PM મોદી જાપાનના PMને મળ્યા, કહ્યું- આવા દુ:ખની ઘડીમાં મળીશું, એવું નહોતું વિચાર્યું
જાપાનના સૌથી લાંબા સમય સુધી સેવા આપતા વડા પ્રધાન શિન્ઝો આબેની આ વર્ષે 8 જુલાઈના રોજ જાપાનના પશ્ચિમ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન હુમલાખોર દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના (Shinzo Abe) અંતિમ સંસ્કારમાં હાજરી આપવા જાપાનની મુલાકાતે છે અને મંગળવારે તેમના અંતિમ સંસ્કાર કાર્યક્રમમાં હાજરી આપશે. આબેના અંતિમ સંસ્કારમાં પીએમ મોદી સહિત 20 દેશોના વડાઓ હાજર રહેશે. આજે વહેલી સવારે રાજધાની ટોક્યો પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદીએ (PM Narendra Modi) જાપાનના પીએમ ફુમિયો કિશિદા (Fumio Kishida) સાથે મુલાકાત કરી અને કહ્યું કે મને વિશ્વાસ છે કે તમારા નેતૃત્વમાં ભારત-જાપાનના સંબંધો વધુ ગાઢ બનશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે જાપાનની રાજધાની ટોક્યો પહોંચ્યા હતા અને ત્યાં જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બેઠક દરમિયાન બંને પક્ષના લોકો હાજર હતા. પીએમ મોદી આબેની પત્નીને પણ મળશે. આબેના અંતિમ સંસ્કારમાં વિશ્વભરના 100 થી વધુ વિદેશી પ્રતિનિધિઓ પણ ભાગ લેશે. આબેના અંતિમ સંસ્કાર ટોક્યોના નિપ્પોન બુડોકનમાં કરવામાં આવશે.
અમારા સંબંધો વધુ ગાઢ બનશેઃ પીએમ મોદી
આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ભારત અને જાપાનની મિત્રતાએ વૈશ્વિક પ્રભાવ બનાવવામાં મોટી ભૂમિકા ભજવી છે. મને ખાતરી છે કે તમારા નેતૃત્વમાં ભારત-જાપાનના સંબંધો વધુ ગાઢ બનશે. વિશ્વની સમસ્યાઓને ઉકેલવામાં આપણે યોગ્ય ભૂમિકા ભજવી શકીશું. શિન્ઝો આબેને યાદ કરતાં તેમણે કહ્યું, “આજે દુઃખની આ ઘડીમાં અમે મળી રહ્યા છીએ. છેલ્લી વાર જ્યારે હું આવ્યો ત્યારે મેં શિન્ઝો આબે સાથે ખૂબ લાંબી વાત કરી હતી અને મેં ક્યારેય કલ્પના નહોતી કરી કે ગયા પછી મારે આવા સમાચાર સાંભળવા પડશે.”
આ પહેલા વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગ્ચીએ ટ્વીટ કર્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા ટોક્યો જવા રવાના થયા છે.” બાગચીએ ટ્વીટમાં વધુમાં જણાવ્યું હતું કે, “ભારતે જાપાનના પૂર્વ વડાપ્રધાન આબેના સન્માનમાં 9 જુલાઈ 2022ના રોજ રાષ્ટ્રીય શોકનો દિવસ જાહેર કર્યો હતો. પીએમ મોદીની આ મુલાકાત તેમની સ્મૃતિને શ્રદ્ધાંજલિ આપવાનો અવસર હશે.
આ પહેલા વડાપ્રધાન મોદીએ ગઈકાલે પોતાના ટ્વીટમાં કહ્યું હતું કે, “પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે હું આજે રાત્રે ટોક્યો જઈ રહ્યો છું.” તેમણે આબેને પ્રિય મિત્ર અને ભારત-જાપાની મિત્રતાના મહાન સમર્થક ગણાવ્યા. વડા પ્રધાન મોદીએ કહ્યું કે તેઓ તમામ ભારતીયો વતી શોક વ્યક્ત કરવા વડા પ્રધાન કિશિદા અને શ્રીમતી આબેને મળશે.
પીએમ મોદી આબેની પત્નીને મળશે
પીએમ મોદી બપોરે 3 વાગ્યે જાપાનના પીએમ ફ્યુમિયો કિશિદા અને શિન્ઝો આબેની પત્ની ઓકી આબેને મળશે. “અમે આબેના વિઝનને અનુરૂપ ભારત-જાપાન સંબંધોને વધુ મજબૂત કરવા માટે કામ કરવાનું ચાલુ રાખીશું,” આ માહિતી આપતાં વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ જણાવ્યું કે વડાપ્રધાન મોદી આ મુલાકાત દરમિયાન શ્રીમતી આબેને મળશે અને વ્યક્તિગત રીતે શોક વ્યક્ત કરશે.
જાપાનના સૌથી લાંબા સમય સુધી સેવા આપતા વડા પ્રધાન શિન્ઝો આબેની આ વર્ષે 8 જુલાઈના રોજ દેશના પશ્ચિમ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન હુમલાખોર દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
વિદેશ સચિવ ક્વાત્રાએ જણાવ્યું હતું કે જાપાનના વડા પ્રધાન કિશિદા આ વર્ષે માર્ચમાં ભારતની મુલાકાતે આવ્યા હતા અને ક્વાડ બેઠકમાં ભાગ લેવા માટે પીએમ મોદી મે મહિનામાં ત્યાં ગયા હતા. ક્વાત્રાએ જણાવ્યું હતું કે જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન આબેના અંતિમ સંસ્કારમાં ભાગ લેવા માટે 20 સરકારના વડાઓ સહિત 100 દેશોના પ્રતિનિધિઓ હાજર રહેશે.
તેમણે એ પણ ધ્યાન દોર્યું કે આ વર્ષે ભારત-જાપાનના રાજદ્વારી સંબંધોની 70મી વર્ષગાંઠ છે અને બંને નેતાઓને તેમના વિશેષ વ્યૂહાત્મક જોડાણને વધુ ગાઢ બનાવવા માટે વાતચીત કરવાની તક મળશે.