ગુજરાતમાં(Gujarat)બોટાદના સાળંગપુર (Salangpur) મંદિર ખાતે પણ હનુમાનજીની વિરાટ મૂર્તિનું (Hanumanji Statue)નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેમાં કષ્ટભંજનદેવ મંદિરના પરિસરમાં 54 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવનાર છે. જેનું વજન 30 હજાર કિલો હશે અને પંચધાતુમાંથી મૂર્તિ બનાવવામાં આવશે. જેમાં સાળંગપુર મંદિરની પાછળ 1 લાખ 35 હજાર સ્કવેર ફૂટ વિસ્તારમાં આ પ્રોજેક્ટ આકાર પામશે. તેમજ દક્ષિણ મુખે હનુમાનજીની વિશાળ મૂર્તિ મુકવામાં આવશે. આ ઉપરાંત 62 હજાર સ્ક્વેર ફૂટમાં બે મોટા ગાર્ડન બનાવવામાં આવશે. આ ગાર્ડનમાં એક સાથે 12 હજાર લોકો બેસી શકશે. તેમજ 11,900 સ્કવેર ફૂટમાં સ્ટેપ વેલ બનાવવામાં આવશે. જ્યા લાઇટ, સાઉન્ડ અને ફાઉન્ટેનનો રોમાંચ માણી શકાશે.
જેમાં સાળંગપુરમાં કષ્ટભંજનદેવ મંદિરના પરિસરમાં 6 કરોડ રૂપિયાના ખર્ચે બે વર્ષમાં હનુમાનજીની 54 ફૂટ ઊંચી પંચધાતુની મૂર્તિની સ્થાપના કરાશે. આ અંગે મળતી માહિતી મુજબ 100 જેટલા શિલ્પીઓ દ્વારા તૈયાર થનાર આ મૂર્તિને 1000 વર્ષ સુધી કોઈ નુકશાન ન થાય તે રીતે તૈયાર કરાશે. આ પંચધાતુવાળી મૂર્તિમાં શિલ્પ શાસ્ત્ર અનુસાર સોનુ, ચાંદી, તાંબું, સીસું અને લોખંડનો ઉપયોગ કરવામાં આવશે.
આ ઉપરાંત બોટાદના સાળંગપુરમાં આવેલા પ્રખ્યાત કષ્ટભંજન હનુમાનજી દાદાના દર્શન કરવા દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે ત્યારે ભાવિક ભક્તોની સુવિધામાં વધારો કરવા મંદિર ખાતે યાત્રિક ભવનનું નિર્માણ થવા જઇ રહ્યું છે. જેમાં રૂપિયા 100 કરોડના ખર્ચે નિર્માણ પામનાર આ આધુનિક યાત્રિક ભવનનું ખાતમુહૂર્ત આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ યાત્રિક ભવનમાં વી.વી.આઈ.પી, વી.આઈ.પી. સહિતના રૂમ તેમજ હોલ બનાવવામાં આવશે.. કુલ 4 વીઘામાં એક હજાર જેટલા રૂમોનું નિર્માણ કરવામાં આવશે.જેથી રાત્રી રોકાણ કરનાર શ્રદ્ધાળુઓને કોઇ અગવડતા નહિ પડે તેમજ તેઓ સવારની મંગળા આરતીનો પણ લાભ લઈ શકશે. આ ઉપરાંત આ પ્રોજેક્ટનું નામ કિંગ ઓફ સાળંગપુર રાખવામાં આવ્યું છે.
Published On - 8:02 pm, Fri, 5 August 22