કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) આજે જમ્મુ-કાશ્મીરની સ્થિતિની સમીક્ષા કરશે. આ બેઠકમાં કાશ્મીર ખીણ પ્રદેશમાં વધી રહેલી ટાર્ગેટ કિલિંગની (Target Killing) ઘટનાઓ પર મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. જમ્મુ અને કાશ્મીર પર શાહ દ્વારા પખવાડિયામાં બોલાવવામાં આવેલી આ બીજી ઉચ્ચ સ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠક (Review meeting) હશે. આવી સ્થિતિમાં અંદાજ લગાવી શકાય છે કે કેન્દ્ર સરકાર કાશ્મીરની (Kashmir) સ્થિતિને લઈને ઘણી ચિંતિત છે. એક દિવસ પહેલા જ કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા બીન કાશ્મીરી બે મજૂરોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જેમાં બિહારના એક મજૂરનું મોત થયું છે, જ્યારે અન્ય એક વ્યક્તિની હાલત ગંભીર છે.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે આ બેઠકમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, આર્મી ચીફ જનરલ મનોજ પાંડે, કેન્દ્ર શાસિત પ્રદેશના અર્ધલશ્કરી દળોના ટોચના અધિકારીઓ, ગુપ્તચર એજન્સીઓ, પોલીસ અને નાગરિક વહીવટીતંત્ર હાજર રહેશે. આ બેઠકમાં 30 જૂનથી શરૂ થનારી વાર્ષિક અમરનાથ યાત્રા પહેલા આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અને ખીણમાં સુરક્ષાની સ્થિતિને સારી રીતે નિયંત્રણમાં લાવવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે તમામ વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે ઉપરાજ્યપાલ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ અને લક્ષ્યાંકિત હત્યાઓને રોકવા માટે લેવામાં આવેલા પગલાં વિશે વિગતવાર માહિતી આપશે. જેમાં અમરનાથ યાત્રાની સુરક્ષાની બ્લુ પ્રિન્ટ પણ તૈયાર કરવામાં આવી શકે છે. એટલું જ નહીં, કાશ્મીર ઘાટીમાં સુરક્ષાની સ્થિતિને વધુ મજબૂત કરવા પર પણ વાતચીત થઈ શકે છે. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં તમામ એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ ભાગ લેવાના છે.
કાશ્મીરમાં એક પછી એક ટાર્ગેટ કિલિંગની ઘટનાઓએ ત્યાં રહેતા હિન્દુઓમાં ખળભળાટ મચાવી દીધો છે. ગુરુવારે સવારે કુલગામમાં બેંક મેનેજરની હત્યા બાદ મોડી સાંજે બડગામમાં બે મજૂરોને ગોળી મારી દેવામાં આવી હતી. તેમાંથી એકનું મોત થયું હતું. દરમિયાન કાશ્મીરી પંડિતોએ સામૂહિક હિજરતની જાહેરાત કરી છે. આ માટે તેણે શુક્રવાર, 3 જૂનની તારીખ નક્કી કરી છે.