મહારાષ્ટ્ર (Maharashtra)ના રત્નાગિરી (Ratnagiri)માં કથિત રીતે ઝેરી ખોરાક ખાવાથી 21 શ્વાનોના મોતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ કેસમાં પોલીસે એફઆઈઆર નોંધીને કૂતરાઓના મોતનું કારણ શોધવાનું શરૂ કર્યું છે.
રત્નાગિરી શહેર પોલીસે ગુરુવારે શહેરમાં 21 કૂતરાઓની કથિત રીતે હત્યાના સંદર્ભમાં એફઆઈઆર નોંધાવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ શ્વાનોનું મૃત્યુ બુધવાર અને ગુરુવાર દરમિયાન રાત્રીના સમયે થયું હતું. પોલીસનું કહેવું છે કે મૃત કૂતરાઓની સંખ્યા થોડી વધી શકે છે. એક અખબારી અહેવાલ મુજબ રત્નાગિરી શહેર પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ ઈન્સ્પેક્ટર વિનીત ચૌધરીએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું છે કે પ્રાણીઓના અધિકારો માટે કામ કરનાર વ્યક્તિએ ગુરુવારે આ મામલે FIR નોંધાવી છે.
વિનીત ચૌધરીએ વધુમાં જણાવ્યું કે માર્યા ગયેલા 21 કૂતરાઓને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. આ સાથે રાસાયણિક વિશ્લેષણ રિપોર્ટ માટે મૃત શ્વાનોના નમૂના પણ લેવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં પોલીસને શંકા છે કે કૂતરાઓને ઝેર આપવામાં આવ્યું હતું. જોકે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શહેરના વિવિધ વિસ્તારોમાંથી કૂતરાઓના શબ મળી આવ્યા છે. શહેરના આરોગ્ય મંદિર અને આઈસીઆઈસીઆઈ રોડ નજીકના વિસ્તારોમાં આ શ્વાનોના મૃતદેહ મળી આવ્યા છે. પોલીસે આ મામલે આઈપીસીની કલમ 428 અને 429ની સાથે સાથે પશુ ક્રુરતા નિવારણ અધિનિયમ સેક્શન 11 હેઠળ કેસ નોંધ્યો છે.
અહેવાલો અનુસાર, શ્વાનો પાસે ચિકન અને ભાત મળી આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોઈએ કૂતરાઓને ઝેરી ભાત અને ચિકન ખવડાવ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વધુ 30 કૂતરા ગુમ છે. જો કે, કૂતરાઓને ઝેર આપવામાં આવ્યું તે હકીકતની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. વેટરનરી અધિકારીઓએ કહ્યું કે રાસાયણિક પરીક્ષણો પછી જ સ્પષ્ટ થશે કે કૂતરાઓને ખરેખર ઝેરી ખોરાક આપવામાં આવ્યો હતો કે નહીં.