામ પ્રતિબંધો હટાવી દેવામાં આવ્યા છે. ભક્તો આ વખતે પંડાલમાં આવીને બાપ્પાના દર્શન કરી શકશે. ભક્તો હવે બાપ્પાના એક દર્શન માટે તલપાપડ દેખાઈ રહ્યાછે, જેમ જેમ દિવસો પસાર થાય છે તેમ તેમ ગણેશ ભક્તો બાપ્પાના આગમનની રાહ જોઈ રહ્યા છે.