Cyrus Mistry Death: સાયરસ મિસ્ત્રીના પાર્થિવ દેહને પાલઘરથી મુંબઈ લઇ જવામાં આવી રહ્યો છે, કારની પણ તપાસ શરૂ
ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું મહારાષ્ટ્રના પાલઘરમાં કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેઓ 54 વર્ષના હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈને અડીને આવેલા પાલઘર જિલ્લામાં સાયરસ મિસ્ત્રીની લક્ઝરી કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત થયો હતો
ટાટા સન્સના(Tata Sons) પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના(Cyrus Mistry) પાર્થિવ દેહને પાલઘરથી મુંબઈ(Mumbai) લઈ જવામાં આવી રહ્યો છે. જ્યારે મોટર વ્હીકલ ઈન્સ્પેક્ટર મનીષા મોરેએ જણાવ્યું છે કે કારની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું છે કે હાલમાં વધુ કહી શકતી નથી, કારનું નિરીક્ષણ કરશે અને રિપોર્ટ સબમિટ કરશે આ કેસની તપાસ ચાલી રહી છે.ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું મહારાષ્ટ્રના પાલઘરમાં કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેઓ 54 વર્ષના હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈને અડીને આવેલા પાલઘર જિલ્લામાં સાયરસ મિસ્ત્રીની લક્ઝરી કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત થયો હતો. સાયરસ મિસ્ત્રી અમદાવાદથી મુંબઈ જઈ રહ્યા હતા.
સૂર્યા નદી પરના પુલ પર અકસ્માત
પાલઘર જિલ્લાના પોલીસ અધિક્ષક બાલાસાહેબ પાટીલે જણાવ્યું કે, આ અકસ્માત બપોરે 3.15 વાગ્યે થયો હતો. તે સમયે સાયરસ મિસ્ત્રી અમદાવાદથી મુંબઈ જઈ રહ્યા હતા. આ અકસ્માત સૂર્યા નદી પરના પુલ પર થયો હતો. અકસ્માતમાં મિસ્ત્રી અને અન્ય એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બે અન્ય લોકો ઘાયલ થયા હતા, એમ તેમણે જણાવ્યું હતું. ઇજાગ્રસ્તોને સારવાર માટે ગુજરાત મોકલવામાં આવ્યા હતા.
મિસ્ત્રીની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી
જેમાં અકસ્માત સમયે કારમાં ડ્રાયવર સહિત કુલ ચાર લોકો સવાર હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માત મુંબઈથી લગભગ 120 કિલોમીટર દૂર કાસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સૂર્યા નદીના પુલ પર થયો હતો. ડિવાઈડર સાથે અથડાયા બાદ મિસ્ત્રીની કાર રિટેન્શન વોલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કાસા ગ્રામ્ય હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. તે જ સમયે, બે લોકોને સારવાર માટે ગુજરાતના વાપીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
44 વર્ષની વયે ટાટા સન્સની બાગડોર સંભાળી
આ દરમ્યાન મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પોલીસને જીવલેણ અકસ્માતની વિગતવાર તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે સાયરસ મિસ્ત્રીએ 2012માં માત્ર 44 વર્ષની વયે ટાટા જૂથની પ્રતિનિધિ કંપની ટાટા સન્સની બાગડોર સંભાળી હતી. તેમણે ચાર વર્ષ સુધી આ પદ સંભાળ્યું અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સાથેના મતભેદોને પગલે ઓક્ટોબર 2016માં તેમને અચાનક દૂર કરવામાં આવ્યા. મિસ્ત્રીએ ટાટા સન્સમાં બહુમતી હિસ્સો ધરાવતા શાપૂરજી પલોનજી ગ્રુપના વડા તરીકે પણ કાર્યભાર સંભાળ્યો હતો. તેમના પિતા અને દિગ્ગજ ઉદ્યોગપતિ પલોનજી શાપૂરજી મિસ્ત્રીનું લગભગ બે મહિના પહેલા અવસાન થયું હતું.