PM Modiએ UNમાં મૂક્યો ઉજ્જડ જમીન સુધારવાનો ફોર્મ્યુલા, કચ્છની ઉજ્જડ જમીનનું આપ્યું ઉદાહરણ
પીએમ મોદીએ કહ્યું કે અમે જમીન સુધારણા માટે ભારતના ઘણા ભાગોમાં કેટલીક નવી પદ્ધતિઓ અપનાવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ સંયુક્ત રાષ્ટ્ર (UN)ની ઉચ્ચ સ્તરીય બેઠકને સંબોધન કરતાં ઉજ્જડ ભૂમિ અને દુષ્કાળની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. સોમવારે પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું હતું કે ભારતે આંતરરાષ્ટ્રીય મંચો પર જમીનના અધોગતિના મુદ્દાઓ ઉઠાવ્યા છે. આ દરમિયાન પીએમ મોદીએ જમીનના અધોગતિના મુદ્દાઓ નિવારવા ભારતે લીધેલા પગલાઓ વિશે પણ માહિતી આપી હતી.
પીએમ મોદીએ કહ્યું કે અમે જમીન સુધારણા માટે ભારતના ઘણા ભાગોમાં કેટલીક નવી પદ્ધતિઓ અપનાવી છે. જમીન સુધારણા જમીનની સારી તંદુરસ્તી, જમીનની ઉત્પાદકતામાં વધારો, ખોરાકની સુરક્ષા અને સારી આજીવિકાના સારા ચક્રની શરૂઆત કરી શકે છે.
એક ઉદાહરણ આપતાં પીએમ મોદીએ કહ્યું કે ગુજરાતમાં કચ્છ (Kutch, Gujarat) મોટાભાગે ઉજ્જડ (barren) ભૂમિ છે. આ વિસ્તારમાં બહુ ઓછો વરસાદ થાય છે. આવી સ્થિતિમાં આ વિસ્તારમાં ઘાસના મેદાનો તૈયાર કરવામાં આવ્યા હતા, જેથી જમીનને સુધારી શકાય. ઘાસ રોપીને જમીનને વેરાન અને રણ બનતા અટકાવવામાં આવી હતી.
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે જમીનની સુધારણાની સાથે પશુપાલનને પ્રોત્સાહન આપી પશુપાલન પ્રવૃત્તિઓ અને આજીવિકામાં પણ મદદ મળી. પીએમ મોદીએ કહ્યું કે તેવી જ રીતે સ્થાનિક તકનીકોને પ્રોત્સાહન આપીને જમીનના પુન:સ્થાપન માટે વ્યૂહરચના તૈયાર કરવાની જરૂર છે.
પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં ભારતમાં લગભગ 30 મિલિયન હેક્ટર વન વિસ્તારનો ઉમેરો થયો છે. આને કારણે વન વિસ્તાર દેશના કુલ વિસ્તારના લગભગ ચોથા ભાગ જેટલો વધી ગયો છે. તેમણે કહ્યું કે અમે 2030 સુધીમાં 26 મિલિયન હેક્ટર ઉજ્જડ જમીનને ફરીથી સ્થાપિત કરવા તરફ પણ કામ કરી રહ્યા છીએ.
આ પણ વાંચો : Corona Vaccine Side Effect: રસી લીધા પછી તાવ ન આવે તો શું સમજવું ? આડ અસર પર જાણો શું કહે છે એક્સપર્ટ ?