નવી સરકારના આવતાની સાથે ભારતીય રેલવેમાં (Indian Railway) પણ ઘણો સુધારો થયો છે. દેશના યાત્રીઓને ભારતીય રેલવે દ્વારા નવી નવી સુવિધા મળતી રહી છે. હવે ફરી યાત્રીઓની સુવિધામાં વધારો થયો છે. દેશની પ્રથમ રેપિડ ટ્રેન (Rapid train) ભારત સરકારને સોંપવામાં આવી છે. આ ટ્રેન દિલ્હી મેરઠ રૂટ પર દોડાવવામાં આવશે. NCRTCએ ઓગસ્ટ મહિનામાં તેની ટ્રાયલ રન નક્કી કરી છે. આ રેપિડ ટ્રેનનો રનિંગ રૂટ પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ રેપિડ ટ્રેન કોઈ સામાન્ય ટ્રેન જેવી નહીં હોય, તેમાં ઉપલબ્ધ સુવિધાઓ કોઈ વિમાનથી ઓછી નથી.
પ્રથમ તબક્કામાં આ રેપિડ ટ્રેન સાહિબાબાદથી દુહાઈ ડેપો સુધી ચલાવવામાં આવશે. આ ટ્રેક કુલ 17 કિમીનો હશે. દિલ્હીથી મેરઠ વચ્ચે દોડતી આ રેપિડ રેલનો કુલ રૂટ 82.15 કિમીનો છે. આમાં એલિવેટેડ ભાગ 68 કિમીની નજીક છે જ્યારે ભૂગર્ભ ભાગ 14.12 કિમીનો હશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 માર્ચ 2019ના રોજ આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ રેપિડ ટ્રેન ગુજરાતના સાંવલીમાં બનાવવામાં આવી હતી. આ ટ્રેનના કોચ અલ્સ્ટોમ કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. આ વર્ષની 7 મેના રોજ ટ્રેનનો પહેલો સેટ NCRTCને સોંપવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રોજેક્ટની વાત કરીએ તો તેના પર 30274 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. સમગ્ર પ્રોજેક્ટમાં ખર્ચવામાં આવેલા બજેટમાં યુપી અને દિલ્હી બંને સરકારોનો હિસ્સો છે.
રેપિડ ટ્રેનના સમગ્ર કોરિડોરમાં કુલ બે ડેપો હશે અને તેમાં 24 સ્ટેશનો હશે. 82 કિમીના રૂટ પર ચાલતી આ ટ્રેન જમીન, એલિવેટેડ અને અંડરગ્રાઉન્ડ એમ ત્રણેય જગ્યાએથી પસાર થશે. આ સમગ્ર રૂટ પર કુલ 2890 પિલર બનાવવામાં આવશે. અત્યાર સુધીમાં બનેલા 41 કિમીના ટ્રેક પર 1700 પિલર બનાવવામાં આવ્યા છે. સ્પીડની વાત કરીએ તો તે સુપરફાસ્ટ રેપિડ ટ્રેન છે. તેની મહત્તમ સ્પીડ 180 kmphની ઝડપે ચાલશે.
મુસાફરો માટે વધુ સારી સુવિધાઓ સાથે ટ્રેનને પ્રીમિયમ લુક પણ આપવામાં આવશે. NCRTC અનુસાર, રેપિડ ટ્રેનમાં પ્રીમિયમ બિઝનેસ કોચ પણ જોડવામાં આવશે. જો કે, મુસાફરોએ આ લક્ઝરી સેવાઓનો ઉપયોગ કરવા માટે વધારાના પૈસા પણ ખર્ચવા પડશે.
ઓટોમેટિક ફેર કલેક્શન સિસ્ટમ એટલે કે AFC અને QR કોડવાળી ટિકિટ દિલ્હી-મેરઠ RRTC કોરિડોરમાં ઉપલબ્ધ થશે. આ ટિકિટો માટે, મુસાફરોએ પહેલા NCRTCની મોબાઈલ એપ અને વેબસાઈટ પર જઈને તેને જનરેટ કરવાની રહેશે. QR કોડ સ્કેન કર્યા પછી જ મુસાફરોને રેપિડ ટ્રેનમાં પ્રવેશ મળશે. આ ટ્રેન પર્યાવરણ માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આ ટ્રેન દોડવાને કારણે પર્યાવરણમાં કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો નોંધવામાં આવશે. આ ટ્રેનને કારણે દિલ્હી-મેરઠ રૂટ પર દરરોજ એક લાખ વાહનોનું દબાણ ઘટવાની આશા છે. તેનાથી વાર્ષિક 2.50 લાખ ટન કાર્બનના ઉત્સર્જનમાં ઘટાડો થશે.