Maharashtra Rain: દરેક જિલ્લામાં NDRF જેવી રાહત ટીમ રચવા CM ઉદ્ધવ ઠાકરેની જાહેરાત
વારંવાર થતી કુદરતી આફતોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની જેમ એક અલગ જ બચાવ અને રાહત ટીમની રચના કરવામાં આવશે.
મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદન વરસી રહ્યો છે. વરસાદનાં આ કહેરને લઈને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે કહ્યું હતું કે રાજ્યના તમામ જિલ્લાઓમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (National Disaster Response Force – NDRF) ની જેમ જ એક અલગ રાહત ટીમની રચના કરવામાં આવશે.
સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (State Disaster Response Force – SDRF) પણ મજબૂત બનાવવામાં આવશે. એ પણ જણાવી દઈએ કે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં પૂર, ભૂસ્ખલન અને વરસાદ સંબંધિત અન્ય દુર્ઘટનાઓમાં મૃત્યુઆંક 113 પર પહોંચી ગયો છે.
રાજ્ય સરકારના આંકડાઓ મુજબ આ દુર્ઘટનાઓમાં લગભગ 100 લોકો ગુમ થવાની આશંકા છે. આ દુર્ઘટનાઓમાં અત્યાર સુધીમાં 50 લોકો ઘાયલ પણ થયા છે.
સીએમએ ચિપલૂનની લીધી હતી મુલાકાત
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રવિવારે કોંકણ ક્ષેત્રના રત્નાગીરી જિલ્લામાં ભારે પુરથી અસરગ્રસ્ત ચીપલૂન વિસ્તારની મુલાકાત લીધી હતી.
ચીપલૂનમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા ઠાકરેએ કહ્યું કે, “વારંવાર થતી કુદરતી આફતોને ધ્યાનમાં રાખીને રાજ્યના તમામ જિલ્લાઓમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની જેમ એક અલગ રાહત ટીમની રચના કરવામાં આવશે.” તેમજ પૂર વ્યવસ્થાપન મશીનરી પણ લગાવવાની વાત પણ કરી હતી.
મુખ્યમંત્રી નહીં ઉજવે જન્મદિવસ
તેમણે સ્થાનિક પ્રશાસનને પૂરગ્રસ્ત લોકોને ભોજન, પાણી અને દવા ઉપલબ્ધ કરાવવાનો નિર્દેશ આપ્યો છે. ઠાકરેએ એમ પણ કહ્યું હતું કે તેઓ 27 મી જુલાઈએ તેમનો જન્મદિવસ ઉજવશે નહીં.
તેમણે લોકોને હોર્ડિંગ્સ ન લગાવવાની અને વ્યક્તિગત રૂપે તેમને મળવા ન આવવાની અપીલ કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે કોવિડ -19 મહામારીને ધ્યાનમાં રાખીને તેમના જન્મદિવસ નિમિત્તે કોઈ પણ પ્રકારનો કોઈ કાર્યક્રમ યોજવો ન જોઇએ. ઠાકરેએ લોકોને મુખ્યમંત્રી રાહત ભંડોળમાં દાન આપવા વિનંતી પણ કરી છે.
કેન્દ્રીય મંત્રીએ કરી ટીકા
આ દરમિયાન કેન્દ્રીય ઉદ્યોગો મંત્રી નારાયણ રાણેએ પણ પૂરગ્રસ્ત ચિપલૂન શહેરની મુલાકાત લીધી હતી. અને મુખ્ય મંત્રીની પૂર વ્યવસ્થાપન કામગીરી માટે ટીકા કરી હતી. તેમજ સ્થાનિક પ્રશાસનને બેજવાબદાર ગણાવ્યું હતું.
રાણેએ વધુમાં એમ પણ કહ્યું કે, રાજ્યમાં કોઈ મુખ્યમંત્રી કે પ્રશાસન નથી. રાજ્ય સરકારે પૂરને કારણે વિસ્થાપિત થયેલાં લોકોને ભોજન પૂરું પાડવા કોઈ નક્કર પ્રયાસો કર્યા નથી.
આ પણ વાંચો : Maharashtra: કોરોના, વરસાદ, પૂર, દુર્ઘટનાઓ ઉદ્ધવ ઠાકરેને લીધે, કેન્દ્રિય પ્રધાન નારાયણ રાણેએ કર્યો કટાક્ષ