શ્રીનાથજી ધામથી 5G સેવાનો થશે શુભ આરંભ : મુકેશ અંબાણી અને રાધિકા મર્ચન્ટએ નાથદ્વારામાં ઝુકાવ્યું શીશ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી તેમની ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ સાથે શ્રીનાથજી મંદિર પહોંચ્યા હતા. તેમણે આરાધ્ય ભગવાન શ્રીનાથજીના દર્શન કર્યા હતા.
દેશમાં 5G ઈન્ટરનેટ સેવાનો પ્રારંભ રાજસ્થાનના નાથદ્વારામાં શ્રીનાથજી મંદિરથી કરવામાં આવશે. મંદિર સાથે જોડાયેલા સૂત્રો પાસેથી આ માહિતી મળી છે. સોમવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી(Mukesh Ambani) તેમની ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) સાથે શ્રીનાથજી મંદિર પહોંચ્યા હતા. તેમણે આરાધ્ય ભગવાન શ્રીનાથજીના દર્શન કર્યા હતા. આ દરમિયાન તેમણે મંદિર સાથે જોડાયેલા અધિકારીઓ સાથે તમામ મુદ્દાઓ પર ચર્ચા પણ કરી હતી. અગાઉ માર્ચ 2021માં અંબાણી પરિવાર પુત્રવધૂ રાધિકાને આશીર્વાદ આપાવવા અહીં આવ્યા હતા.
વલ્લભ સંપ્રદાયની મુખ્ય બેઠક શ્રીનાથજી મંદિર નાથદ્વારામાં સોમવારે રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ સાંજની આરતી કરી હતી. મુકેશ અંબાણી મુંબઈથી તેમના ચાર્ટર્ડ પ્લેનથી સીધા ઉદયપુરના ડબોક મહારાણા પ્રતાપ એરપોર્ટ પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ તેમના નાના પુત્ર અનંત અંબાણીની ભાવિ પત્ની રાધિકા મર્ચન્ટ સાથે સીધા રોડ માર્ગે શ્રીનાથજી મંદિર પહોંચ્યા હતા.
ચર્ચા દરમિયાન અંબાણીએ શ્રીનાથજીના દરબારમાંથી દેશમાં 5જી ઈન્ટરનેટ સેવા શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જો કે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
5Gનું થઈ રહ્યું છે ઝડપી વિસ્તરણ
4G ગ્રાહકોની સંખ્યામાં પણ વધારો થયો છે. 5G જે ઝડપ સાથે વિસ્તરી રહ્યું છે, અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે વર્ષ 2022ના અંત સુધીમાં તેના ગ્રાહકોની સંખ્યા 1 અબજ સુધી પહોંચી જશે. ઉત્તર અમેરિકા અને ચીન જેવા બજારોના વિસ્તરણ સાથે, 5G વપરાશકર્તાઓની સંખ્યામાં વધારો થયો છે. ત્યારે અહેવાલમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે 4G વપરાશકર્તાઓની સંખ્યા તેની ટોચ પર પહોંચી ગઈ છે.
ટેલિકોમ કંપની ભારતી એરટેલે 5G (5G in India)ને લઈને જોરદાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. કંપનીનો દાવો છે કે તે એક મહિનાની અંદર 5G સર્વિસ શરૂ કરવાની તૈયારી કરી રહી છે. કંપની આ વર્ષના ડિસેમ્બર સુધીમાં દેશના મહત્વના મહાનગરોમાં 5G સેવાઓ શરૂ કરવા માંગે છે. કંપનીના એક ટોચના અધિકારીએ બુધવારે આ જાણકારી આપી. ગ્રાહકોને સંદેશ આપતાં, કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO)ગોપાલ વિટ્ટલે કહ્યું કે, અમે 2023ના અંત સુધીમાં દેશના તમામ શહેરી વિસ્તારોમાં 5G સેવા (5G services)શરૂ કરવાની યોજના બનાવીએ છીએ. વિટ્ટલે કહ્યું કે એરટેલનું 5G નેટવર્ક 4G કરતાં 20 થી 30 ગણી વધુ ઝડપે સ્પીડ પ્રદાન કરશે.