ગાયત્રી મંત્રના જાપ વખતે આ નિયમોનું પાલન કરવું જરૂરી ! નહીંતર, મુસીબતનો કરવો પડશે સામનો !
બ્રહ્મ મુહૂર્તમાં પૂર્વ દિશા તરફ મુખ રાખીને મંત્રજાપ કરવો ફળદાયી મનાય છે. તો સાંજે પશ્ચિમ દિશા તરફ મુખ રાખી મંત્રજાપ કરવાથી વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે. તુલસી માળા અથવા તો ચંદનની માળાથી જ ગાયત્રી મંત્રનો (Gayatri Mantra ) જાપ કરવો જોઈએ.

ગાયત્રી મંત્રને અનંત ઊર્જાનો સંપૂટ મનાય છે. માન્યતા અનુસાર તેમાં અપાર શક્તિ રહેલી છે. નિર્જીવમાં પણ પ્રાણ ફૂંકવાનું તેનામાં સામર્થ્ય છે. આ મંત્ર આપણી સંસ્કૃતિમાં એ રીતે વણાઈ ગયો છે કે નાના બાળકને અન્ય કોઈ મંત્ર આવડે કે ન આવડે પણ ગાયત્રી મંત્ર તો આવડતો જ હોય !
પણ, શું તમે એ જાણો છો કે આ મંત્રનો જાપ કરવાના પણ કેટલાંક નિયમો છે ? એટલે કે, ગાયત્રી મંત્રનો જાપ કરતા પહેલાં કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. નહીંતર આ ફળદાયી મંત્ર તમને પૂર્ણ લાભની પ્રાપ્તિ નહીં કરાવે. ત્યારે આવો જાણીએ કે ગાયત્રી મંત્રના જાપ સમયે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે.
ગાયત્રી મંત્રના જાપના નિયમો
⦁ કોઈ ગુરુના માર્ગદર્શન હેઠળ જ આ મંત્રનો જાપ કરવો જોઈએ.
⦁ નિત્ય સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને જ મંત્રજાપનો આરંભ કરવો. એટલે કે, જો તમે સંધ્યા સમયે ગાયત્રી મંત્રનો જાપ કરવા ઈચ્છતા હોવ, તો પણ સ્નાન બાદ જ તે મંત્રનો જાપ કરવો શુભદાયી બની રહેશે.
⦁ શક્ય હોય તો મંત્રજાપ સમયે સુતરાઉ વસ્ત્ર ધારણ કરવા.
⦁ મંત્રજાપ માટે કુશના આસન પર અથવા તો ચટાઈ પર જ બેસવું.
⦁ તુલસી માળા અથવા તો ચંદનની માળાથી જ ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ.
⦁ બ્રહ્મ મુહૂર્તમાં પૂર્વ દિશા તરફ મુખ રાખીને મંત્રજાપ કરવો ફળદાયી મનાય છે. તો સાંજે પશ્ચિમ દિશા તરફ મુખ રાખી મંત્રજાપ કરવાથી વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે.
⦁ મંત્ર જાપના દિવસો દરમિયાન તમારી ખાણી-પીણી એકદમ સાત્વિક હોવી જરૂરી છે.
⦁ ગાયત્રી મંત્રનો જાપ કરી રહ્યા હોવ તે દરમ્યાન ભૂલથી પણ વાત ન કરવી જોઈએ.
⦁ તમે મંત્રજાપ કરી રહ્યા હોવ તે દરમિયાન મનમાં કોઈના પણ માટે ખટરાગ કે કડવાશનો ભાવ ન રાખવો જોઈએ.
⦁ જેમ મનશુદ્ધિ જરૂરી છે, તે જ રીતે આસપાસની શુદ્ધિ પણ એટલી જ જરૂરી છે. એટલે કે, તમે જ્યારે મંત્રજાપ કરી રહ્યા હોવ ત્યારે આસપાસ સ્વચ્છતા છે કે નહીં, તે એકવાર જરૂરથી ચકાસી લો. સ્વચ્છ સ્થાન પર મંત્રજાપથી જ સકારાત્મક ઊર્જાની પ્રાપ્તિ થશે.
⦁ હંમેશા કમરને ટટ્ટાર રાખીને જ ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. જો તમે આવું નહીં કરો તો તમને મંત્રજાપના પૂર્ણ ફળની પ્રાપ્તિ નહીં થાય.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)
Latest News Updates





