ભારતીય ચલણ દેશમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા ચલાવવામાં આવે છે. રિઝર્વ બેંક દ્વારા ચલણી નોટો બહાર પાડવામાં આવે છે અને તેનું નિયમન કરવામાં આવે છે. જો તમે આ નોટોને ધ્યાનથી જોશો, તો તેમાં ભારતીય રિઝર્વ બેંકના ગવર્નરની ઘોષણા અને સહી હોય છે, પરંતુ શું તમે જાણો છો કે દેશમાં એક એવી નોટ ચલણમાં છે, જેના પર RBI ગવર્નરની સહી નથી. ચાલો તમને તેના વિશે વિગતવાર જણાવીએ.
આ પણ વાંચો Knowledge : 500 રૂપિયાની નોટ છાપવામાં કેટલો ખર્ચ થાય છે ? જુઓ Video
ભારતીય ચલણના ઇતિહાસ સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ તથ્યો છે, જે કદાચ ઓછા લોકો જાણે છે. આજે અમે તમને ભારતીય ચલણની સૌથી નાની નોટ એવી એક રૂપિયાની નોટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ભારતીય રિઝર્વ બેંક દ્વારા નહીં, પરંતુ ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે.
ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા એક રૂપિયાની નોટ બહાર પાડવામાં આવતી નથી. આ નોટ ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે. આ જ કારણ છે કે એક રૂપિયાની નોટ પર રિઝર્વ બેંકના ગવર્નરની સહી નથી હોતી. એક રૂપિયાની નોટ પર દેશના નાણા સચિવની સહી હોય છે.
એક રૂપિયાની પ્રથમ નોટ 30 નવેમ્બર 1917ના રોજ છાપવામાં આવી હતી. પ્રથમ નોટમાં રાજા જ્યોર્જ પંચમનો ફોટો હતો. RBIની વેબસાઈટ અનુસાર, 1926માં પહેલીવાર એક રૂપિયાની નોટનું પ્રિન્ટિંગ બંધ કરવામાં આવ્યું હતું. તે બાદ 1940માં ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું. આ પછી 1994માં ફરી એક રૂપિયાની નોટ છાપવાનું બંધ કરવામાં આવ્યું હતું. તે 2015થી ફરી શરૂ થયું છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સ્થાપના 1 એપ્રિલ, 1935ના રોજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એક્ટ, 1934ની જોગવાઈઓ અનુસાર કરવામાં આવી હતી. રિઝર્વ બેંકની મધ્યસ્થ કચેરી શરૂઆતમાં કોલકાતામાં સ્થાપવામાં આવી હતી, જે બાદ 1937માં કાયમી ધોરણે મુંબઈમાં શિફ્ટ કરવામાં આવી હતી.